સુશાંત કેસની CBI તપાસ પર સંજય રાઉત કાળઝાળ, કહ્યું- 'રાજીનામાની વાત નીકળી તો...'

સમગ્ર દેશ બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતના રહસ્ય પરથી પડદો ઉઠતો જોવા માંગે છે. દરેક જણ મોતનું સત્ય જાણવા માંગે છે અને હવે આ સત્ય સામે આવી શકે છે. કારણ કે દેશની સર્વોચ્ચ કોર્ટે સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. 
સુશાંત કેસની CBI તપાસ પર સંજય રાઉત કાળઝાળ, કહ્યું- 'રાજીનામાની વાત નીકળી તો...'

નવી દિલ્હી: સમગ્ર દેશ બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતના રહસ્ય પરથી પડદો ઉઠતો જોવા માંગે છે. દરેક જણ મોતનું સત્ય જાણવા માંગે છે અને હવે આ સત્ય સામે આવી શકે છે. કારણ કે દેશની સર્વોચ્ચ કોર્ટે સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. 

સુપ્રીમના ચુકાદા પર મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો
સુશાંત સિંહ રાજપૂતના મોત કેસ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના ચુકાદા બાદ મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. અધિકારીઓ સાથે ગૃહમંત્રીએ બેઠક કરી. તો આ બાજુ પોલીસ કમિશનર સાથે આ કેસના તપાસ અધિકારીએ મુલાકાત કરી છે. આ ઉપરાંત સંજય રાઉતે (Sanjay Raut)  પણ પોતાની દલીલ રજુ કરી છે અને એક પ્રકારે ધમકી જ આપી છે. 

'રાજીનામાની વાત નીકળશે તો દિલ્હી સુધી જશે'
દબાણ મહારાષ્ટ્ર સરકાર ઉપર પણ છે. સીએમ ઉદ્ધવ ઠાકરેના રાજીનામાની માગણી કરાઈ, એ સવાલ શિવેસના સાંસદ સંજય રાઉતને પણ કરવામાં આવ્યો હતો. સુશાંત કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શિવસેના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવ્યું છે. સંજય રાઉતે કહ્યું કે 'કાયદાથી ઉપર કોઈ નથી. બધાને પોતાનો ન્યાય અને અધિકાર મળવા જોઈએ. રાજીનામાની વાત નીકળી તો દૂર દિલ્હી સુધી જશે. રાજ્યની બદનામી કરવી યોગ્ય નથી.'

આ એ જ સંજય રાઉત છે કે જેમણે સુશાંતના મોતને આત્મહત્યા સાબિત કરવાની ભરપૂર કોશિશ કરી. જેણે વારંવાર એવું લખ્યું કે સુશાંતની અનેક ગર્લફ્રેન્ડ હતી, તેણે આત્મહત્યા કરી અને તેની આત્મહત્યાનો પ્રચાર થઈ રહ્યો છે. આવી બેકાર વાતો કરનારા સંજય રાઉતની જીભ પર આજે સુપ્રીમ કોર્ટના ચુકાદાએ મસમોટું તાળું મારી દીધુ છે. 

મુંબઈના પોલીસ કમિશનર પરમવીર સિંહે આપ્યું આ નિવેદન
સુપ્રીમ કોર્ટના ચુકાદા પર મુંબઈના પોલીસ કમિશનરનું પણ નિવેદન સામે આવ્યું છે. મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહે કહ્યું કે ચુકાદાની કોપી હજુ મળી નથી. ચુકાદાની કોપી મળ્યા બાદ જ કોઈ પ્રતિક્રિયા આપીશું. અર્થ સ્પષ્ટ છે કે દરેક જણ કઈ કહેવાથી બચી રહ્યાં છે. 

આ ચુકાદા બાદ સુશાંત સિંહ કેસમાં તપાસ અધિકારી અભિષેક ત્રિમુખે મુંબઈ પોલીસ કમિશનરને મળવા પહોંચ્યો. મુંબઈ પોલીસ કમિશનરે DCP ત્રિમુખે સાથે મુલાકાત કરી. અત્રે જણાવવાનું કે DCP અભિષેક ત્રિમુખે સુશાંત કેસની તપાસ કરી રહ્યાં હતાં. પરંતુ હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. 

મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસને મોટો ઝટકો
સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસને મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્ર સરકાર સુશાંત કેસની સીબીઆઈ તપાસનો વિરોધ કરી રહી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે મુંબઈ પોલીસને તપાસમાં સહયોગ આપવાનો આદેશ આપ્યો છે. 

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે નીતિશ સરકારે કેસની જે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી તે યોગ્ય હતી. પટણામાં જે એફઆઈઆર કરાઈ તે કાયદા સુસંગત છે. મુંબઈ પોલીસે આ કેસમાં તપાસ નથી કરી પરંતુ ફક્ત ઈન્ક્વાયરી કરી છે. મહારાષ્ટ્ર સરકારે હવે તપાસમાં સહયોગ કરવો પડશે. મુંબઈ પોલીસે આ કેસ અંગે તમામ પુરાવા સીબીઆઈને સોંપવા પડશે. આગળ પણ કોઈ એફઆઈઆર આ મામલે દાખલ થઈ તો તેને સીબીઆઈ જોશે. 

અત્રે જણાવવાનું કે લાંબા સમયથી સુશાંતનો પરિવાર અને તેના ફેન્સ સીબીઆઈ તપાસની માગણી કરી રહ્યાં હતાં. પરંતુ મહારાષ્ટ્ર સરકાર તેના માટે તૈયાર નહતી. સુશાંતના પરિવારે આ મામલાની તપાસ માટે પટણામાં એફઆઈઆર દાખલ કરી. ત્યારબાદ બિહાર  પોલીસની ટીમ તપાસ માટે મુંબઈ પહોંચી પરંતુ તેને મુંબઈ પોલીસનો સહયોગ મળ્યો નહીં. ત્યારબાદ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યોં.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પર બિહાર ડીજીપીનું રિએક્શન
સુપ્રીમ કોર્ટે બિહાર પોલીસની એફઆઈઆરને યોગ્ય ગણી છે અને કેસની તપાસનો અધિકાર સીબીઆઈને સોંપ્યો છે. બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ આ  ચુકાદાને સત્યની જીત ગણાવી છે. 

સુશાંત કેસની સીબીઆઈ તપાસને મંજૂરી મળ્યા બાદ સુશાંતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ ટ્વિટ કરીને ભગવાનનો આભાર પણ માન્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news