ગુજરાતમાં નવી સોલાર પાવર પોલિસી 2021ની થઈ જાહેરાત

સતત વિકાસની હરણફાળ ભરી રહેલ ગુજરાતમાં સમય સાથે નવા બદલાવ જરૂરી છે. ઉદ્યોગો હવે નવા ચેલેન્જિસ ફેસ કરી રહ્યા છે. ત્યારે તેના નીતિ નિયમોમાં પણ બદલાવ આવે તે જરૂરી છે. આવામાં ગુજરાત સરકાર દ્વારા નવી સોલાર પોલિસી 2021 (solar policy) ની જાહેરાત કરાઈ છે. આ પોલિસી પાંચ વર્ષની રહેશે. જેનાથી મોટા તેમજ નાના અને ઉદ્યોગકારોને લાભ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ઉદ્યોગકારો માટે આ મોટી જાહેરાત કરી છે.

ગુજરાતમાં નવી સોલાર પાવર પોલિસી 2021ની થઈ જાહેરાત
  • ચીનને ટક્કર આપીને ગુજરાતની પ્રોડક્ટ્સની દુનિયાભરમાં ડિમાન્ડ વધારે તેવી છે આ સોલાર પોલિસી 
  • ભારતમાં પહેલી સોલાર ઓપન પોલિસી ગુજરાતની છે. નવી સોલાર પોલિસીથી ત્રણ મોટા ફાયદા થશે

ઝી મીડિયા/બ્યૂરો :સતત વિકાસની હરણફાળ ભરી રહેલ ગુજરાતમાં સમય સાથે નવા બદલાવ જરૂરી છે. ઉદ્યોગો હવે નવા ચેલેન્જિસ ફેસ કરી રહ્યા છે. ત્યારે તેના નીતિ નિયમોમાં પણ બદલાવ આવે તે જરૂરી છે. આવામાં ગુજરાત સરકાર દ્વારા નવી સોલાર પોલિસી 2021 (solar policy) ની જાહેરાત કરાઈ છે. આ પોલિસી પાંચ વર્ષની રહેશે. જેનાથી મોટા તેમજ નાના અને ઉદ્યોગકારોને લાભ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ઉદ્યોગકારો માટે આ મોટી જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારે હંમેશા પોલિસી આધારિત વહીવટી કાર્યદક્ષિતા વધારી છે. ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ બેસ્ટ ડેસ્ટીનેશન સ્ટેટ બન્યું છે. વધુ ને વધુ ઈન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. પોલિસીથી નાના અને મોટા ઉદ્યોગકારોની ગુજરાતમાં પાવર કોસ્ટ નીચે આવશે. હાલ 8 રૂપિયા પર યુનિટ વીજળી મળે છે. સોલાર પાવરમાં પોલિસીને ઓપન કરી છે. નવી પોલિસીમાં પાવર કોસ્ટ 4.5 રૂપિયાની આસપાસ આવશે. નવી પોલિસીથી પ્રોડક્શન કોસ્ટ ઘટશે. જેથી ગુજરાતના ઉદ્યોગો પ્રોડક્ટની દુનિયાભરમાં કોમ્પિટિશનમાં સારી રીતે કોમ્પિટ કરી શકશે. જેથી આગામી દિવસોમાં મેડ ઈન ગુજરાત વિશ્વભરમાં છવાઈ જશે. આપણી પાસે સ્કીલ છે. ક્વોલિટીમાં દુનિયાભરમાં ટક્કર લઈ શકીએ છીએ. સવાલ માત્ર કોસ્ટીંગની હતી. ચીન ઓછા ભાવને કારણે દુનિયાભરમાં પોતાનો માલ વેચી શકે છે. તેથી ચીનને ટક્કર આપવા પાવર કોસ્ટને ઘટાડવામાં આવી છે. સોલારમાં પોલિસીને ઓપન કરવામાં આવી છે. નાના તેમજ મોટા ઉદ્યોગો સોલારથી પોતાની વીજળી વાપરી શકે છે. 

ભારતમાં પહેલી સોલાર ઓપન પોલિસી ગુજરાતની છે. ત્યારે નવી સોલાર પોલિસીથી ત્રણ મોટા ફાયદા થશે.

  • પાવર કોસ્ટ નીચે આવશે
  • દુનિયાભરમાં ગુજરાતની પ્રોડક્ટને સ્થાન મળશે
  • ઉદ્યોગો ધમધમશે તો મોટાપાયે રોજગારીનું સર્જન થશે

આ પણ વાંચો : બે સ્વેટર પણ ઓછા પડે તેવી હાડ થીજવતી ઠંડી પડી, ગુજરાતના દરેક શહેરમાં પારો ગગડ્યો

