સવારે હજારો ખેડૂતોનો વિરોધ, બપોરે સરકારે કહ્યું ‘જરૂર પડી તો આખો પ્રોજેક્ટ રદ્દ કરીશું’

સુરતથી મહારાષ્ટ્રના અહેમદ નગર સુધી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત હાઇવે બનવાનું કામ સરકારે શરુ કર્યું છે. જોકે તેનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે નવસારીના ચીખલીમાં હજારો ખેડૂતો, આદિવાસીઓ અને સ્થાનિક લોકોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું.

સવારે હજારો ખેડૂતોનો વિરોધ, બપોરે સરકારે કહ્યું ‘જરૂર પડી તો આખો પ્રોજેક્ટ રદ્દ કરીશું’

તેજશ મોદી, સુરત: સુરતથી મહારાષ્ટ્રના અહેમદ નગર સુધી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત હાઇવે બનવાનું કામ સરકારે શરુ કર્યું છે. જોકે તેનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે નવસારીના ચીખલીમાં હજારો ખેડૂતો, આદિવાસીઓ અને સ્થાનિક લોકોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું. જોકે લોકોનો પ્રચંડ વિરોધ જોતા સરકારે નમતું જોખી જાહેરાત તમામ જુના આદેશ રદ્દ કરી દીધા હતા. મુખ્યમંત્રી વિજય રુપાણીએ ડાંગમાં તો હાઈવે મંત્રી મનસુખ માંડવીયાએ સુરતમાં ખેડૂતોને પૂછ્યા વગર એક ઇંચ પણ જમીન નહીં લેવાનું નિવેદન આપ્યું હતું.

નવસારીના ચીખલી અને વાંસદા સહીત દક્ષીણ ગુજરાતના સુરત જીલ્લાના 72થી વધુ ગામોમાંથી કેન્દ્ર સરકારનો મહત્વનો પ્રોજેક્ટ ભારતમાલા પસાર થઇ રહ્યો છે. જોકે તેને લઈને વિરોધનો સુર ઉઠી રહ્યો છે. ખાસ કરીને સુરતથી અહેમદ નગરના આ પ્રોજેક્ટમાં ગુજરાતમાં આવતા 93 કિલોમીટરના હાઈવે પ્રોજક્ટના વિરોધ માટે નવસારીના ચીખલી ખાતે હજારો લોકો ભેગા થયા હતા. સર્કીટ હાઉસથી મામલતદાર ઓફીસ સુધી રેલી કાઢવામાં આવી હતી. લોકોએ અહીં જાન દેંગે પર જમીન નહીની નારેબાજી કરી હતી.

કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલે કહ્યું હતું કે સરકાર પોતાના પ્રોજેક્ટ માટે જમીન લઇ રહી છે, પરતું આદિવાસીઓ પોતાની જમીન આપવા માંગતા નથી. કારણ કે જમીન સિવાય તેમની પાસે કશું બીજું નથી, જો જમીન જ નહીં હોય તો ભવિષ્યમાં શું કરશે તે સૌથી મોટો સવાલ છે, અને તેથી જ અમે વિરોધ કરી રહ્યા છે. હમણા તો માત્ર મામલતદારને જ આવેદનપત્ર આપ્યું છે. પરતું અમે સરકાર સુધી લડી લેવાના મુડમાં છીએ. નવસારીના ચીખલીમાં રેલી જોઈ સરકારને ચિતા થઇ હતી. ત્યારે ડાંગ આવેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ મીડિયાના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે ખેડૂતોની જમીન લેવાની કોઈ વાત જ નથી.

આ પ્રોજેક્ટનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. કોઈને નુકસાન પહોંચાડવા માંગતી નથી સરકાર, અમે તમામની સાથે છીએ. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ સુરત દોડી આવ્યા હતા. સુરતમાં તમને નવસારીના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં કેટલાક ખડૂતો પણ હાજર રહ્યા હતા. બેઠક બાદ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે સુરત અહેમદનગર નેશનલ હાઈવેને લઈને આંદોલન ચાલી રહ્યું છે, સીએમ દ્વારા મને વાત કરવામાં આવી છે. સ્થાનિક પ્રતિનિધિઓએ પણ વાત કરી છે. આ સમગ્ર 93 કિમીના એલાઈમેન્ટની તમામ કામગીરી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની સૂચના મેં આપી દીધી છે.

ત્યાંજ જે સ્થળો પર ખૂંટા મારવાનું કામ પણ ચાલી રહ્યું હશે તેને પણ બંધ દેવામાં આવશે. હાલમાં જે રસ્તા છે, તેમાં જ એલાઈમેન્ટ કરવાની સૂચના આપી છે. ખેડૂતો, આદિવાસીઓ,  સ્થાનિકો સાથે વાત કરીશું. ખેડૂતોની ઈચ્છા વિરુદ્ધ એક ઇંચ પણ જમીન નહીં લઈએ. એલાઈમેન્ટને જો કાયમી રીતે રદ્દ કરવું પડે તો પણ અમારી તૈયારી છે. કેટલાક લોકો રાજકીય ફાયદા ખાતર આંદોલન કરાવી રહ્યા છે. હાઇવે મંત્રી તરીકે મેં આદેશ આપ્યા છે. હજુ તો પ્રાથમિક સર્વે જ કરી રહ્યા હતાં. ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. કોઈ પ્રોજેક્ટ ખેડૂતોના હિતોના ભોગે નહીં બને, અમે ખડૂતો ના હિત માટે કામ કરીએ છીએ. જરૂર પડી તો સ્ટેટ, પંચાયતના રસ્તાઓનો ઉપયોગ કરી હાઈવે મોટા કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news