ભ્રષ્ટ અધિકારીઓ પર મોદી સરકારનો વાર, બીજા 15 અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત્ત

કેન્દ્ર સરકારની સેવાઓના જનરલ ફાઈનાન્શિયલ રૂલ્સના નિયમ 56(જે) અંતર્ગત આ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે, નિવૃત્ત કરાયેલા અધિકારીઓમાં મુખ્ય કમિશનર, કમિશનર અને અધિક કમિશનર સ્તરના અધિકારીઓનો સમાવેશ થાય છે 
 

ભ્રષ્ટ અધિકારીઓ પર મોદી સરકારનો વાર, બીજા 15 અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત્ત

નવી દિલ્હીઃ મોદી સરકારે મંગળવારે 15 વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપી દીધી છે. આ તમામ અધિકારીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડારેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ વિભાગના છે. નિવૃત્ત કરાયેલા અધિકારીઓમાં મુખ્ય કમિશનર, કમિશનર અને અધિક કમિશનર સ્તરના અધિકારીઓનો સમાવેશ થાય છે. એવું કહેવાય છે કે, આ તમામ અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર, લાંચના આરોપ લાગેલા છે. 

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સના નિયમ 56 અંતર્ગત નાણા મંત્રાલય દ્વારા આ અધિકારીઓને સમયથી પહેલા જ નિવૃત્તિની ફરજ પાડવામાં આવી છે. સરકારે આ પગલાથી સ્પષ્ટ કર્યું છે કે, લાંચખોર અને દાગી છબી ધરાવતા અધિકારીઓ સહન કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકાર લાંબા સમયથી તંત્રમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ અંગે માહિતી એક્ઠી કરી રહી હતી. 

આગામી દિવસોમાં પણ મોદી સરકારની ભ્રષ્ટાચાર સામેની 'ઝીરો ટોલેરન્સ' નીતિ ચાલુ રહી શકે છે. સાથે જ પ્રજા માટે સારું કામ કરતા અધિકારીઓને પ્રેરિત કરવાનો સરકારનો ઈરાદો પણ જાહેર થઈ રહ્યો છે. 

જે અધિકારીઓને નિવૃત્તિ લેવાના આદેશ અપાયા છે તેમના નામ નીચે મુજબ છે. 
1. ડો. અનુપ શ્રીવાસ્તવ, પ્રિન્સિપલ કમિશનર
2. અતુલ દિક્ષીત, કમિશનર 
3. સંસાર ચંદ, કમિશનર
4. જી. શ્રી હર્ષ, કમિશનર
5. વિનય બ્રિજ સિંઘ, કમિશનર
6. અશોક આર. મહિડા, એડિશનલ કમિશનર
7. વિરેન્દ્રકુમાર અગ્રવાલ, એડિશનલ કમિશનર
8. અમરેશ જૈન, ડેપ્યુટી કમિશનર
9. નલિન કુમાર, જોઈન્ટ કમિશનર
10. એસ. એસ. બાબના, આસિસ્ટન્ટ કમિશનર
11. એસ.એસ. બીશ્ત, આસિસ્ટન્ટ કમિશનર
12. વિનોદકુમાર સાંગા, આસિસ્ટન્ટ કમિશનર
13. રાજુ સેકાર, એડિશનલ કમિશનર
14. અશોકકુમાર અસવાલ, ડેપ્યુટી કમિશનર
15. મોહમ્મદ અલ્તાફ, આસિસ્ટન્ટ કમિશનર. 

આસિસ્ટન્ટ કમિશનર વિનોદ કુમાર સાગા સામે બે કન્સાઈનમેન્ટની સાચી માર્કેટ વેલ્યુ ચકાસ્યા વગર જ તેમને પાસ કરી દેવાનો આરોપ છે. આ ઉપરાંત, ડીઆરઆઈ દ્વારા પણ ખોટી માહિતી જાહેર કરીને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ ઈમ્પોર્ટ કરવાનો પણ આરોપ લગાવેલો છે. તેમના જ રેન્કના એક અન્ય અધિકારી રાજુ સેકર સામે સીબીઆઈ તેના પુત્રને અન્ના યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવા માટે એક મધ્યસ્થીને રૂ.13 લાખ આપવાના કેસની તપાસ કરી રહી છે. 

સીબીઆઈ તપાસમાં જાણવા મળ્યું કે, તેઓ વિવિધ ઉમેદવારો માટે ઈમિગ્રેશન ક્લિયરન્સ કરાવી આપનારા એજન્ટો સાથે સંકળાયેલા છે. આ માટે તે દર મિહને રૂ.15થી 20 લાખ લે છે અને એક રિક્રુટિંગ એજન્ટ તેમના નામે આ નાણા ઉઘરાવે છે. આ ઉપરાંત, તેની સાથે સંકળાયેલા એક એજન્ટ પાસેથી રૂ.1.8 કરોડ અને રૂ.1.76 કરોડની રોકડ રકમ પડાયાના એક અન્ય કેસની પણ સીબીઆઈ તપાસ કરી રહી છે. 

આસિસ્ટન્ટ કમિશનર મોહમ્મદ અલ્તાફ સામે લાલ માટીના સ્મગલિંગમાં સંડોવાયાના આરોપો છે. ડેપ્યુટી કમિશનર અશોક કુમાર અસવાલ સામે રૂ.10 લાખની લાંચ લેવાનો આરોપ છે. 

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ નાણામંત્રી નિર્મલા સિતારમણે પણ કટક નિર્ણય લેતાં કેન્દ્રીય નાણા વિભાગના 12 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દીધા હતા. આ 12 અધિકારીઓમાં અશોક અગ્રવાલ, એસ.કે. શ્રીવાસ્તવ, હોમી રાજવંશ, બીબી રાજેન્દ્ર પ્રસાદ, અજોયકુમાર સિંહ, બી. અરૂલપા, આલોક કુમાર મિત્રા, ચંદ્રસેન ભારતી, અંડાસુ રવિન્દ્ર, વિવેક બત્રા, સ્વેતાભ સુમન અને રામ કુમાર ભાર્ગવનો સમાવેશ થાય છે. 

શું છે નિયમ 56(જે)? 
કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અનુસાર નિયમ-56(જે)માં જાહેર હિતમાં સરકારના કર્મચારીને ફરજિયાત નિવૃત્ત કરી દેવાની જોગવાઈ છે. સરકારી કર્મચારીઓ માટેના નિયમોમાં આ જોગવાઈ વર્ષોથી લાગુ છે, પરંતુ તેનો ઉપયોગ કેટલાક કિસ્સામાં જ કરાયો છે. મોદી સરકારે આ પ્રથમ વખત આટલી મોટી કાર્યવાહી કરી છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news