અમદાવાદમાં આ કોનુ અટકચાળું? રસ્તા પર ફેંકાયા બકરાના વાઢેલા માથા, સ્થાનિકોમાં રોષ

Ahmedabad News : અમદાવાદના ભરચક એવા અમરાઈવાડી ભીલવાડા પિસ્તારમાં કોઈએ અવરજવરવાળા રસ્તા પર બકરાના વાઢેલા માથા જાહેરમાં ફેંક્યા હતા. આ બનાવથી સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ

અમદાવાદમાં આ કોનુ અટકચાળું? રસ્તા પર ફેંકાયા બકરાના વાઢેલા માથા, સ્થાનિકોમાં રોષ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનુ શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધીરે ધીરે અનેક શહેરોમાં શાંતિ ભંગ કરવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદમાં અરેરાટી થઈ જાય તેવો બનાવ બન્યો છે. અમદાવાદના ભરચક એવા અમરાઈવાડી ભીલવાડા પિસ્તારમાં કોઈએ અવરજવરવાળા રસ્તા પર બકરાના વાઢેલા માથા જાહેરમાં ફેંક્યા હતા. આ બનાવથી સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. 

અમદાવાદના અમરાઈવાડી ભીલવાડા વિસ્તારની આ ઘટના છે. જેમાં મૈટૌ પિલ્લર નંબર 62 પાસે દુકાનોની નજીક કોઈ અજાણ્યો શખ્સ બકરાના કપાયેલા માથા રસ્તા પર ફેંકીને જતો રહ્યો હતો. રસ્તા પર કપાયેલી હાલતમાં બકરાના માથા મળતા લોકોમાં અરેરાટી થઈ ગઈ હતી. પસાર થનારા લોકો માટે અહીથી અવરજવર કરવુ પણ મુશ્કેલ બની રહ્યુ હતું. સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. 

મૈટૌ પિલ્લર નંબર 62 પાસે દુકાનોના માલિક વહેલી સવારે દુકાન ખોલવા પહોચ્યા તો તેમને આ દ્રશ્ય જોવા મળ્યુ હતું. સવારે કપાયેલ હાલતમા બકરાઓના મસ્તક જોવા મળતા લોકોમાં ચિતરી ફેલાઈ હતી. જેથી સ્થાનિકોએ કોર્પોરેટર જગદીશ રાઠોડને આ અંગેની જાણકારી આપી હતી. 

પિલ્લર નંબર 62 પાસેના સ્થાનિક વેપારી પારસમલ જૈને આ અંગે અમરાઈવાડી પોલીસમા અજાણ્યા શખ્સ સામે જાહેરમાં બકરાના કપાયેલ માથા નાંખી જનાર સામે અરજી કરી છે. સાથે જ કોમી સોહાર્દના માહોલને બગાડનાર તત્વો સામે કાર્યવાહી કરવાની રજુઆત કરી છે. તો બીજી તરફ, સ્થાનિક નગરસેવકે મૈટૌની આસપાસ CCTV કેમેરા લગાવવાની પણ માંગ કરી છે. 

વાતાવરણ ડહોળવામાં કોને રસ
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની શાંતિ ડહોળવાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા, સાબરકાંઠા, ગાંધીનગર અને ખંભાતમાં હિંસાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વડોદરાના રાવપુરામાં બાઈક અકસ્માત બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં તલવાર સાથે આવેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો. 10 થી વધુ વાહનો અને લારીઓમાં તોડફોડ કરી પથ્થરમારો કરતા 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી. તો હિંમતનગર અને ખંભાતમાં રામ નવમીએ શોભાયાત્રામાં હુમલો કરી હિંસા ફેલાવવામાં આવી હતી. ગાંધીનગરના ઈટાદરામાં યુવતીના ફોટા પાડવા બાબતે અથડામણ થઈ હતી. જેમાં આગચંપી અને પથ્થરમારાની ઘટના બની હતી. તો વડોદરાના સાવલીમાં પણ જૂથ અથડામણ બાદ તંગદિલી સર્જાઈ હતી. ત્યારે સવાલ એ થાય છે ગુજરાતની શાંતિ ડહોળવામાં કોને રસ છે. કેમ વારંવાર આવી હિંસાના ઘટનાઓ બની રહી છે. અસામાજિક તત્વો પર લગામ ક્યારે લાગશે. વાતાવરણ ડહોળવામાં કોને રસ છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news