રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમના 'શક્તિ દળ' સંગઠનને પુનર્જીવિત કરશે

શંકરસિંહ વાઘેલાએ એક સમયે પોતાનું 'શક્તિ દળ' નામથી સંગઠન બનાવ્યું હતું, પરંતુ ત્યાર પછી તેઓ કોંગ્રેસમાં જોડાઈ જતાં આ સંગઠન અને તેની પ્રવૃત્તિઓ બંધ પડી ગઈ હતી 
 

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમના 'શક્તિ દળ' સંગઠનને પુનર્જીવિત કરશે

હીતલ પારેખ/ ગાંધીનગરઃ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમના જૂના સંગઠન 'શક્તિ દળ'ને પુનર્જીવિત કરવાનો નિર્ણય લીધો છે. શક્તિ દળ ગુજરાત પ્રદેશની પ્રથમ બેઠક ગુરૂવારે શંકરસિંહ વાઘેલના નિવાસ સ્થાન વસંદ વગડામાં યોજવામાં આવી હતી. આ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ 'શક્તિ દળ'ની સંપૂર્ણ જવાબદારી કિશોર સિંહ સોલંકીને આપવાની પણ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, શંકર સિંહ વાઘેલા હાલ એનસીપીમાં જોડાયેલા છે. 

શંકરસિંહ વાઘેલાએ 'શક્તિ દળ'ને પુનર્જીવિત કરવાની જાહેરાત કરતા જણાવ્યું કે, આ સંગઠન તાલુકા અને જિલ્લા કક્ષાએ ઊભું કરવામાં આવશે. તેના માટેનો એક વિશેષ ડ્રેસ અને પ્રતિજ્ઞા પણ નક્કી કરવામાં આવશે. 'શક્તિ દળ'માં 40 વર્ષથી નાની વયના યુવાનોને પ્રવેશ આપવામાં આવશે. બાપુએ કહ્યું કે, શક્તિ દળ અને એનસીપી સાથે મળીને કામ કરશે. 

શંકરસિંહ વાઘેલાએ આ બેઠકમાં સંબોધન કરતા જણાવ્યું કે, "શક્તિ દળમાં તાલુકા દીઠ એક આગેવાનની નિમણૂક કરાશે અને તેના હાથ નીચે સમગ્ર સંગઠન કાર્યરત કરાશે. શક્તિ દળના નેજા હેઠળ બીજું એક 'શિક્ષીત બેરોજગાર સંગઠન' પણ ઉભું કરવામાં આવશે, જેમાં રાજ્યના બેરોજગાર લોકોની રૂ.10 લઈને નોંધણી કરવામાં આવશે અને તેમને રોજગારની તકો ઉપલબ્ધ કરાવાશે. રાજ્યમાં 20-25 લાખ લોકો બેરોજગાર છે. 'શિક્ષીત બેરોજગાર સંગઠન' અંતર્ગત 500 લોકોની ભરતી કરાશે, જે રાજ્યના બેરોજગાર લોકોને રોજગાર પુરો પાડવામાં મદદરૂપ બનશે."

બાપુએ વધુમાં કહ્યું કે, "ગુજરાત સરકારની દારૂબંધી નીતિ નિષ્ફળ રહી છે અને તેના પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. શક્તિ દળના યુવાનોને નિવૃત્ત આર્મીમેન તાલીમ આપશે. આ મીશન 2022 છે. શક્તિ દળના નેજા હેઠળ આગામી તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એટલે કે તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લડવામાં આવશે. મહાનગરાપાલિકાની ચૂંટણીઓમાં પણ શક્તિ દળ ઝંપલાવશે."

શંકરસિંહને જ્યારે પુછવામાં આવ્યું કે, ગુજરાતમાં ક્યારેય ત્રીજો મોરચો ચાલ્યો નથી. જેના જવાબમાં બાપુએ કહ્યું કે, ગુજરાત માં ત્રીજો મોરચો નથી ચાલતો એવી કોઈ વાત નથી, પણ ત્રીજો મોરચો ચાલે તેઓ હોવો જોઈએ. સોમવારથી એનસીપીમાં જેને જે જવાબદારીઓ સોંપવાની હશે તે સોંપવાની શરૂઆત કરી દેવામાં આવશે.

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news