પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, મોરબીના દિગ્ગજ નેતા કિશોર ચિખલીયા ભાજપમાં જોડાયા

પેટાચૂંટણી (byelection) ને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસ માટે આ મોટો ઝાટકો કહી શકાય. તેઓએ વિધિવત રીતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો 

પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, મોરબીના દિગ્ગજ નેતા કિશોર ચિખલીયા ભાજપમાં જોડાયા

હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબીમાં પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર ફોર્મ ભરે તે પહેલા મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. આ સીટ પર કોંગ્રેસની ટિકિટ માટેના પ્રબલ દાવેદાર કિશોર ચિખલીયાનું નામ કપાતા તેઓ નારાજ થયા હતા અને કિશોર ચિખલીયા (kishor chikhaliya) આજે કોંગ્રેસ સાથે છેડો ફાડીને પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમા જોડાયા છે. ત્યારે પેટાચૂંટણી (byelection) ને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસ માટે આ મોટો ઝાટકો કહી શકાય. તેઓએ વિધિવત રીતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. ત્યારે ભાજપના આઈકે જાડેજાએ નિવેદનમાં કહ્યું કે, કિશોરભાઈ વિધિવત રીતે તેમના કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાયા છે. તેમના આવવાથી અમારી જીતની તાકાત વધી છે. કોંગ્રેસના સૂપડા સાફ થવાના છે. 

આ પણ વાંચો : નવરાત્રિમાં અંબાજી મંદિર રહેશે ખુલ્લુ, પણ આ સમયમાં જ ભક્તો કરી શકશે દર્શન 

લલિત કગથરા અને હાર્દિક પટેલે ખેલ પાડ્યો : કિશોર ચિખલીયા
ગઈકાલે મોડી રાત સુધી કિશોર ચીખલિયાને મનાવવાના કોંગ્રેસ દ્વારા ભરપૂર પ્રયાસો કરાયો હતો. મોડી રાત સુધી ખાનગી મીટિંગ ચાલી હતી. કિશોર ચિખલીયા હાલ કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતના પ્રમુખ છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ રજૂ કરે તે પહેલા કોંગ્રેસ માટે આ મોટો ફટકો છે. કોગ્રેસ પર ખુલ્લા આક્ષેપો કરતા કિશોર ચિખલીયાએ કહ્યું કે, હું જમીનનો માણસ હતો. જમીનમાં રહીને કામ કરતો હતો. પરંતુ કોંગ્રેસે મારી કદર કરી નથી. મોરબી જિલ્લા કોંગ્રેસના લલિત કગથરા અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ જેવાઓએ વ્યવહારો કરીને પાયાના કાર્યકર્તાનો ખેલ પાડ્ય છે. મને મારુ ભવિષ્ય હવે કોંગ્રેસમાં દેખાતું ન હતું. તેથી કોંગ્રેસની વિચારધારા છોડીને ભાજપની વિચારધારા સાથે જોડાયો છું. મેં અમિચ ચાવડા અને સીએલપી લીડર સુધી વાત પહોંચાડી હતી, પણ તેઓએ પણ યોગ્ય નિર્ણય લીધો ન હતો. 2017મા પણ આ જ લોકોએ મારા પર ખેલ પાડ્યો હતો. મને બદનામ કરવામાં આવ્યો હતો. તેથી હું ભાજપમાં જોડાયો છું. 

લલિત કગથરાએ આપ્યો જવાબ
પોતાના પર લાગેલા આરોપો વિશે કોંગ્રેસના નેતા લલિત કગથરાએ કહ્યું કે, પક્ષ પ્રત્યેની વફાદારી અને વાણી વર્તનને ધ્યાનમા રાખીને પાર્ટી ટિકિટ આપે છે. લલિત કગથરા કે હાર્દિક પટેલની તાકાત કોઈની ટિકિટ કાપવાની નથી. 

ભાજપ મહાસાગર છે - બ્રિજેશ મેરજા
કિશોર ચિખલીયાના ભાજપમાં જોડાવાથી મોરબી જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. ત્યારે મોરબીથી ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ કહ્યું કે, મોરબી જિલ્લા કોંગ્રેસનું રાજકારણ ખાડે ગયું છે. ભાજપ મહાસાગર છે. જેટલા લોકો કોંગ્રેસમાંથી આવશે તે તમામને આવકારાશે. ભાજપની મોરબીમાં જંગી જીત થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news