મહારાષ્ટ્રઃ BJPની કોર કમિટીની બેઠક અનિર્ણિત, હવે કેન્દ્રીય નેતૃત્વ પર મદાર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ હોવાના ધોરણે રાજ્યપાલ દ્વારા તેને સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજ્યપાલે ભાજપને 11 નવેમ્બર સુધીમાં સરકારની રચના અંગે જવાબ આપવાનો સમય આપ્યો છે.

મહારાષ્ટ્રઃ BJPની કોર કમિટીની બેઠક અનિર્ણિત, હવે કેન્દ્રીય નેતૃત્વ પર મદાર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે રાજ્યપાલના આમંત્રણ બાબતે ભાજપની કોર કમિટી કોઈ નિર્ણય લઈ શકી નથી. એવું કહેવાય છે કે, પાર્ટીએ હવે નિર્ણય લેવાની જવાબદારી કેન્દ્રીય નેતૃત્વના માથે નાખી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર બનાવવા અંગે પ્રદેશ ભાજપ કોર કમિટી ભાજપ હાઈ કમાન્ડના ઈશારીની રાહ જોઈ રહી છે. 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ હોવાના ધોરણે રાજ્યપાલ દ્વારા તેને સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજ્યપાલે ભાજપને 11 નવેમ્બર સુધીમાં સરકારની રચના અંગે જવાબ આપવાનો સમય આપ્યો છે. જોકે, સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ભાજપ લઘુમત સાથે સરકાર બનાવવાના પક્ષમાં નથી. ઉલ્લેખનીય છે કે, 288 સીટની વિધાનસભામાં ભાજપના 105 ધારાસભ્ય ચૂંટાયા છે અને તેને લગભગ 12 જેટલા અપક્ષ ધારાસભ્યોનો ટેકો છે. જોકે, રાજ્યમાં બહુમત સાબિત કરવા માટે 145 ધારાસભ્યો હોવા જરૂરી છે. 

સૂત્રોએ જણાવ્યું કે, જો ભાજપ સરકાર બનાવવાનો ઈનકાર કરે તો રાજ્યપાલ રાજ્યની બે નંબરની પાર્ટી શિવસેનાને સરકાર રચવાનું આમંત્રણ આપી શકે છે. શિવસેના પાસે અત્યારે માત્ર 56 ધારાસબ્યો છે અને તેને લગભગ 6 જેટલા અપક્ષ ધારાસભ્યોનો ટેકો છે. આમ, શિવસેના 145ના જાદુઈ આંકડાથી ઘણે દૂર છે. આ બાજુ શિવસેનાએ હવે મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરેનું નામ પણ વહેતું કર્યાના અહેવાલ છે.  

ભાજપ અને શિવસેના ભેગા મળીને સરકાર બનાવી શકે છે, પરંતુ બંને પક્ષ વચ્ચે ગઠબંધનની રચના અંગે ખેંચતાણ ચાલી રહી છે. મુખ્યમંત્રી પદની બાબતે બંને પક્ષમાં મોટો વિવાદ છે અને આ કારણે તેમનું ગઠબંધન આગળ વધી રહ્યું નથી. 

ત્રીજો વિકલ્પ એવો છે કે, શિવસેના (56) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સાથે મળીને અને કોંગ્રેસનો બહારથી ટેકો લઈને સરકાર બનાવી શકે છે. એનસીપીના 56 ધારાસભ્યો ચૂંટાયા છે, જ્યારે કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે. જોકે, આ મુદ્દે કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી અને એસીપીના સુપ્રીમો શરદ પવાર પહેલ કરે તો જ આગળ વાત બને એમ છે. રવિવારે એનસીપીએ શિવસેનાને સમર્થન આપવાની તૈયારી દર્શાવી હોવાના અહેવાલ આવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે રાજ્યની સત્તા કોના હાથમાં આવે છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news