સાવલીના MLAના રાજીનામા મુદ્દે CM રૂપાણીનું નિવેદન, 'કોંગ્રેસે ખુશ થવાની જરૂર નથી, તેમના ઘણા MLA લાઈનમાં છે'

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાના પગલે ભાજપમાં જે રાજકીય ભૂકંપ સર્જાયો છે તેના પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કેતનભાઈ સાથે જીતુભાઈ (પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી)ની વાત ચાલે છે. ધારાસભ્યના પ્રશ્નોનું નિરાકરણ કરે છે.

સાવલીના MLAના રાજીનામા મુદ્દે CM રૂપાણીનું નિવેદન, 'કોંગ્રેસે ખુશ થવાની જરૂર નથી, તેમના ઘણા MLA લાઈનમાં છે'

ઝી મીડિયા, દાહોદ: સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારે (Ketan Inamdar) બુધવારે રાજીનામુ આપી દેતા ગુજરાત ભાજપ (BJP) માં રાજકીય ભૂકંપ આવી ગયો છે. તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. હવે આ સમગ્ર મામલે મોટો ઘટનાક્રમ આજે ઘટતો જોવા મળ્યો છે. નગરપાલિકાના પ્રમુખ સહિત 23 સભ્યો રાજીનામા આપી દીધા છે. નપાના સભ્યો બાદ તાલુકા પંચાયતના 17 સભ્યોએ પણ રાજીનામા આપ્યા છે. આ ઉપરાંત સાવલી એપીએમસી 14 અને દેસર એપીએમસીના 14 સભ્યોએ પણ રાજીનામા ધરી દીધા છે અને હવે સંગઠનના 300થી વધુ હોદ્દેદારોએ પણ રાજીનામા આપી દીધા છે. ડેસરના 165 હોદ્દેદારો અને સાવલીના 300થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી જેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસે હરખવાની જરૂર નથી. તેમના ઘણા ધારાસભ્યો લાઈનમાં છે. 

કોંગ્રેસે હરખવાની જરૂર નથી-સીએમ રૂપાણી
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાના પગલે ભાજપમાં જે રાજકીય ભૂકંપ સર્જાયો છે તેના પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કેતનભાઈ સાથે જીતુભાઈ (પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી)ની વાત ચાલે છે. ધારાસભ્યના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. કોંગ્રેસે હરખવાની જરૂર નથી. સીએમ વિજય રૂપાણી દાહોદ ખાતે પોષિત અભિયાનના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યાં હતાં. અહીં તેમણે આ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસે હરખવાની જરૂર નથી તેમના ઘણા ધારાસભ્ય લાઈનમાં છે. 

ઈનામદારે ઈમાનદારીપૂર્વક રજુઆત કરી તે આવકાર્ય-ધાનાણી
અત્રે જણાવવાનું કે વિધાનસભામાં વિપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ આ મામલે કહ્યું હતું કે કેતન ઈનામદારે ઈમાનદારીપૂર્વક રજુઆત કરી તે આવકાર્ય છે. અધ્યક્ષ રાજીનામું સ્વીકારે તેવી અપેક્ષા છે. ભાજપના અનેક ધારાસભ્યોના મોઢે તાળા વાગ્યા છે. ભાજપના મિત્રો અપરાધભાવથી મુક્ત થાય તે જરૂરી છે. જેમની પણ સાથે અન્યાય થઈ રહ્યો છે તેમને કોંગ્રેસમાં આવકાર છે.

ભાજપના સભ્યો સાચુ બોલવા જાય તો તેમને વિમુખ કરવામાં આવે છે. ભાજપના અનેક ધારાસભ્યો અમારી સમક્ષ પણ તેમની વ્યથા વ્યક્ત કરતા હોય છે. અન્ય કેટલાક ધારાસભ્યો પણ રાજીનામું આપીને અપરાધભાવમાંથી મુક્ત થશે. ભાજપના ભય અને ભ્રષ્ટાચાર સામે હવે અવાજ ઉઠાવવાનું શરૂ થયું છે. સાચુ બોલનારને કોંગ્રેસ સમર્થન આપશે. 

જુઓ LIVE TV

ભાજપના MLA વિજયભાઈ અને નીતિનભાઈને ઘરે મોકલવાના મૂડમાં-અમિત ચાવડા
આ બાજુ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને અંકલાવ વિધાનસભાના સભ્ય અમિત ચાવડાએ પણ નિવેદન આપતા કહ્યું કે સમગ્ર જનતાની સાથે ભાજપના સભ્યો પણ ત્રસ્ત છે. ભાજપના સભ્યો બળવો કરવાના મૂડમાં છે. ભાજપના મંત્રીઓ અને અધિકારીઓ મનમાનીથી સરકાર ચલાવે છે. મુખ્યમંત્રી બદલવાની લડાઈ ચાલી રહી છે અને એના મૂળ ઈનામદારનું રાજીનામું છે.

સરમુખત્યારશાહીથી સરકાર ચાલી જાય પરંતુ પ્રેમ ન મેળવી શકાય એનો નમૂનો છે આ રૂપાણી સરકાર. ભાજપના ધારાસભ્યો વિજયભાઈ અને નીતિનભાઈને ઘરે મોકલવાના મૂડમા છે. મંત્રી બનવા માટે ભાજપમાં હરીફાઈ અને બળવો ચાલે છે. મુખ્યમંત્રી અડધી પીચે રમવા જશે તો તેમના જ સભ્યો સ્ટમ્પ આઉટ કરશે. વિજયભાઈને 2022 સુધીનો મેન્ડેટ મળ્યો છે. અમે આશા રાખીએ તે પૂર્ણ કરે. ભાજપના જ સભ્યો નથી ઈચ્છતા કે તેઓ 2022 સુધી રહે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news