ઓટો ઈન્ડસ્ટ્રીઃ છેલ્લા બે દાયકામાં પ્રથમ વખત પેસેન્જર વ્હિકલના વેચાણમાં 31 ટકાનો ઘટાડો

ભારતમાં અત્યારે ઓટોમોબાઈલ ઉદ્યોગ 19 વર્ષની સૌથી મોટી મંદીમાંથી પસાર થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોનાં રોજગાર છીનવાઈ ગયા હોવાનું અનુમાન છે, આ અગાઉ વર્ષ 2000માં પેસેન્જર વાહનોના વેચાણમાં આટલો મોટો ઘાટડો નોંધાયો હતો 

ઓટો ઈન્ડસ્ટ્રીઃ છેલ્લા બે દાયકામાં પ્રથમ વખત પેસેન્જર વ્હિકલના વેચાણમાં 31 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ છેલ્લા કેટલાક મહિનાથી મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યો છે અને હવે આ મંદી વિક્રમજનક સ્તરે પહોંચી ગઈ છે. દેશના ઓટો ઉદ્યોગમાં લગભગ બે દાયકામાં પ્રથમ વખત પેસેન્જર વ્હિકલના વેચાણમાં 31 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે આ મહિનામાં વેચાયેલી 2,90,391 યુનિટ કારની સરખામણીએ આ મહિને 2,00,790 વાહન જ વેચાયા છે. પેસેન્જર કાર સેગમેન્ટમાં આ ઘટાડો 35.95 ટકાનો નોંધાયો છે. 

જુલાઈ, 2018માં વેચાયેલા 79,063 યુનિટની સરખામણીએ જુલાઈ, 2019માં યુટિલિટી વ્હિકલનું વેચાણ 67,030 યુનિટ થયું હતું, જે 15.22 ટકાનો ઘટાડો દર્શાવે છે. વેન સેગમેન્ટના વેચાણમાં તો 45.58 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

દેશના ઓટો ઉદ્યોગમાં 19 વર્ષ બાદ આટલી મોટી મંદી જોવા મળી રહી છે. છેલ્લે વર્ષ 2000માં પેસેન્જર વાહનોના વેચાણમાં આટલો મોટો ઘટાડો નોંધાયો હતો અને એ સમયે ઓટો બજાર 35 ટકા જેટલું તુટ્યું હતું. એ સમયે પેસેન્જર કારમાં 39.86 ટકા જેટલું વેચાણ ઘટી ગયું હતું.  

આ મંદી એવા સમયે આવી રહી છે જ્યારે દેશમાં નવા સુરક્ષા નિયમો અને વાહન સંબંધિત દંડની નવી જોગવાઈઓ લાગુ થવા જઈ રહી છે. કાર નિર્માતા કંપનીઓ અને તેનાં સાધનો બનાવતા નાના ઉદ્યોગોએ લગભગ રૂ.80,000 કરોડનું રોકાણ કરી નાખ્યું છે. હવે જો બજારની હાલત સુધરશે નહીં તો આ રોકાણમાંથી બહાર નિકળવું કંપનીઓ માટે મુશ્કેલ બની જશે. 

આ મંદિમાંથી બહાર નિકળવા માટે તાજેતરમાં જ દેશના ઓટો દિગ્ગજોએ નાણામંત્રીને મળીને રાહત પેકેજ આપવાની માગ કરી હતી. ઓટોમોબાઈલ ઉદ્યોગના સંગઠન SIAM દ્વારા પેસેન્જર વાહનો પર લાગતો GST તાત્કાલિક ઘટાડવાની માગ કરાઈ છે. SIAMના અનુસાર GSTના દરને 28 ટકાથી 18 ટકાનો કરવો જોઈએ. 

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં આવેલી આ મંદીની સીધી ઉદ્યોગમાં કામ કરતા લોકોના રોજગાર પર પડી છે. છેલ્લે આવેલા અહેવાલો મુજબ અત્યાર સુધી ઓટો ઉદ્યોગના 3 લાખથી વધુ લોકોને રોજગાર ગુમાવાનો વારો આવ્યો છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ 6 ટકા કર્મચારીઓને હાંકી કાઢ્યા છે, તો નિસાન ઈન્ડિયાએ તાજેતરમાં જ 1,710 કર્મચારીને ઘરનો રસ્તો દેખાડ્યો છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news