મહારાષ્ટ્રમાં આદિત્ય ઠાકરેને નાયબ મુખ્યમંત્રી બનાવવા શિવસેનાની માગઃ રિપોર્ટ

એવું કહેવાય છે કે જો ભાજપ દ્વારા શિવસેનાની આ માગનો સ્વીકાર કરવામાં આવશે તો 29 વર્ષના આદિત્ય ઠાકરો માટે આ પ્રથમ રાજકીય પોસ્ટ ગણાશે, શિવસેનાએ લોકસભામાં પણ ડેપ્યુટી સ્પીકર પદ આપવા ભાજપ સમક્ષ માગ કરી છે 
 

મહારાષ્ટ્રમાં આદિત્ય ઠાકરેને નાયબ મુખ્યમંત્રી બનાવવા શિવસેનાની માગઃ રિપોર્ટ

મુંબઈઃ શિવસેનાએ રાજ્ય મંત્રીમંડળમાં આદિત્ય ઠાકરેને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવા માટે ભારતીય જનતા પાર્ટી સમક્ષ માગ મુકી છે. આ અંગે શિવસેનાની મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા પણ થઈ ગઈ છે. ડીએનએના રિપોર્ટ મુજબ પાર્ટીના આંતરિક સૂત્રોએ જણાવ્યું છે કે, શુક્રવારે કે શનિવારે ફડણવીસ મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને શિવસેનાએ તેમાં આદિત્ય માટે પદની માગણી કરી છે. 

જોકે, આ અગાઉ પાર્ટીએ એવું સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ આધિકારીક પદ પર રહેશે નહીં. હવે, આદિત્યને ફડણવીસ પછી બીજા નંબરની વ્યક્તિ તરીકે શ્રેષ્ઠ ઉમેદવાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, આદિત્યએ આ અંગે કશું જ કહેવાનું ટાળ્યું હતું. 

એવું કહેવાય છે કે જો ભાજપ દ્વારા શિવસેનાની આ માગનો સ્વીકાર કરવામાં આવશે તો 29 વર્ષના આદિત્ય ઠાકરો માટે આ પ્રથમ રાજકીય પોસ્ટ ગણાશે. આ સાથે જ શિવસેનામાં એક મોટો પેઢીગત ફેરફાર જોવા મળશે, જેના ભાજપ સાથે પ્રેમ અને નફરત એમ બંને પ્રકારના સંબંધો રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરની લોકસભા ચૂંટણીમાં બંને પક્ષોએ ભાગીદારીમાં ચૂંટણી લડી હતી અને જોરદાર પરિણામ લાવ્યા હતા. શિવસેનાએ રાજ્યની 18 સંસદીય બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે ભાજપે 23 બેઠકો જીતી હતી. કોંગ્રેસ અને એનસીપીને તેમણે જોરદાર પછડાટ આપી હતી. 

શિવસેના આ ઉપરાંત લોકસભામાં પણ ડેપ્યુટી સ્પિકરના પદ પર નજર રાખી રહી છે. પાર્ટીએ આ પદ માટે ગજાનન કિર્તિકરના નામનું સુચન પણ કર્યું છે. આ અંગે શિવસેનાના સંજય રાઉતે જણાવ્યું કે, આ તેમની કોઈ માગ નથી પરંતુ પાર્ટીનો અધિકાર છે. જોકે, ભાજપે આ પ્રસ્તાવનો આધિકારીક સ્વીકાર કર્યો નથી અને એવું પણ કહેવાય છે કે આ પદ વાયએસઆર કોંગ્રેસના કોઈ ઉમેદવારને આપવામાં આવશે. 

જોકે, આદિત્ય ઠાકરેને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનાવવા પાછળ બંને પાર્ટીઓ વચ્ચેની સમાધાનનો એક ઉકેલ હોઈ શકે છે. આ સાથે જ રાજ્યમાં આ વર્ષના અંત સુધીમા યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પણ શિવસેનાને તેનો ઘણો ફાયદો મળી શકે છે. નિયમ મુજબ કોઈ વ્યક્તિ જો વિધાનસભાનો સભ્ય ન હોય તો 6 મહિના સુધી મંત્રીપદ ભોગવી શકે છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news