બ્રેક્ઝીટઃ જાણો, 29 માર્ચ કેવી રીતે 12 એપ્રિલ થઈ ગઈ અને તેનો અર્થ શું છે?

બ્રેક્ઝીટ પર બ્રિટનના વડાં પ્રધાન થેરેસા મેની મુશ્કેલીઓ વધી ગઈ છે, યુરોપિય સંઘે બ્રેક્ઝીટ અંગે બ્રિટન પર ગાળીયો વધુ કસવાની શરૂઆત કરી છે
 

બ્રેક્ઝીટઃ જાણો, 29 માર્ચ કેવી રીતે 12 એપ્રિલ થઈ ગઈ અને તેનો અર્થ શું છે?

નવી દિલ્હીઃ યુરોપીય સંઘમાંથી બ્રિટનના અલગ થવાની પ્રક્રિયા (બ્રેક્ઝીટ)માં કેટલાક મહત્વના ફેરફાર થયા છે. ગુરુવારે 21 માર્ચ સુધી બ્રિટનને 29 માર્ચ સુધીમાં યુરોપીય સંઘમાંથી અલગ થઈ જવાનું હતું. આ તારીખ બ્રિટન દ્વારા જ નક્કી કરવામાં આવી હતી, પરંતુ બ્રિટનની થેરેસા મેની સરકાર અને યુરોપિય સંઘ વચ્ચે થયેલા 'વીથડ્રોઅલ ડીલ'ને બ્રિટનની સંસદની મંજૂરી મળતી નથી. 

આ કરારને બ્રિટિશ સંસદે બે વખત ફગાવી દીધો છે. તાજેતરના ઘટનાક્રમમાં થેરેસા સરકારે યુરોપિય સંઘમાંથી બ્રેક્ઝીટની તારીખને 29 માર્ચથી આગળ લઈ જવાની વિનંતી કરાઈ હતી. જેને યુરોપિય સંઘ દ્વારા માની લેવાઈ છે, પરંતુ તેમણે પોતાની શરતે આમ કરવા તૈયારી દર્શાવી છે. આ કારણે બ્રિટનની મુશ્કેલીઓમાં વધારો થાય તેવી સંભાવના છે. 

બ્રેક્ઝીટ અંગે ત્રણ પક્ષ બન્યા 
બ્રિટનના લોકોએ 23 જૂન, 2016ના રોજ એક જનમત સંગ્રહમાં નિર્ણય લીધો હતો કે બ્રિટને યુરોપિયન સંઘમાંથી વિખૂટું પડી જવું જોઈએ. આથી થેરેસા મે સરકારે એક બ્રેક્ઝીટ પ્લાન તૈયાર કર્યો હતો જેને 'વીથડ્રોઅલ ડીલ' નામ અપાયું છે. જેમાં બ્રિટન કેવી રીતે યુરોપિય સંઘમાંથી વિખૂટું પડશે અને તેની સંપૂર્ણ પ્રક્રિયા કેવી રહેશે તે નક્કી કરાયું છે. બ્રિટનની સંસદ આ પ્રસ્તાવથી નારાજ છે અને આ કારણે સમગ્ર કોકડું ગુંચવાઈ ગયું છે. 

સ્પીકર પણ છે નારાજ
બ્રિટનની સંસદના સ્પીકર જોન બેર્કોએ જણાવ્યું હતું કે, એક જ સંસદમાં વારંવાર ફગાવી દેવાયેલો પ્રસ્તાવ ફરીથી રજૂ કરી શકાય નહીં. થેરેસા મે પોતે તૈયાર કરેલી ડીલ પસાર કરાવા અડગ છે. હવે બ્રેક્ઝીટની તારીખ નજીક આવી જતાં તેમને તારીખને આગળ લઈ જવા યુરોપિય સંઘને અપીલ કરવી પડી છે. 

બ્રિટન પાસે કયા વિકલ્પ?
બ્રિટન પાસે અત્યારે જે વિકલ્પો ઉપલબ્ધ છે તે આ ડીલ પાસ ન થવાની સ્થિતિમાં 12 એપ્રિલ સુધી રહેશે નહીં. યુરોપિયન સંઘના અધ્યક્ષ ડોનાલ્ડ ટસ્કે જણાવ્યું કે, બ્રિટન સરકાર પાસે અત્યારે ચાર વિકલ્પ છે. એક- ડીલની સાથે અલગ થવું, બીજો-કોઈ ડીલ વગર અલગ થવું, ત્રીજો- એક લાંબો સમયગાળો(નવી તારીખ લેવી) અને ચોથો- ધારા-50ને રદ્દ કરવી. 

Theresa May

હવે, આમાં ધારા-50ને રદ્દ કરવાનો અર્થ છે બ્રેક્ઝીટને ફગાવી દેવું, જે જનમત સંગ્રહથી તંદ્દન વિપરીત વાત કહેવાશે. બીજું 12 એપ્રિલ સુધી જો કોઈ નિર્ણય નહીં લેવાય તો લાંબા સમય સુધી રોકાવાનો વિકલ્પ પણ અસંભવ છે. 

યુરોપીય સંઘના નેતાઓ બ્રિટિશ નેતાઓથી નારાજ છે 
યુરોપીય સંઘના નેતાઓ બ્રિટિશ નેતાઓના વલણથી ખૂબ જ નારાજ છે. હવે, જો કોઈ નિર્ણય લેવાશે નહીં તો 12 એપ્રિલના રોજ સંઘ 'કોઈ પણ પ્રકારના સમાધાન વગર અલગ થવાની પ્રક્રિયામાં પહોંચી જશે.' એવું કહેવાય છે કે, 12 એપ્રિલ અંતિમ તારીખ આપીને યુરોપીય સંઘે બ્રેક્ઝીટની સંપૂર્ણ પ્રક્રિયા પોતાના હાથમાં લઈ લીધી છે. 

દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news