મોદી સરકાર 2.0: લોકસભા અધ્યક્ષ માટે દલિત અને મહિલા સમીકરણો પર વિચાર

મંત્રીમંડળમાં સામાજિક અને ક્ષેત્રીય સંતુલન બનાવ્યા પછી હવે નવા લોકસભા અધ્યક્ષ માટે ભાજપ રાજકીય સમીકરણો સાધવાનો પ્રયાસ કરશે. આ પદ દલિત વર્ગમાંથી આવતા કોઈ નેતા, મહિલા કે પછી લઘુમતિ સમુદાયની વ્યક્તિને આપવામાં આવે તેવી સંભાવના છે. 

મોદી સરકાર 2.0: લોકસભા અધ્યક્ષ માટે દલિત અને મહિલા સમીકરણો પર વિચાર

નવી દિલ્હીઃ મંત્રીમંડળમાં સામાજિક અને ક્ષેત્રીય સંતુલન બનાવ્યા પછી હવે નવા લોકસભા અધ્યક્ષ માટે ભાજપ રાજકીય સમીકરણો સાધવાનો પ્રયાસ કરશે. આ પદ દલિત વર્ગમાંથી આવતા કોઈ નેતા, મહિલા કે પછી લઘુમતિ સમુદાયની વ્યક્તિને આપવામાં આવે તેવી સંભાવના છે. લોકસભામાં સૌથી વરિષ્ઠ મેનકા ગાંધી છે, જ્યારે વિરેન્દ્ર કુમાર સાત વખત, એસ.એસ.અહલુવાલિયા, જિગજિગાની રમેશ ચંદ્રપ્પા, રાધામોહન સિંહ 6-6 વખત સાંસદ રહેવાની સાથે વરિષ્ઠ નેતાઓની યાદીમાં આગળ છે. 

ભાજપ અને એનડીએ ગઠબંધનનો પૂર્ણ બહુમત સાથે વિજય થયો હોવાના કારણે નવા અધ્યક્ષની નિર્વિરોધ ચૂંટણી લગભગ નક્કી છે. આ પદ માટે અત્યારે મેનકા ગાંધી અને એસ.એસ. અહલુવાલિયાનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. 8 વખતના લોકસભા સાંસદ મેનકા ગાંધીનો કેન્દ્ર સરકારમાં સમાવેશ કરાયો નથી. મેનકાના અધ્યક્ષ બનવાથી કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થશે, જ્યારે અહલુવાલિયા વરિષ્ઠ હોવાની સાથે-સાથે સંસદીય બાબતોના ઊંડા જાણકાર છે. અહલુવાલિયા લઘુમતિ શીખ સમુદાયના છે. પશ્ચિમ બંગાળના સાંસદ હોવાના કારણે ભાજપને આ રાજ્યમાં પણ લાભ મળશે. 

દલિત વર્ગને પણ આપી શકાય છે 
દલિત વર્ગમાંથી આવતા મધ્યપ્રદેશના વિરેન્દ્ર કુમાર 7 વખતથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે, જ્યારે કર્ણાટકના રમેશ જિગજિગાની 6 વખતના સાંસદ છે. જિગજિગાની આ અગાઉ કર્ણાટકમાં વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધામોહન સિંહ પણ સાંસદ તરીકે 6 વખત ચૂંટાયેલાં છે. સામાન્ય રીતે ત્રીશંકુ ગૃહમાં સ્પીકરની ભૂમિકા અત્યંત મહત્વની થઈ જાય છે. 

ઉપાધ્યક્ષ માટે મહતાબના નામની ચર્ચા 
લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થયા પછી ઉપાધ્યક્ષ પદની પણ ચૂંટણી યોજાશે. સામાન્ય રીતે આ પદ વિરોધ પક્ષ પાસે જાય છે, પરંતુ કોંગ્રેસ બીજી વખત મુખ્ય વિરોધ પક્ષનો દરજ્જો મેળવવા માટે જરૂરી સાંસદ ચૂંટાવી શકી નથી. આથી આ કારણે આ પદ ફરી એક વખત કોઈ અન્ય વિરોધ પક્ષ પાસે જઈ શકે છે. 

સૂત્રો અનુસાર આ વખતે તેના માટે બીજુ જનતા દલને પ્રાથમિક્તા આપી શકાય છે. બીજુ જનતા દલમાંથી સંસદયી બાબતોના જાણકાર અને વરિષ્ઠ સાંસદ ભતૃહરિ મહતાબનું નામ તેના કારણે જ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે, ગત લોકસભામાં આ પદ અન્નાદ્રમુક (AIDMK)ને આપવામાં આવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, લોકસભા અધ્યક્ષની ચૂંટણી 19 જૂનના રોજ યોજાવાની છે. સંસદનું બજેટ સત્ર 17 જુનથી શરૂ થશે અને 26 જુલાઈ, 2019 સુધી ચાલશે. દેશના પ્રથમ પૂર્ણકાલિન મહિલા નાણામંત્રી નિર્મલા સિતારામન 2019-20નું પૂર્ણ બજેટ લોકસભામાં 5 જુલાઈના રોજ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય ચૂંટણીને કારણે વચગાળાનું બજેટ ફેબ્રુઆરીમાં તત્કાલિન નાણામંત્રી પિયુષ ગોયલે રજૂ કર્યું હતું.

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news