પેટા ચૂંટણી: જાણો સૌરાષ્ટ્રના પેરિસ સમાન મોરબી માળીયા વિધાનસભા બેઠકનું ગણિત

આગામી 3 નવેમ્બરના રોજ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 8 બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. 8 પૈકી 1 બેઠક સૌરાષ્ટ્રના પેરિસ સમાન મોરબી માળીયા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. એક સમયે સૌરાષ્ટ્રના પેરિસ સમાન મોરબી માળીયા વિધાનસભા બેઠક પર આગામી 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે.
પેટા ચૂંટણી: જાણો સૌરાષ્ટ્રના પેરિસ સમાન મોરબી માળીયા વિધાનસભા બેઠકનું ગણિત

રક્ષિત પંડ્યા, રાજકોટ: આગામી 3 નવેમ્બરના રોજ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 8 બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. 8 પૈકી 1 બેઠક સૌરાષ્ટ્રના પેરિસ સમાન મોરબી માળીયા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. એક સમયે સૌરાષ્ટ્રના પેરિસ સમાન મોરબી માળીયા વિધાનસભા બેઠક પર આગામી 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે.

ગત વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા બની બ્રિજેશ મેરજા મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે 2.5 વર્ષ બાદ થોડા સમય પહેલા રાજ્યસભાની ચૂંટણી સમયે તેઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપ્યું હતું. જેથી મોરબી બેઠક પર ફરી પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ બેઠક પર ભાજપ દ્વારા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી આવેલ બ્રિજેશ મેરજાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા જેન્તીભાઈ જેરામભાઇ પટેલ ને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

65 મોરબી માળિયા વિધાનસભા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ રહ્યું છે અને આ બેઠક ભાજપના ગઢ સમાન માનવામાં આવે છે. આ બેઠકમાં કુલ મળીને 2,70,906 મતદારો નોંધાયા છે. જેમાં 1,41,583 પુરુષ અને 1,29,322 સ્ત્રી તેમજ 2 અન્ય મતદારો નોંધાયા છે.

ક્યાં સમાજમાથી કેટલા મતદારો...
(1) 70,000 પટેલ
(2) 40,000 લઘુમતી  
(3) 20,000 સતવારા
(4) 25,000 હરિજ્ન- કોળી
(5) 7,000 જૈન
(6) 8,000 લોહાણા
(7) 9,000 બ્રાહ્મણ
(8) 10,000 આહીર
(9) 11,000 લુહાર, સુથાર અને દરજી
(10) 8,000 ભરવાડ રબારી
(11) 8,000 ક્ષત્રિય
(12) 8,000 વ્યાસ, મોચી અને સિંધી
(13) 5,000 સોની અને પ્રજાપતિ

આ ઉપરાંત મહેશ્વરી, વાંજા, નાગર, મહારાષ્ટ્રીયન, પરપ્રાંતીય લોકો કે જે મોરબીમાં સ્થાયી થયેલા છે તે મતદારોનો પણ સમાવેશ થાય છે.

વર્ષ 2017ની ચુંટણીમાં કોંગ્રેસનાં બ્રિજેશ મેરજાએ ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાને હાર અપાવી હતી. જ્યારે વર્ષ 2012ની ચુંટણીમાં ભાજપના કાંતિ અમૃતિયાએ કોંગ્રેસનાં બ્રિજેશ મેરજાને હાર અપાવી હતી.

કોણ છે જેન્તી જેરાજભાઈ પટેલ શુ છે તેનો રાજકીય ઇતિહાસ..?
આગામી 3 તારીખના રોજ યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મોરબી માળીયા બેઠક પર જયંતભાઈ જેરાજભાઇ પટેલ એટલે કે જેન્તીભાઇ જેરાજભાઈ પટેલને કોંગ્રેસ પક્ષે મેદાને ઉતાર્યા છે. જેન્તીભાઇ પટેલનો જન્મ 16-08-1956ના રોજ મોરબી જિલ્લાના બરવાળા ગામે થયો હતો. જે પોતે હાલમાં મોરબીના એક નામી ઉદ્યોગપતિ તરીકેની છાપ ધરાવી રહ્યા છે અને હાલમાં તેઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે.

જેન્તીભાઇ ચુસ્ત કોંગ્રેસી તરીકે છાપ ધરાવે છે અને તેઓ છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે. અત્યાર સુધી જેન્તીભાઇ પટેલ 5 વખત મોરબી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી છે. જેમાં એક વખત અપક્ષ અને ચાર વખત કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી ચુક્યા છે. જો કે તમામ વખતે તેઓને હાર મળી છે. વર્ષ 1990, 1995, 2002 અને 2007માં કોંગ્રેસ પક્ષમાંથી તેમજ વર્ષ 1997માં થયેલ ચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવારી કરી હાર મેળવી હતી.