નવી પોલિસીના મહત્વના મુદ્દા

  • આ નવી સોલર પાવર પોલીસી આગામી પાંચ વર્ષ એટલે કે ૩૧-૧૨-૨૦૨૫ સુધી કાર્યરત રહેશે. જેમાં સ્થાપિત સોલર પ્રોજેક્ટ્સ માટેના લાભો 25 વર્ષના પ્રોજેક્ટ સમયગાળા માટે મેળવી શકાશે. આ પોલીસી અંતર્ગત રહેણાંક હેતુના ગ્રાહકો માટે, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો દ્વારા કેપ્ટિવ ઉપયોગ માટેના, થર્ડ પાર્ટી દ્વારા ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકને વેચાણ માટેના, વીજ વિતરણ કંપનીઓને (ડિસ્કોમ) વીજ વેચાણ કરવા માટેના પ્રોજેક્ટ્સ સ્થાપી શકાશે. 
  • આ પોલીસી હેઠળ, કોઈપણ વ્યક્તિ / વિકાસકર્તા (developer)  / ગ્રાહક / ઇન્ડસ્ટ્રી જરુરીયાત મુજબ, ક્ષમતાની મર્યાદા વિના, સોલર પ્રોજેક્ટ્સ સ્થાપિત કરી શકે છે જ્યારે હાલના  મંજૂર થયેલ લોડ / કરાર માંગની 50%  ની મર્યાદા દૂર કરવામાં આવી છે. 
  • ગ્રાહકો તેમની છત / જગ્યા પર સોલર પ્રોજેક્ટ્સ સ્થાપી શકે છે અથવા તેમની છત / જગ્યાનાં પરિસરને વીજ ઉત્પાદન અને વીજ વપરાશ માટે તૃતીય પક્ષને લીઝ પર પણ આપી શકશે. 
  • પ્રોજેક્ટ ડેવલોપર દ્વારા વીજ વિતરણ કંપનીને ચૂકવવાની થતી સિક્યોરિટી ડિપોઝિટની રકમને પ્રતિ મેગાવોટ રૂ. 25 લાખથી ઘટાડીને હવે પ્રતિ મેગાવોટ રૂ. રૂ. 5 લાખ કરવામાં આવી છે. 
  • નાના પાયાના સોલાર પ્રોજેક્ટ્સને પ્રોત્સાહિત કરવા માટે, વીજ વિતરણ કંપનીઓ હવે આ નાના પાયાના સોલર પ્રોજેક્ટ્સ (4 મેગાવોટ સુધી) માંથી સ્પર્ધાત્મક બીડ દ્વારા નક્કી થયેલ ટેરિફ ઉપરાંત 20 પૈસા પ્રતિ યુનિટ વધુ ચૂકવી વીજ ખરીદી કરશે. જ્યારે ૪ મેગાવોટથી વધારાની કેપેસીટીનાં પ્રોજેક્ટ્સમાંથી વીજ વિતરણ કંપનીઓ દ્વારા સ્પર્ધાત્મક બીડ હેઠળ સૌર ઉર્જા ખરીદી કરશે. 
  • ગ્રાહકો પાસે જે ઊર્જા ઉત્પન્ન થશે તે એમના વપરાશ બાદની વધારાની ઊર્જાની ખરીદી રાજય સરકાર કરશે. રહેણાંક ગ્રાહકો (સૂર્ય ગુજરાત યોજના) અને એમએસએમઇ (મેન્યુફેક્ચરીંગ) દ્વારા કેપ્ટિવ ઉપયોગ કરતાં ગ્રાહકો માટે તેમના વપરાશ બાદ થયેલ વધારાની ઉર્જા ડિસ્કોમ દ્વારા પ્રતિ યુનિટ દીઠ રૂ. ૨.૨૫ પ્રમાણેના દરથી પ્રથમ પાંચ વર્ષ માટે ચૂકવશે. 
  • પ્રોજેક્ટ કાર્યાન્વિત થયાના અગાઉના 6 મહિનામાં GUVNL દ્વારા નોન-પાર્ક આધારિત સોલાર પ્રોજેક્ટ્સ માટેની સ્પર્ધાત્મક બિડિંગ (ટેન્ડર) પ્રક્રિયા દ્વારા શોધાયેલ અને કરાર કરાયેલા સરેરાશ ટેરિફના ૭૫% ના દર પ્રમાણે વધારાની ઊર્જાની ખરીદી કરાશે જે બાકીના સમયગાળા માટે નિશ્ચિત રહેશે.
  • અન્ય તમામ ગ્રાહકો માટે, પ્રોજકટ કાર્યાન્વિત થયાના અગાઉના 6 મહિનામાં GUVNL દ્વારા નોન-પાર્ક આધારિત સોલાર પ્રોજેક્ટ્સ માટેની સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા નક્કી થયેલ અને કરાર કરાયેલા નવીનતમ ટેરિફના ૭૫% ના દરે કરશે જે 25 વર્ષના પ્રોજેક્ટ જીવનકાળ માટે નિશ્ચિત રહેશે.
  • HT તથા LT (ડિમાન્ડ આધારિત) ગ્રાહકો માટે બેન્કિંગ ચાર્જ સોલર વીજ વપરાશ મુજબ રૂ.૧.૫૦  પ્રતિ યુનિટ રહેશે  જ્યારે તે સિવાયના  ગ્રાહકો તેમજ MSME એકમોના કિસ્સામાં  બેન્કિંગ ચાર્જ  પ્રતિ યુનિટ રૂ. ૧.૧૦ રહેશે.  
  • સૂર્ય - ગુજરાત યોજના હેઠળ સ્થપાતા સોલાર રૂફટોપ પ્રોજેક્ટને સરકાર દ્વારા સબસીડી ચાલુ રહેશે. 
  • આ નીતિ અંતર્ગત સોલાર પ્રોજેકટ સ્થાપતા ગ્રાહકોને જે અંદાજિત ફાયદો થશે એમાં રહેણાંક ગ્રાહકોને  Rs. 1.77 – 3.78  પ્રતિ યુનિટ, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો (કેપ્ટિવ) Rs. 2.92 – 4.31 પ્રતિ  યુનિટ, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો (થર્ડ પાર્ટી સોલાર પ્રોજેકટમાંથી ખરીદી) Rs. 0.91 – 2.30  પ્રતિ યુનિટ જેટલો ફાયદો થશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news