ગુજરાતમાંથી 699 સ્પેશિયલ ટ્રેન દ્વારા 10 લાખથી વધારે પરપ્રાંતિયો પહોંચ્યા વતન

રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા તા.22મી મે, શુક્રવારની મધ્યરાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ 754 વિશેષ ટ્રેન દ્વારા આશરે 11 લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે.
ગુજરાતમાંથી 699 સ્પેશિયલ ટ્રેન દ્વારા 10 લાખથી વધારે પરપ્રાંતિયો પહોંચ્યા વતન

હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા તા.22મી મે, શુક્રવારની મધ્યરાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ 754 વિશેષ ટ્રેન દ્વારા આશરે 11 લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, પરપ્રાંતિય શ્રમિકો-કામદારોને વતન રાજ્ય મોકલવા માટે તા. 21મી મે મધ્યરાત્રિ સુધીમાં સમગ્ર દેશમાંથી દોડેલી કુલ 2,317 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો મારફત આશરે 31 લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનો પોતાના વતન રાજ્યમાં પહોંચ્યા છે.

આ 2,317 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો પૈકી 699 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો તો માત્ર ગુજરાતમાંથી દોડાવવામાં આવી છે. એટલે કે દેશમાં ચલાવવામાં આવેલી કુલ શ્રમિક સ્પેશિયલ ટ્રેનના ત્રીજા ભાગની એકલા ગુજરાતમાંથી રવાના કરવામાં આવી છે. આ 699 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો મારફત ગુજરાતમાંથી આશરે 10 લાખ 15 હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિક ભાઈઓ-બહેનોને પોતાના વતન રાજ્યમાં સુપેરે પહોચાડવાની વ્યવસ્થાઓ ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાના વહિવટીતંત્ર દ્વારા પાર પાડવામાં આવી છે.

મુખ્યમંત્રીના સચિવે વધુમાં જણાવ્યું કે તા.21મી મેની મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતમાંથી પરપ્રાંતિય શ્રમિકો - કામદારોને વતન રાજ્ય મોકલવા માટે જે 699 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી છે. તેમાં ઉત્તરપ્રદેશ માટે 462, બિહાર માટે 126, છત્તીસગઢ માટે 10, જમ્મુ-કાશ્મીર માટે 01, ઝારખંડ માટે 24, મધ્યપ્રદેશ માટે 24, મહારાષ્ટ્ર માટે 01, મણીપુર માટે 01, ઓરિસ્સા માટે 40, રાજસ્થાન માટે 01, તમિલનાડુ માટે 02, પશ્ચિમ બંગાળ માટે 02, ઉત્તરાખંડ માટે 05 શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફત આશરે 10 લાખ 15 હજાર જેટલા શ્રમિક ભાઈઓ-બહેનોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે.

હવે, તા.22મી મે , શુક્રવાર મધ્યરાત્રિ સુધીમાં વધુ ૫૫ ટ્રેન દ્વારા 85 હજાર પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન રાજ્ય ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ વગેરેમાં જવા રવાના થશે. તેમાં ઉત્તરપ્રદેશ માટે 21 ટ્રેન, બિહાર માટે 29 ટ્રેન, ઝારખંડ માટે 03 ટ્રેન અને છત્તીસગઢ માટે 02 ટ્રેન દોડશે. 

આ 55 ટ્રેન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી રવાના થશે. તેમાં અમદાવાદમાંથી 09 ટ્રેન, ભરૂચમાંથી 03 ટ્રેન, ગાંધીધામમાંથી 02 ટ્રેન, ગાંધીનગરમાંથી 01 ટ્રેન, જુનાગઢમાંથી 01 ટ્રેન, રાજકોટમાંથી 03 ટ્રેન, સુરતમાંથી 35 ટ્રેન અને વડોદરામાંથી 01 ટ્રેન મળી કુલ 55 સ્પેશિયલ શ્રમિક ટ્રેન દોડશે.

અશ્વિનીકુમારે કહ્યું કે, તા.21મી મેની મધ્યરાત્રિ સુધીની 699 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન તથા શુક્રવાર તા.22મી મેની વધુ 55 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન મળીને કુલ 754 શ્રમિક સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી 11 લાખ જેટલા શ્રમિકો ગુજરાતમાંથી પોતાના વતન રાજ્યોમાં ગયા છે.

મુખ્યમંત્રીના સચિવે આ વિશેષ ટ્રેનો મારફતે ગુજરાતમાંથી જે શ્રમિકોને વતન મોકલવામાં આવી રહ્યા છે તેની વિગતો આપતા કહ્યું કે, પરપ્રાંતિયો મજૂરો, શ્રમિકો ખુબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્પેશિયલ શ્રમિક ટ્રેનમાં તેમના વતન રાજ્ય જાય છે. એટલું જ નહિ, જિલ્લા વહિવટીતંત્ર આવા શ્રમિકોને રેલ્વે સ્ટેશન સુધી પહોચાડવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news