મણિશંકર અય્યરે 2017માં પીએમ મોદી પર કરેલી વિવાદિત ટિપ્પણીને યોગ્ય ઠેરવી

કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર ફરીથી ચર્ચામાં છે. તેમણે 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીને 'નીચ' કહીને સંબોધ્યા હતા. હવે પોતાની એ ટિપ્પણીને તેમણે યોગ્ય ઠેરવી છે. તેમણે બ્લોગ લખીને કહ્યું છે કે, શું એ વખતે મેં જે ભવિષ્યવાણી કરી હતી તે ખોટી હતી 

મણિશંકર અય્યરે 2017માં પીએમ મોદી પર કરેલી વિવાદિત ટિપ્પણીને યોગ્ય ઠેરવી

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેમણે બ્લોગ લખીને 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પોતે કરેલી ટિપ્પણીને યોગ્ય ઠેરવી છે. ઉલ્લેખનીય છે કે, 2017માં તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીને 'નીચ' કહીને સંબોધ્યા હતા. તેમણે બ્લોગ લખીને કહ્યું છે કે, શું એ વખતે મેં જે ભવિષ્યવાણી કરી હતી તે ખોટી હતી. આ સાથે જ તેમણે લખ્યું છે કે, 23 મેના રોજ જનતા મોદી સરકારને સત્તામાંથી બહાર કરી દેશે. 

પોતાના તાજેતરના ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ બાલાકોટના એરસ્ટ્રાઈક સંબંધિત દાવા, દિલ્હીના રામલીલા મેદાનમાં રાજીવ ગાંધીના INS વિરાટ જહાજનો ખાનગી ટેક્સી તરીકે ઉપયોગ કરવા સંબંધિત નિવેદનોની પૃષ્ઠભુમિમાં અય્યરે લખ્યું છે કે, "23 મેના રોજ સૌથી અમર્યાદિત ભાષાનો ઉપયોગ કરનારા વડાપ્રધાન મોદીને ભારત સચોટ જવાબ આપતા બહારનો રસ્તો દેખાડી દેશે."

આ શીર્ષક સાથે લખેલા પોતાના આર્ટિકલમાં અય્યરે લખ્યું છે કે, પીએમ મોદીને એ ચેતવણી આપવાની જરૂર છે કે, CRPF જવાનોની શહીદી પર વોટ માગવા જેવું કામ કરીને તેમણે દેશ વિરોધી કામ કર્યું છે. બાલાકોટ એર સ્ટ્રાીક અંગે પોતાનો વૈજ્ઞાનિક અભિપ્રાય આપીને ભારતીય વાયુ સેનાનું તેમણે અપમાન કર્યું છે. 

આ સાથે જ તેમણે લખ્યું છે કે, આમ છતાં કોઈ ચિંતા નથી, કેમ કે 23 મેના રોજ લોકો મોદીને સત્તામાંથી ઉખાડી ફેંકશે. યાદ કરો, મેં 7 સપ્ટેમ્બર, 2017ના રોજ શું કહ્યું હતું? શું મારી ભવિષ્યવાણી ખોટી હતી? 

ભાજપનો હુમલો
આ અંગે ભાજપે હુમલો કરતા જણાવ્યું કે, પરાજયની હતાશામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ પ્રકારના નિવેદનો અપાવી રહ્યા છે. ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ ટ્વીટ કરીને કહ્યું કે, "તેઓ(અય્યર) એ બાબતથી અપસેટ હતા કે બધું જ ધ્યાન સેમ પિત્રોડા ખેંચી રહ્યા છે. આથી તેમણે પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે આ કામ કર્યું છે." ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, "ગાંધિ પરિવારના 'મણિ'એ પણ રાહુલ ગાંધીના પ્રેમના રાજકારણમાં પોતાનું યોગદાન આપ્યું છે."

સેમ પિત્રોડા આ અગાઉ જગાવી ચૂક્યા છે વિવાદ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સેમ પિત્રોડા હજુ થોડા દિવસ પહેલા જ એક વિવાદિત નિવેદન આપીને કોંગ્રેસને મુશ્કેલીમાં મુકી ચૂક્યા છે. તેમણે 1984ના શીખ રમખાણો અંગેના જણાવ્યું હતું કે, "આ રમખાણો થયા તો થયા, તમે (ભાજપ) 5 વર્ષમાં શું કર્યું તેનો હિસાબ તો આપો. સેમ પિત્રોડાના આ નિવેદન પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, 'હુઆ તો હુઆ' એ કોંગ્રેસની સંસ્કૃતિ દર્શાવે છે. જોકે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સેમ પિત્રોડાના નિવેદનને વખોડી કાઢ્યું હતું અને તેને અત્યંત શરમજનક જણાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news