મણીનગર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, આર્મીમાં ફરજ બજાવતા યુવકે કેમ રચ્યુ હતું ષડયંત્ર?

લૂંટારૂ લૂંટના ઇરાદે મણિનગરના વૃદાવન જ્વેલર્સમાં ઘૂસ્યો હતો. જવેલર્સના માલિકે પ્રતિકાર કરતા લૂંટારુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ લૂંટારું હાથમાં રિવોલ્વર લઈને દોડ્યો અને ત્યાં હાજર ટોળું તેની પાછળ પડ્યું હતુ.
 

મણીનગર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, આર્મીમાં ફરજ બજાવતા યુવકે કેમ રચ્યુ હતું ષડયંત્ર?

મૌલિક ધામેચા/અમદાવાદ: મણીનગર વિસ્તારમાં મંગળવારે રાત્રિ દરમિયાન બનેલી જાહેરમાં ફાયરિંગની ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. જોકે સ્થાનિકો અને પોલીસની તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી ટીમે આરોપીને ઝડપી લઇ લૂંટના પ્રયાસને અટકાવ્યો છે. મૂળ રાજસ્થાનનો શખ્સ લોકેન્દ્રસિંહ શેખાવતની પોલીસે ધરપકડ કરી હત્યાના પ્રયાસ, લૂંટનો પ્રયાસ અને આમ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ ગીરફતમાં બુરખામાં દેખાઈ રહેલો આ શખ્સ લોકેન્દ્રસિંહ શેખાવત છે. જેણે મણિનગર વિસ્તારમાં મંગળવારે હોહાપો મચાવ્યો હતો. લૂંટના ઇરાદે ટ્રેન મારફતે અમદાવાદ આવેલા આરોપી લોકેન્દ્રસિંહ શેખાવતે પબ્લિકના મારથી બચવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. જોકે તાત્કાલિક પોલીસની ટીમે આ શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા તમામ હકીકત સામે આવી હતી. 

મોડી રાત્રે પણ આરોપી લોકેન્દ્રસિંહ શેખાવતની પૂછપરછ કરતા સામે આવ્યું કે ₹12 લાખની લોન ચૂકવવા  માટે આ લૂંટનો પ્લાનિંગ તેને કરેલો. જેને પગલે રાજસ્થાનના જયપુરમાંથી જ ગેરકાયદેસર રીતે હથિયાર મેળવ્યું હતું. પોલીસે હાલતો આ હથિયાર કબ્જે કરી તેની વધુ પૂછપરછ શરૂ કરી છે.

મણિનગરમાં મંગળવારે જાહેરમાં બનેલી આ ઘટનાના વિડીયો અને સીસીટીવી ફૂટેજ પણ પોલીસને હાથે લાગ્યા છે. જે પોલીસે પુરાવા તરીકે મેળવી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે લોકેન્દ્રસિંહ શેખાવત મૂળ રાજસ્થાનના ઝુંઝુવાનો રહેવાસી છે. અને જમ્મુ કાશ્મીરમાં ટેરિટોરિયલ આર્મીમાં ફરજ બજાવતો હતો. પરંતુ બે મહિનાની રજા લઈને તે નીકળ્યો હતો. ત્યારબાદ રાજસ્થાનથી 15 ઓગસ્ટે અમદાવાદના મણીનગર રેલ્વે સ્ટેશન ખાતે પહોંચી નજીકની હોટલમાં રોકાયો હતો. 

મોડી સાંજે કોઈપણ રેકી કર્યા વગર લૂંટના ઇરાદે કૃષ્ણબાગ વિસ્તારમાં આવેલી વૃંદાવન જ્વેલર્સમાં હથિયાર બતાવીને લૂંટ કરવા ઘૂસ્યો હતો. પરંતુ સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે પ્રમાણે તેને જ્વેલર્સના માલિક સામે માત્ર હથિયાર બતાવીને પૈસા આપી દેવા માટે ધમકી આપી હતી. દરમ્યાનમાં જ્વેલર્સના માલિકે તેનો પ્રતિકાર કરી બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. જેને પગલે લોકેન્દ્ર શેખાવતે મારથી બચવા માટે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 

હાલ તો પોલીસે આરોપીએ લૂંટ પાછળના પ્લાનિંગ અંગે પ્રાથમિક તપાસ કરતા દેવુ ચૂકવવા માટે લૂંટનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હકીકત તપાસવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ મામલે ટેરિટોરિયલ આર્મીના અધિકારીઓ અને તેના રહેણાંક વિસ્તારમાં બેન્ક એકાઉન્ટ અને લોન અંગે પણ તપાસ શરૂ કરી છે. 

મહત્વનું છે કે આરોપી લોકેન્દ્રસિંહ શેખાવત આ હથિયાર ગેરકાયદેસર રીતે કોની પાસેથી લાવ્યો હતો. અને લૂંટ સિવાય પણ અન્ય કોઈ ઘટનાને અંજામ આપવાનું પ્લાનિંગ હતું કે કેમ તે અંગે પણ પૂછપરછ કરવા રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news