'વચેટિયાની પુછપરછથી ડરી ગઈ છે કોંગ્રેસ': વડા પ્રધાન મોદી

આસામમાં એક જાહેરસભા દરમિયાન વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે, નેશનલ રજિસ્ટર સિટિઝનશિપ(NRC)માં એક પણ ભારતીય નાગરિક છૂટી નહીં જાય 

'વચેટિયાની પુછપરછથી ડરી ગઈ છે કોંગ્રેસ': વડા પ્રધાન મોદી

સિલચરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આસામના સિલચરમાં એક જાહેરસભાના સંબોધન દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, એકપરિવારે આસામને માત્ર વોટબેન્ક તરીકે જોયું છે. તેમણે અહીં વિકાસના પાયા નાખ્યા નથી. પીએમ મોદીએ જણાવ્યું કે, અમારી સરકાર વિદશમાંથી અગસ્તાવેસ્ટલેન્ડના વચેટિયાને પકડી લાવી છે, જે તમામ રહસ્યો જાણે છે. આ કારણે કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. વચેટિયાની પુછપરછથી કોંગ્રેસ ડરી ગઈ છે અને તેને બચાવવા માટે કોંગ્રેસના વકીલ લાગેલા છે. 

નાગરિકોની સુરક્ષા, સન્માન અને સમૃદ્ધિ સર્વોપરીઃ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ રજિસ્ટર સિટિઝનશિપ (NRC) અંગે જણાવ્યું કે, હું આપ સૌને ખાતરી આપું છું કે NRC માં એક પણ ભારતીય છુટી નહીં જાય. હું રાજ્યના સર્બાનંદ સોનોવાલની સરકારને અભિનંદન પાઠવું છું કે તેમણે તમામ પડકારો બાદ પણ આ મોટું કામ પાર પાડ્યું છે. મોદીએ જણાવ્યું કે, નાગરિકોની સુરક્ષા, સન્માન અને સમૃદ્ધિ ભારત માટે સર્વોપરી છે. 

સિટિઝનશિપ અમેન્ડમેન્ટ બિલ ભૂતકાળના અન્યાયનું પ્રયશ્ચિત છે 
તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરાકર નોર્થ ઈસ્ટના ખૂણે-ખૂણા સુધી વિકાસને પહોંચાડવા માગે છે. તેમણે આસામની પ્રજાનો પંચાયતની ચૂંટણીમાં ભાજપને ભરપૂર સમર્થન આપવા માટે આભાર માન્યો હતો. મોદીએ જણાવ્યું કે, અમારી સરકાર સિટિઝનશિપ અમેન્ડમેન્ટ બિલ પર પણ આગળ વધી રહી છે. આ ખરડો લોકોની લાગણી અને જિંદગી સાથે જોડાયેલો છે. આ બિલ ભૂતકાળમાં આસામના લોકો સાથે થયેલા અન્યાયનું પ્રાયશ્ચિત છે. 

વોટબેન્ક માટે દેશની સુરક્ષા સાથે સમાધાન નહીં
મોદીએ જણાવ્યું કે, વોટ માટે દેશની સાર્વભૌમિક્તા, સુરક્ષા, સંસાધનો અને સાંસ્કૃતિક વારસા સાથે અમે સમાધાન નહીં થવા દઈએ. મોદીએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ગમે ત્યાં જો માં ભારતીમાં શ્રદ્ધા ધરાવનારા વ્યક્તિને હેરાન કરવામાં આવશે તો તે ક્યાં જશે? શું તેના પાસપોર્ટનો રંગ જોવામાં આવશે? મને આશા છે કે, આ બિલ ઝડપથી સંસદમાં પસાર થશે. 

કેન્દ્ર સરકારે આસામ કરારની છઠ્ઠી અનુસૂચી લાગુ કરી
મોદીએ જણાવ્યું કે, આસામ માત્ર એક જમીનનો હિસ્સો નથી, પરંતુ અપરંપરા સંસાધનોથી ભરપૂર અને સમૃદ્ધ સંસ્કૃતિનો જીવંત સમાજ છે. અહીંની પરંપરા, ભાષા-ખાણીપીણી, સંસાધન એટલે કે આસામના હક્કોને સંપૂર્ણ સંરક્ષિત રાખીને સૌનો સાથ, સૌનો વિકાસ કરવા સરકાર પ્રતિબદ્ધ છે. આસામ કરારની છઠ્ઠી અનુસૂચી જે 30-35 વર્ષથી લટકેલી છે, કેન્દ્ર સરકાર તેને અમલમાં મુકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news