ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરિઝનો સંપૂર્ણ ઈતિહાસ, કેવી રીતે શરૂ થઈ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી?

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 17 ડિસેમ્બરથી પહેલી ટેસ્ટ સીરિઝની શરૂઆત થઈ રહી છે. ત્યારે એ જાણવું પણ જરૂરી છે કે બંને દેશ વચ્ચેની ટેસ્ટ સીરિઝની શરૂઆત ક્યારે થઈ. આ બંને દેશ વચ્ચે લગભગ 70 વર્ષથી ક્રિકેટ રમી રહ્યા છે. જેના કારણે ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરિઝનો ઈતિહાસ ઘણો જૂનો છે.

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરિઝનો સંપૂર્ણ ઈતિહાસ, કેવી રીતે શરૂ થઈ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી?

જયેશ જોશી, અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટેસ્ટ સીરિઝનો ઈતિહાસ ઘણો જૂનો છે. કેમ કે આ બંને દેશ લગભગ 70 વર્ષથી ક્રિકેટ સીરિઝ રમી રહ્યા છે. પહેલાં આ બંને દેશની લડાઈને માત્ર ટેસ્ટ સીરિઝના રૂપમાં જોવામાં આવતી હતી. પરંતુ ધીમે-ધીમે તેને રોમાંચક બનાવવામાં આવી અને આજે ભારત-ઓસ્ટ્રેલિયાની સીરિઝ ધ એશિઝ પછી સૌથી ચર્ચિત ટેસ્ટ સીરિઝમાંથી એક છે. અમે તમને બતાવીશું કે કેવી રીતે આ સીરિઝનું નામ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પડ્યું અને ક્યારે થઈ હતી તેની પહેલી મેચ.

ભારત અને ઓસ્ટ્રેલિયાની સીરિઝનો ઈતિહાસ:
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરિઝની શરૂઆત 1947-48માં થઈ હતી. ભારત આઝાદી પછી પહેલી વાર ઓસ્ટ્રેલિયાની જમીન પર ટેસ્ટ સીરિઝ રમવા ગયું હતું. જ્યાં પાંચ મેચની સીરિઝ થઈ હતી અને ઓસ્ટ્રેલિયાએ 4-1થી જીત મેળવી હતી. આ સીરિઝના 10 વર્ષ પછી 1956-57માં ઓસ્ટ્રેલિયાએ ભારતનો પ્રવાસ કર્યો. જેમાં પણ ભારતીય ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો. તેના પછી દર બે વર્ષે બંને દેશની સીરિઝ થતી રહી અને આ સિલસિલો 1991-92 સુધી ચાલતો રહ્યો.

કેવી રીતે ટેસ્ટ સીરિઝનું નામ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પડ્યું :
ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન એલન બોર્ડર અને ભારતના દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે પોતાના સમયમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેનમાંથી એક છે. બંનેએ પોતાની કારકિર્દીમાં 10,000 રનનો આંકડો પાર કર્યો હતો. અને તે બંને ટીમના કેપ્ટન રહી ચૂક્યા હતા. સાથે જ બંનેએ પોતાની કારકિર્દીમાં ઢગલાબંધ ટેસ્ટ રન બનાવ્યા હતા. જેના પછી ઓસ્ટ્રેલિયા અને ભારતની ટેસ્ટ સીરિઝને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનું નામ આપવામાં આવ્યું.

ક્યારે શરૂ થઈ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી:
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ 1996મા 10થી 13 ઓક્ટોબરની વચ્ચે દિલ્લીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર રમાઈ. આ સીરિઝમાં માત્ર એક મેચ રમાઈ અને તે સમયે ભારતીય ટીમના કેપ્ટન સચિન તેંડુલકર હતા. આ મેચમાં ભારતની જીત થઈ હતી અને ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન નયન મોંગિયાને મેન ઓફ ધ સીરિઝ પસંદ કરવામાં આવ્યો હતો. કેમ કે તેણે પહેલા દાવમાં 152 રનની ઈનિંગ્સ રમી હતી.

કેવો છે ભારત-ઓસ્ટ્રેલિયાનો સીરિઝમાં રેકોર્ડ:
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે અત્યાર સુધી કુલ 26 ટેસ્ટ સીરિઝ રમાઈ છે. જેમાં 14 સીરિઝ ભારતમાં થઈ છે અને તેમાં ટીમ ઈન્ડિયાએ 8 વખત ટ્રોફી પોતાના નામે કરી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ભારતમાં 4 વખત સીરિઝ જીતી છે. જ્યારે 2 વખત સીરિઝ ડ્રો થઈ છે. ઓસ્ટ્રેલિયામાં આ સીરિઝ અત્યાર સુધી કુલ 12 વખત થઈ છે. જેમાં એક વખત ભારતે જીતી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 8 વખત કબ્જો કર્યો છે. અને 3 સીરિઝ ડ્રો થઈ છે. આંકડા પર નજર કરીએ તો 26 સીરિઝમાં સૌથી વધારે ઓસ્ટ્રેલિયાએ 12 વખત તેના પર કબ્જો કર્યો છે. જ્યારે ભારત 9 વખત જીતનો સ્વાદ ચાખ્યો છે. તો 5 ટેસ્ટ ડ્રો થઈ છે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો રેકોર્ડ કેવો છે:
આ તો વાત ઓસ્ટ્રેલિયા અને ભારતની સંપૂર્ણ ટેસ્ટ સીરિઝની હતી. પરંતુ હવે વાત કરીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પરિણામની. 1996-97થી અત્યાર સુધી બંને દેશની વચ્ચે 14 સીરિઝ થઈ છે. જેમાં ભારતીય ટીમનું પલડું ભારે છે. કેમ કે આ 14 સીરિઝમાં ભારતે 8 વખત ટ્રોફી જીતી છે. અને ઓસ્ટ્રેલિયાના નામે 5 ટાઈટલ છે. જ્યારે એક ડ્રો રહી છે. જાણકારી માટે બતાવી દઈએ કે સૌથી વધારે રન આ સીરિઝમાં સચિન તેંડુલકરના નામે છે. જેણે 3262 રન બનાવ્યા છે. જ્યારે અનિલ કુંબલેએ 111 વિકેટ પોતાના નામે કરી છે.

આ તો ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરિઝના ઈતિહાસની સાથે જ બોર્ડર-ગાવસ્કરની ટ્રોફીની કહાની હતી. છેલ્લી વખતે ઓસ્ટ્રેલિયાને ભારતીય ટીમે પરાજય આપ્યો હતો. આથી ટ્રોફી ટીમ ઈન્ડિયાની પાસે છે. હવે 17 ડિસેમ્બરથી ટેસ્ટ સીરિઝની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે એ જોવું દિલચશ્પ રહેશે કે કઈ ટીમ આ વખતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને પોતાના નામે કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news