જન્માષ્ટમી: ભક્તો વિના સૂની થઈ દ્વારિકા નગરી, પહેલીવાર દરવાજેથી પાછા વળ્યાં ભક્તો

દ્વારકાધીશ જગત મંદિરના દરવાજા ભલે બંધ હોય, પણ ઉજવણીમાં કોઈ કચાશ રાખવામાં આવી નથી. દ્વારકાથી પાંચ કિલોમીટર દૂરથી ઝળહળી રહેલું સુશોભિત જગતમંદિર નિહાળી શકાય તેવું ભવ્ય ડેકોરેશન કરાયું છે

ઝી મીડિયા/બ્યૂરો :દ્વારકા નગરીએ ભગવાન શ્રીકૃષ્ણએ વસાવેલી નગરી છે. તેથી દ્વારકા માટે કૃષ્ણ જન્મોત્સવનો અનેરો મહિમા ગણાય છે. જન્માષ્ટમી (Janmastami) એ જગત મંદિર દ્વારકાની ઉજવણી ગુજરાતની શાન સમા બની જાય છે. જોકે, કોરોનાને કારણે ગુજરાતભરના મંદિરોમાં બંધબારણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. આવામાં ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમીએ દ્વારકાનું જગતમંદિર બંધ (Dwarka temple close) રહ્યું છે. લાખો ભાવિકો એકઠા થવાની શક્યતાને પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. જોકે, શ્રદ્વાળુઓને કૃષ્ણ જન્મોત્સવના ઓનલાઈન દર્શનનો લાભ મળી રહ્યો છે. દ્વારકાના સ્થાનિકોને પણ આજે મંદિરમાં પ્રવેશ આપવામાં નહિ આવે. જેને કારણે જન્માષ્ટમીના પાવન પર્વ પર ભક્તો વિના દ્વારિકા નગરી સૂની સૂની જોવા મળી. દર વર્ષે અહી લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, ત્યારે આ વખતે મંદિર બંધ રાખવાથી અન્ય શહેર અને રાજ્યમાંથી ભક્તો આવ્યા નથી. 
 

દરવાજેથી પાછા વળ્યાં

1/4
image

દ્વારકાના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે, ભક્તો બંધ દરવાજો જોઈને પાછા ફર્યાં છે. પહેલીવાર મંદિર બહારનો માહોલ નિરસ બન્યો છે. 

ગોમતી નદીમાં સ્નાન કરવામાં પણ પાંખી હાજરી

2/4
image

જન્માષ્ટમી સહિતના તહેવારોમાં દ્વારકામાં ગોમતી નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. પરંતુ કોરોનાને કારણે આજે અરબી સમુદ્રમાં ગોમતી નદીના સંગમ સ્થાન પર શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી છે. જન્માષ્ટમીના તહેવાર છતાં પ્રશાસનના આદેશના કારણે ભક્તોની ભીડ પણ તટ પર જોવા નથી મળી. દ્વારકા મંદિરના પૂજારી પ્રણવભાઈએ કહ્યું કે, આજે પૂજારી પરિવાર અને અધિકારીઓની હાજરીમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. તમામ શ્રદ્ધાળુઓ ઘરે બેસીને ભગવાનના દર્શન કરી શકે છે. કોરોના મહામારીની નકારાત્મકતા દૂર થાય તેવી પ્રાર્થના સાથે આજે મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. 

મંદિર બંધ, પણ ડેકોરેશનમાં કોઈ કચાશ નહિ

3/4
image

તો ભગવાન દ્વારકાધીશ જગત મંદિરના દરવાજા ભલે બંધ હોય, પણ ઉજવણીમાં કોઈ કચાશ રાખવામાં આવી નથી. મંદિરને દર વર્ષની જેમ શણગારાયું હતું. સમગ્ર મંદિરમાં ડેકોરેશન કરવામાં આવ્યું છે. દ્વારકાથી પાંચ કિલોમીટર દૂરથી ઝળહળી રહેલું સુશોભિત જગતમંદિર નિહાળી શકાય તેવું ભવ્ય ડેકોરેશન કરાયું છે.  

કીર્તિદાન ગઢવીનો ગીત-સંગીત કાર્યક્રમ

4/4
image

દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજે ખાસ કરી જગતમંદિરની ભીતરમાં કિર્તીદાન ગઢવીના સુમધુર કંઠે કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જગતમંદિર જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન ભક્તો માટે બંધ રાખવામાં આવેલું છે, ત્યારે તંત્ર દ્વારા ભક્તો ઘરે બેઠા ધામધૂમ પૂર્વક ઉજવણી જોઈ શકે તે માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન રાત્રિના જન્મોત્સવ દરમિયાન સમગ્ર માહોલ ભક્તિમય બનાવવા અને ભક્તો ભાવપૂર્વક અને ધામધૂમ પૂર્વક જન્મોત્સવ ઉજવી શકે તે માટે કિર્તીદાન ગઢવીના સુમધુર કંઠે ભગવાનના હાલરડાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.