શા માટે કચ્છના 21 ટાપુ પર પ્રવેશબંધી કરાઈ? વાંચી લેજો આ જાહેરનામું, આવા છે મોટા અપડેટ

કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમા પર આવેલ એક અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહીત કુલ-21 જેટલા ટાપુઓ આવેલ છે. આ નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરતા હોય છે.

શા માટે કચ્છના 21 ટાપુ પર પ્રવેશબંધી કરાઈ? વાંચી લેજો આ જાહેરનામું, આવા છે મોટા અપડેટ

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: સરહદી જિલ્લો કચ્છ આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે.ત્યારે અવારનવાર કચ્છની દરિયાઇ સીમામાંથી કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવ્યો હોય છે તો ક્યારેક પાકિસ્તાની નાગરિકો પણ આ વિસ્તારમાંથી પકડાતા હોય છે કે જેઓ કચ્છના બોર્ડર વિસ્તારના માનવ વસાહત રહીત ટાપુઓ પર સંતાઈ જતા હોય છે. ત્યારે કચ્છ કલકેટર દ્વારા કચ્છના માનવ વસાહત રહીત 21 ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. 

કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમા પર આવેલ એક અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહીત કુલ-21 જેટલા ટાપુઓ આવેલ છે. આ નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરતા હોય છે. આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં વ્યક્તિઓ સહેલાઈથી દરીયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવી શકે છે.

કચ્છના આવા નિર્જન ટાપુઓ પર હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા ઉપયોગ કરી શકાય તેવી પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે. ત્યારે રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા કચ્છ કલેકટર અમિત અરોરા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973 ની કલમ-144 હેઠળ કચ્છ જિલ્લાના 21 ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકતો એક જાહેરનામું બહાર પાડેલ છે.

કલેક્ટર દ્વારા પ્રતિબંધિત કરાયેલ 21 ટાપુઓમાં શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર ટાપુ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ચભડીયો ટાપુ, લુણ ટાપુ, ગોધરાઇ ટાપુ, મોટાપીર, હેમતલ (હંઈતલ), હાજી ઈબ્રાહીમ, ખાનાણા બેટ, ગોપી બેટ, સતોરી બેટ, ભકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ, બોયા બેટ, સેથવારા બેટ, સત સૈડા ટાપુનો સમાવેશ થાય છે.

આ 21 ટાપુઓ પૈકીના શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ ટાપુ જેવા સ્થળો પરથી અગાઉ બીએસએફના જવાનો તેમજ મરીન પોલીસના કર્મચારીઓ દ્વારા અનેક વાર ચરસ અને હેરોઇનના પેકેટ મળી આવ્યા છે. 1 કિલોની પેકિંગના 10-10 પેકેટો પણ અનેકવાર એકસાથે આ ટાપુઓ પરથી મળી આવ્યા છે.તો આ ટાપુઓના આસપાસના વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ અને પાકિસ્તાની માછીમારો પણ ઝડપાતા હોય છે.તો વિસ્ફોટક સેલ પણ આ વિસ્તારમાંથી ઝડપાઈ ચૂક્યા છે.

કલેક્ટરના આ જાહેરનામા હેઠળ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ તેમજ સરકારી કામે રોકાયેલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ અધિકારીઓને મુકિત આપવામાં આવી છે.તો કલેકટરના આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા- 1860 ની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર ગણાશે. આ ઉપરાંત જો આ જાહેરનામાંના ભંગ કરનારા વ્યક્તિ ઝડપાયા તો તેની વિરુદ્ધ પગલા લેવા માટે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓને ભારતના ફોજદારી અધિનિયમ-1860 ની કલમ-188 મુજબ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

કચ્છ કલેકટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, આ 21 ટાપુઓ પર કોઈ માનવ વસ્તી રહેતી નથી.21 જેટલા ટાપુમાંથી 19 જેટલા ટાપુ છે જે 12 નોટિકલ માઈલમાં એટલે મરીન પોલીસની હદમાં આવે છે બીજા બે ટાપુ બહાર આવે છે.ઘણી વાર ક્લેક્ટર ઓફિસ ખાતે જ્યારે કોસ્ટલ સિક્યોરિટીની મીટીંગ થતી હોય છે ત્યારે બીએસએફ તરફથી અને પોલીસ તરફથી એક રજૂઆત હતી કે આ ટાપુ ઉપર મુવમેન્ટ પ્રતિબંધ કરવા જોઈએ.કારણ કે આ ટાપુની કોઈ પ્રતિબંધિત વસ્તુઓ માટે કે ગેરકાનૂની કામ માટે ઉપયોગ થાય એની શંકા રહેલી છે.

આ ઉપરાંત આવા ટાપુ પર અવારનવાર લોકો દ્વારા દબાણ પણ ઊભા કરવામાં આવતા હોય છે જે પણ ત્યાં ન થવું જોઈએ.માટે 21 ટાપુઓ પર પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. બીએસએફ અને લોકલ પોલીસ દ્વારા રજૂઆત હતી કે ટાપુઓનો કોઈ પણ દુરુપયોગ ના થાય કારણકે સામાન્ય વ્યક્તિ કે કોઈ રહેવાસી આ ટાપુઓનો ઉપયોગ કરતા નથી અને આ ટાપુઓ માનવ વસાહત રહીત છે.તો ભૂલથી કોઈ વ્યકિત ત્યાં ના જાય અને કોઈ પણ ત્યાં બીજી કોઈ પ્રવૃત્તિ ના થાય એના માટે આ જાહેરનામું કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news