રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર, પાક નુકસાન અંગે શરૂ કરાઇ સર્વે કામગીરી

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પડેલ ભારે વરસાદના પગલે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારીઓને નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવાના આદેશ આપવામાં આવ્યા છે

રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર, પાક નુકસાન અંગે શરૂ કરાઇ સર્વે કામગીરી

રક્ષિત પંડ્યા, રાજકોટ: સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પડેલ ભારે વરસાદના પગલે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારીઓને નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આદેશ બાદ રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા 32 ટિમો બનાવી જિલ્લાના 595 ગામોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ખેતર માલિક, ગામના સરપંચ અને આગેવાનોને સાથે રાખી નુકશાની અર્થે સર્વે કામગીરી શરૂ કરી છે.

છેલ્લા એક મહિનાથી રાજકોટ શહેર અને જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદને લઈને ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે જેના કારણે તમામ મોટાભાગના પાકોમાં નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારના આદેશ બાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા તાબડતોડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેડૂતોની પણ માંગ હતી કે તાત્કાલિક રાજ્ય સરકાર એસડીઆરએફ મુજબ સર્વેની કામગીરી હાથ ધરે અને જલ્દીથી ખેડૂતોને સરકારની સહાય મળી.

વરસાદના કારણે મોટાભાગના તાલુકાઓમાં કપાસ, મગફળી,તલ,ડુંગળી અને કઠોળના પાકને નુકસાન થયું છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અલગ-અલગ તાલુકાઓમાં 32 ટીમ બનવું સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ઓગસ્ટ મહિનામાં વરસાદ પડવાને લીધે સૌથી વધુ મગફળીના પાકને નુકસાન થયું છે. ત્યારબાદ કપાસના પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જે બંને રાજકોટ જિલ્લાના મુખ્ય પાકો માનવામાં આવે છે.

ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા બન્ને પાકોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારના નિયમ મુજબ બિનપિયત જમીન માટે હેકટર દીઠ 6800 અને પિયત માટે હેકટરદીઠ 13500 રૂપિયાની સહાય મળવા પાત્ર છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ઉપલેટા તાલુકામાં ત્યારબાદ ગોંડલ ,કોટડાસાંગાણી, લોધીકા, પડધરી ,જેતપુર, વીરપુર, ધોરાજી, ભાયાવદર  સહિતના ગામોમાં સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઇ રહેતા હોવાથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

અમુક ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. ત્યારે સરકારના નિયમ મુજબ તાત્કાલિક સહાય મળે તો ખેડૂતોને લાભ થઈ શકે. રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં છેલ્લા એક મહિના થી સતત વરસાદના કારણે ખરીફ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે તાત્કાલિક ખેતીવાડી અધિકારી ઓ સર્વે કરીને રાજ્ય સરકારને મોકલે અને રાજ્ય સરકાર તાત્કાલિક ખેડૂતોને સહાય કરે તો ખરેખર ખેડૂતો માટે સહાય આશીર્વાદરૂપ સાબિત થઇ શકે તેમ છે. કેમ કે મુખ્યમંત્રી કૃષિ સહાય યોજના ના નિયમ મુજબ હાલમાં ખેડૂતોને તે સહાયનો લાભ મળી શકે તેમ નથી એટલા માટે રાજ્ય સરકારને એસડીઆરએફ ની સહાય તાત્કાલિક મળે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news