પ.બંગાળઃ મમતાએ પુરતી સુરક્ષાની ખાતરી આપતા ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને હડતાળ પર ઉતરેલા ડોક્ટરો વચ્ચે જીવંત પ્રસારણ સાથે વાતચીત ચાલી રહી છે, આ બેઠકમાં મુખ્યમંત્રીએ જુનિયર ડોક્ટરોને જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા એક પણ ડોક્ટરની સામે કેસ દાખલ કરાયો નથી 
 

પ.બંગાળઃ મમતાએ પુરતી સુરક્ષાની ખાતરી આપતા ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની હડતાળ પર ઉતરેલા જુનિયર ડોક્ટરો સાથે સોમવારે પ્રસ્તાવિત બેઠક શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં જુનિયર ડોક્ટરોએ સંયુકત રીતે જણાવ્યું કે, "અમને કામ કરતા ડર લાગે છે." જેની સામે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, "અમે આ ઘટના સંદર્ભે પુરતા પગલાં લીધાં છે." મુખ્યમંત્રી દ્વારા ડોક્ટરોને પુરતી સુરક્ષાની ખાતરી અપાયા પછી ડોક્ટરોએ પોતાની હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. 

હડતાળ પર ઉતરેલા જુનિયર ડોક્ટરોનું એક પ્રતિનિધિમંડળ રાજ્યના મુખ્યમંત્રી સાથે સીધી વાતચીત કરી રહ્યું છે. આ પ્રિતિનિધિમંડળે જણાવ્યું કે, એનઆરએસ હોસ્પિટલમાં ડોક્ટરો સાથે મારામારી કરનારા દર્દીના પરિજનોને એવી સજા આપવામાં આવે, જે અન્ય લોકો માટે ઉદાહરણરૂપ બને. 

ઉલ્લેખનીય છે કે, એનઆરએસ એક અઠવાડિયા પહેલા એક દર્દીના કથિત મૃત્યુ પછી દર્દીના પરિજનોએ ડોક્ટરો પર આરોપ લગાવતા મારામારી કરી હતી. જેમાં કેટલાક જુનિયર ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. ત્યાર પછી જુનિયર ડોક્ટરો પુરતી સુરક્ષાની માગ સાથે એક અઠવાડિયાથી હડતાળ પર ઉતરેલા છે. મારામારીની આ ઘટનામાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. 

— ANI (@ANI) June 17, 2019

મુખ્યમંત્રી મમતા બેનરજીએ હડતાળિયા જુનિયર ડોક્ટરો સાથેની બેઠકમાં જણાવ્યું કે, "રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ ડોક્ટર સામે કેસ દાખલ કરાયો નથી." ઉલ્લેખનીય છે કે, મમતા બેનરજીએ હડતાળ પર ઉતરેલા ડોક્ટરો સાથે સોમવારે પ્રસ્તાવિત બેઠકના સીધા પ્રસારણને મંજુરી આપી હતી. જોકે, માત્ર માત્ર બે સ્થાનિક સમાચાર ચેનલને જ રાજ્યના સચિવાલયમાં મુખ્યમંત્રી અને જુનિયર ડોક્ટરોના પ્રતિનિધિમંડળ વચ્ચે થયેલી આ બેઠકનું કવરેજ કરવાને મંજૂરી આપવામાં આવી છે. 

આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ઉપરાંત આરોગ્ય સચિવ, રાજ્યમંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય અને રાજ્યના અધિકારીઓ, 31 જુનિયર ડોક્ટરો ભાગ લઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ જુનિયર ડોક્ટરોની સાથેની બેઠકમાં તેમના પ્રસ્તાવ અનુસાર, પશ્ચિમ બંગાળની તમામ હોસ્પિટલમાં ત્રણ ભાષા - હિન્દી, અંગ્રેજી અને બંગાળીમાં ફરિયાદ નિવારણ એકમની રચનાનો આદેશ આપ્યો છે. જે કોઈ દર્દી કે તેમના સગાને ફરિયાદ કરવી હોય તેઓ કોઈ પ્રકારની હિંસા આચર્યા સિવાય આ ફરિયાદ નિવારણ શાખાને મળીને ફરિયાદ કરી શકશે. 

બેઠકમાં જુનિયર ડોક્ટરોએ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તેમને પડી રહેલી મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રીને માહિતી આપી હતી. જુનિયર ડોક્ટરોએ મુખ્યમંત્રીને ઘાયલ ડોક્ટરોની મુલાકાત લેવા જણાવ્યું ત્યારે મમતાએ કહ્યું કે, તેમની મુલાકાત ક્યારે લેવી તે મારે નિર્ણય કરવાનો છે. 

મમતા બેનરજીએ જુનિયર ડોક્ટરોની રજૂઆતો સાંભળ્યા પછી આદેશ આપ્યો કે, "રાત્રીના સમયે ડોક્ટરોની સુરક્ષા પર ખાસ ભાર મુકવામાં આવશે. એક પોલીસ અધિકારીની તમામ હોસ્પિટલ માટે નોડલ અધિકારી તરીકે નિમણૂક કરાશે. સાથે જ હોસ્પિટલમાં પોલીસની જવાબદારી પણ સુનિશ્ચિત કરાશે." મુખ્યમંત્રી તરફથી સુરક્ષાનું પુરતું આશ્વાસન મળ્યા પછી ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે અને તેમણે જણાવ્યું કે તેઓ એનઆરએસ હોસ્પિટલ પહોંચીને તેમની હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરશે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news