મોરબીમાં સ્થાનિક લોકોમાં રોષ જરૂર જોવા મળી રહ્યો છે. રોડ, રસ્તા, શુધ્ધ પાણી, સાફસફાઇ, શિક્ષણ, બાગ બગીચા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી લોકો નેતાઓ સામે રોષ ઠાલવી રહ્યા છે. ચૂંટણી સમયે મત માંગવા આવે છે બાદમાં કોઈ નેતા પ્રજાની સ્થિતિ જાણવા આવી શકતા નથી તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. મોરબીને પેરિસની ઓળખ આપવામાં આવે છે પણ મોરબી શહેરના રસ્તા ગામડાથી પણ ખરાબ સ્થિતિમાં હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.

ભૂગર્ભ ગટરની સુવિધાના અભાવથી દર વર્ષે ચોમાસામાં લોકોના ઘરમાં અને રસ્તા પર પાણી ભરાય જવાની સમસ્યા અને રોડ રસ્તા સાંકડા હોવાથી ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોની વેદના અને પીડા ઘણી છે જે પીડા અને આક્રોશ આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જોવા મળે તો નવાઈ નહીં.

બ્રિજેશ મેરજાનું કહેવું છે કે વિપક્ષના ધારાસભ્ય હોવા છતાં તેઓએ રાજ્ય સરકારની ગ્રાન્ટ મારફત કરોડો રૂપિયાના રોડ રસ્તા બનાવ્યા છે, મેડિકલ કોલેજ માટે સરકાર પાસેથી જમીનની ફાળવણી કરાવેલ છે. પરંતુ બીજી બાજુ કોંગી ઉમેદવાર અને સ્થાનિકો કહી રહયા છે.

મોરબીમાં સારા રોડ રસ્તા એક પણ વિસ્તારમાં જોવા નથી મળતા. ભાજપમાંથી ચૂંટાય અને મોરબીનો હજુ મજબૂત વિકાસની ખાતરી મતદારોને બ્રિજેશ મેરજાએ આપી છે. તો બીજી બાજુ કોંગી ઉમેદવાર જેન્તીભાઇ પટેલ પોતાનો ધારાસભ્ય તરીકેનો તમામ પગાર જનતાના કામોમાં વાપરવા અને મોરબીને પેરિસની ઓળખ પાછી લઇ આવી આપવા ખાતરી આપી છે.

મોરબીનો સીરામીક અને ઘડિયાળ ઉદ્યોગ સમગ્ર દેશ અને દુનિયામાં પ્રચલિત છે. મોરબીનો સીરામિક ઉદ્યોગ આજે 154 દેશમાં પોતાનો માલ સપ્લાય કરે છે. આ સીરામીક ઉદ્યોગની પણ કેટલીક આશા અપેક્ષા સરકાર પાસે અને આવનાર ધારાસભ્ય પાસે રહેલ છે. સીરામીક ઉદ્યોગ વિસ્તારમાં સારા રસ્તા, શુધ્ધ પાણી, ફિલ્ટર પ્લાન્ટ અને ગેસના ભાવમાં થોડો ઘટાડો કરી આપવા માંગ કરવામા આવી છે.

જેથી તેઓ મોરબીના આ ઉદ્યોગને વર્લ્ડના બીજા નંબરના ઉદ્યોગમાંથી પ્રથમ નંબરનો ઉદ્યોગ બનાવી શકે અને ગુજરાત અને ભારતનું નામ રોશન કરી શકે. હાલમાં કુલ 900 જેટલા નાના મોટા સીરામીક ઉદ્યોગ કાર્યરત છે અને દિવાળી સુધી નવા 80થી 100 ઉદ્યોગ શરૂ થવાની શકયતા જોવામાં આવી રહી છે.

બીજી બાજુ ઘડિયાળ ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગ પતિઓની પણ આશા અને અપેક્ષા સરકાર અને આવનાર ધારાસભ્ય પાસે રહેલ છે. જેમાં નજર કરીએ તો ઘડિયાળ ઉદ્યોગનો લાતી પ્લોટ વિસ્તાર કે જેમાં લાખો લોકોને રોજીરોટી આપવામાં આવી રહી છે. મોરબી નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ આ વિસ્તારના ઉદ્યોગકારો ચૂકવતા હોવાનું સામે આવ્યું છે. ત્યાં પણ રોડ રસ્તા, પીવાનું પાણી, શુધ પાણી, વીજ પુરવઠો રેગ્યુલર અને GSTના સ્લેબમાં 18ના બદલે 12 ટકા માટે માંગ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news