અજિત પવાર BJPની સાથે, છતાં શરદ પવાર કેમ NCPમાંથી નથી કરતા હકાલપટ્ટી? આ રહ્યાં 2 મુખ્ય કારણ

મરાઠા રાજકારણની એબીસીડી ભણાવનારા કાકા અને એનસીપી સુપ્રીમો શરદ પવારના નિર્ણય વિરુદ્ધ જઈને બળવો પોકારનારા મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ લાવી દેનારા અજિત પવાર હજુ પણ એનસીપીમાં છે જેણે બધા માટે કૂતુહૂલ સર્જ્યુ છે. આ બળવા બાદ આજે ત્રીજા દિવસે પણ અજિત પવારને મનાવવાના પ્રયત્નો ચાલુ જ  છે. આજે તેમને મનાવવા માટે એનસીપીના દિગ્ગજ નેતા છગન ભુજબળ પહોંચ્યા હતાં.

અજિત પવાર BJPની સાથે, છતાં શરદ પવાર કેમ NCPમાંથી નથી કરતા હકાલપટ્ટી? આ રહ્યાં 2 મુખ્ય કારણ

મુંબઈ: મરાઠા રાજકારણની એબીસીડી ભણાવનારા કાકા અને એનસીપી(NCP) સુપ્રીમો શરદ પવાર(Sharad Pawar)ના નિર્ણય વિરુદ્ધ જઈને બળવો પોકારનારા મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ લાવી દેનારા અજિત પવાર(Ajit Pawar) હજુ પણ એનસીપીમાં છે જેણે બધા માટે કૂતુહૂલ સર્જ્યુ છે. આ બળવા બાદ આજે ત્રીજા દિવસે પણ અજિત પવારને મનાવવાના પ્રયત્નો ચાલુ જ  છે. આજે તેમને મનાવવા માટે એનસીપીના દિગ્ગજ નેતા છગન ભુજબળ(Chagan Bhujbal) પહોંચ્યા હતાં. સૂત્રોના જણાવ્યાં મુજબ શરદ પવાર પોતાના આ દાવ દ્વારા બેવડી ગેમ રમી રહ્યાં છે. તેમની કોશિશ છે કે 'સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે.' આ પાછળ બે કારણ કામ કરતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

મહારાષ્ટ્રના રાજકારણમાં પળેપળ ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે અને એનસીપી-શિવસેના(Shivsena)-કોંગ્રેસ અને ભાજપ+પવાર તરફથી એકબીજાને ચેક અને મેટની ગેમ ચાલી રહી છે. અજિત પવારની મદદથી એકબાજુ જ્યાં ભાજપ(BJP) સરકાર બનાવ્યા બાદ હવે બહુમત મેળવવાની જદ્દોજહેમત કરી રહો છે ત્યાં વિપક્ષી દળો પણ પોતાના વિધાયકોને તૂટતા બચાવવાની ગડમથલ કરી રહ્યાં છે. બદલાતા ઘટનાક્રમમાં એનસીપીએ દાવો કર્યો છે કે સોમવારે સવાર સુધીમાં તેના 54માંથી 52 ધારાસભ્યો પાછા આવી ગયા છે. 

અજિત પવાર હજુ પણ ઘૂંટણિયે પડવા તૈયાર નથી
આ બધા વચ્ચે અજિત પવાર હજુ પણ આ રાજકીય જંગમાં નમતુ ઝોખવા માટે તૈયાર નથી. અજિત પવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે હું એનસીપીમાં જ છું અને શરદ પવાર અમારા નેતા છે. ભાજપ-એનસીપીનું ગઠબંધન રાજ્યમાં આગામી 5 વર્ષ સુધી સ્થિર સરકાર આપશે. રાજ્ય અને લોકોના કલ્યાણ માટે અમારી સરકાર ગંભીરતાથી કામ કરશે. અજિત પવારની આ ટ્વીટ બાદ શરદ પવારે પણ ટ્વીટ કરીને ભત્રીજાને વળતો જવાબ આપ્યો હતો. 

અજિત પવારની ટ્વીટ બાદ એનસીપી ચીફ શરદ પવારે ટ્વીટ કરીને કહ્યું કે ભાજપની સાથે ગઠબંધન કરવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો. એનસીપીએ સર્વસંમતિથી સરકાર બનાવવા માટે શિવસેના અને કોંગ્રેસ(Congress) સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે. અજિત પવારનું નિવેદન ભ્રમ ફેલાવનારું અને ખોટું છે. જેનો હેતુ લોકોમાં ભ્રમ અને ખોટી ધારણા પેદા કરવાનો છે. અજિતના તખ્તાપલટની કોશિશ બાદ પણ શરદ પવારે પોતાના ભત્રીજાને પાર્ટીના વિધાયક દળના નેતા પદેથી તો હટાવી દીધા પરંતુ તેમને હજુ સુધી પાર્ટીમાંથી હાંકી કાઢ્યા નથી. 

જુઓ LIVE TV

બે કારણથી બચી રહ્યાં છે શરદ પવાર
રાજકીય ધૂરંધરોના જણાવ્યાં મુજબ એનસીપી ચીફ શરદ પવારના આ દાવની પાછળ બે કારણો હોઈ શકે છે. શરદ પવાર ઈચ્છે છે કે અજિત પવાર પરિવારમાં પાછા ફરે અને પરિવારની એક્તા જળવાઈ રહે. તેમને લાગી રહ્યું છે કે અજિત પવારને જો તેઓ પાછા લાવવામાં સફળ થાય તો ભાજપનો દાવ નિષ્ફળ જશે. 

બીજુ કારણ એ છે કે જો એનસીપી અજિત પવારને કાઢી મૂકે તો તેઓ એમએલએ તો બની રહેશે અને પાર્ટીને એક ધારાસભ્યનું નુકસાન સહન કરવું પડશે. આથી શરદ પવાર રાહ જોઈ રહ્યાં છે કે અજિત પવાર પાર્ટી છોડે અને તેમને બરખાસ્ત કરી શકાય. તેનાથી અજિત પવારની વિધાનસભા સદસ્યતા ખતમ થઈ જશે. અત્રે જણાવવાનું કે અજિત પવાર બારામતી વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. આ વિસ્તાર શરદ પવારનો ગઢ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news