એરફોર્સેના જવાનો દ્વારા કરાતી રાહત-બચાવ કામગીરીનું મીડિયા સમક્ષ કરાયું નિદર્શન

પૂર અને કુદરતી આફતો દરમિયાન ફસાઈ ગયેલા લોકોના રેસ્ક્યુ માટે ભારતીય વાયુસેનાની વિશેષ સેવા લેવામાં આવતી હોય છે અને એરફોર્સના જવાનો જીવના જોખમે આપત્તિમાં ફસાયેલા નાગરિકોનો જીવ બચાવતા હોય છે 
 

એરફોર્સેના જવાનો દ્વારા કરાતી રાહત-બચાવ કામગીરીનું મીડિયા સમક્ષ કરાયું નિદર્શન

હીતલ પારેખ/ગાંધીનગરઃ પૂર અને કુદરતી આફતો દરમિયાન ફસાઈ ગયેલા લોકોના રેસ્ક્યુ માટે ભારતીય વાયુસેનાની વિશેષ સેવા લેવામાં આવતી હોય છે અને એરફોર્સના જવાનો જીવના જોખમે આપત્તિમાં ફસાયેલા નાગરિકોનો જીવ બચાવતા હોય છે. એરફોર્સના જવાનો દ્વારા રાહત-બચાવ દરમિયાન કેવી રીતે કામગીરી કરવામાં આવે છે તેનું ગુરૂવારે ગાંધીનગર ખાતે આવેલા એરફોર્સ સ્ટેશનમાં મીડિયા સમક્ષ નિદર્શન યોજવામાં આવ્યું હતું.  

ગાંધીનગર પાસે આવેલા એરપોર્ટ સ્ટેશનમાં જવાનો દ્વારા પૂરની સ્થિતિમાં કેવી રીતે કામ કરવામાં આવે છે, હેલિકોપ્ટર MI 17 USના જવાનો દ્વારા પૂરમાં ફસાયેલા લોકોને કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવે છે તેના દિલધડક દ્રશ્યોનું લાઈવ નિદર્શન કરવામાં આવ્યું હતું. એરફોર્સ સ્ટેશન ખાતે હેલિકોપ્ટર દ્વારા ઉડાન ભરવાથી માંડીને બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવાતા સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તે પણ મીડિયાકર્મીઓને બતાવવામાં આવ્યું હતું.

એરફોર્સના પાયલોટ અને ગ્રૃપ કેપ્ટન શ્રીધરે ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, પૂરમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ખૂબ જ કપરી હોય છે. કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાતું હોય છે. હેલિકોપ્ટરને ઉતારવા માટે જગ્યા પણ હોતી નથી, જેના કારણે હેલિકોપ્ટરને હવામાં જ રાખીને નાગરિકોને રેસ્ક્યૂ કરવા પડતા હોય છે. 

શ્રીધરે વધુમાં જણાવ્યું કે, અમે જ્યારે નાગરિકોને બચાવવા જતાં હોઈએ છીએ ત્યારે હેલિકોપ્ટરનો અવાજ સાંભળીને અનેક લોકો ગભરાઈ જતા હોય છે. તેવી સ્થિતિમાં લોકોને સમજાવીને બચાવ કામગીરી કરતા હોઈએ છીએ. હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવા માટે જે સાધનો ઉપયોગ થાય છે તેમાં વધુમાં વધુ 300 કિલો સુધીનું વજન ઊંચકી શકાય છે. 

ગ્રુપ કેપ્ટન શ્રીધરે આગળ જણાવ્યું કે, પૂરની પરિસ્થિતિમાં રાહત-બચાવ કામગીરી ખુબ જ કપરી બની જાય છે, કેમ કે અમે જ્યારે હેલિકોપ્ટર લઈને પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પહોંચીએ ત્યારે લોકો બચવા માટે પડાપડી કરતા હોય છે. તે સમય અત્યંત મુશ્કેલી ભર્યો હોય છે. નજર સમક્ષ મોત દેખાતું હોવાના કારણે નાગરિકોને સમજાવવા મુશ્કેલ થઈ જાય છે. એરફોર્સ દ્વારા કરવામાં આવતી આ પ્રકારની તમામ કામગીરીનું ગાંધીનગર એરપોર્ટ સ્ટેશન ખાતે નિદર્શન કરવામાં આવ્યું હતું.

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news