રાજ્યમાં વરસાદી આફતઃ 108 ગામમાં વીજ પુરવઠાને અસર, 110 માર્ગ બંધ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે, પરંતુ હજુ પણ 204 જળાશયમાંથી 196 જળાશયોમાં 70 ટકા કરતાં ઓછું જળસ્તર છે, જ્યારે માત્ર 1 જ જળાશયમાં 80થી 90 ટકા પાણી ભરાયું છે. 
 

રાજ્યમાં વરસાદી આફતઃ 108 ગામમાં વીજ પુરવઠાને અસર, 110 માર્ગ બંધ

હીતલ પારેખ/ ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં 2થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં તો સિઝનની શરૂઆતથી જ વરસાદ બરાબર જામ્યો છે. બુધવારે વડોદરામાં 14 કલાકમાં 20 ઈંચ વરસાદ ખાબક્તાં શહેરમાં જળબંબાકારની સ્થિતી છે. સમગ્ર રાજ્યમાં પડી રહેલા વરસાદના કારણે 108 ગામમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે, જ્યારે રાજ્યના 110 જેટલા માર્ગો બંધ થઈ ગયા છે. 

વડોદરામાં બારેમેઘ ખાંગા
વડોદરા શહેરમાં બુધવારે બપોર પછી 6 કલાકમાં 18 ઈંચ વરસાદ પડતાં સમગ્ર શહેર જળમગ્ન બની ગયું છે. શહેરના 20 ટકા વિસ્તારમાં વિજપુરવઠો ખોરવાઈ ગયો છે. શહેરની અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘુસી ગયાં છે. એનડીઆરએફની ટીમ દ્વારા અસંખ્ય લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

સમગ્ર રાજ્ય વરસાદથી પ્રભાવિત  
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યના 108 ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે અને રાજ્યના 110 માર્ગો વરસાદના કારણે બંધ થઈ ગયા છે. જેમાં નવસારી જિલ્લામાં 28 માર્ગ, વલસાડ જિલ્લાના 24 માર્ગ સહિતના ગ્રામ્ય વિસ્તારના અનેક માર્ગો બંધ થઈ ગયા છે. વડોદરા શહેરના 4 માર્ગ બંધ છે, જેમાં બે પંચાયતના અને બે સ્ટેટ હાઈ વે છે. 

વડોદરામાં આફતનો વરસાદ: 4000થી વધુ લોકોનું સ્થળાંતર, 6 વ્યક્તિના મોત

રાજ્યના વિવિધ ડેમમાં પાણીની આવક 

  • મહેસાણાના ધરોઈ ડેમમાં 11390 ક્યુસેક પાણીની આવક (ડેમ 13.47 ટકા ભરાયો)
  • તાપીના ઉકાઈમાં 1 લાખ 9 હજાર 385 ક્યુસેક પાણીની આવક (ડેમ 26.08 ટકા ભરાયો)
  • વલસાડના દમણગંગા ડેમમાં 50218 ક્યુસેક પાણીની આવક અને 33038 ક્યુસેક પાણીનો આઉટ ફ્લો
  • નર્મદાના કરજણ ડેમમાં 19690 ક્યુસેક પાણીની આવક 
  • નર્મદા ડેમ 56.30 ટકા ભરાયો. 19494 ક્યુસેક ઈનફ્લો સામે 4067 ક્યુસેક પાણી કેનાલમાં છોડાયું.

વડોદરામાં આભ ફાટ્યું: પૂરની સ્થિતિ વચ્ચે NDRFની ટીમનું રેસ્ક્યૂ, દાઢ માસના બાળકનો બચાવ્યો જીવ

રાજ્યના 204 જળાશયોની સ્થિતિ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે, પરંતુ હજુ પણ 204 જળાશયમાંથી 196 જળાશયોમાં 70 ટકા કરતાં ઓછું જળસ્તર છે, જ્યારે માત્ર 1 જ જળાશયમાં 80થી 90 ટકા પાણી ભરાયું છે. 

  • 196 જળાશયોમાં 70 ટકાથી નીચે જળસ્તર
  • 90 ટકાથી વધુ ભરાયેલા 3 ડેમો હાઈ એલર્ટ પર
  • 80 થી 90 ટકા ભરાયેલા જળાશય - 1
  • 70 થી 80 ટકા ભરાયેલા જળાશય - 4 
  • નવસારીના ઝૂજ અને કેલિયા તથા તાપીના દોશવાડા ડેમ હાઈ એલર્ટ ઉપર.

માછીમારોને દરિયો ન ખેડવા સલાહ
ગુજરાતના દરિયા કિનારા પર હાલ 40-50 કીમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. આથી હવામાન વિભાગ દ્વારા હાલ માછીમારોને દરીયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news