ફારૂક અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદીની હિટલર સાથે કરી સરખામણી

ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, જર્મનીનો સરમુખત્યાર હિટલર પણ કહેતો હતો કે, 'સબકા સાથ, સબકા વિકાસ', આ સાથે જ તેમણે ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કરેલા હવાઈ હુમલાનો રાજકીય લાભ લેવાનો પણ મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે 

ફારૂક અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદીની હિટલર સાથે કરી સરખામણી

શ્રીનગરઃ નેશનલ કોન્ફરન્સના વડા અને ત્રણ વખત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂકેલા ફારૂક અબ્દુલ્લાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જર્મીના પૂર્વ સરમુખત્યાર એડોલ્ફ હિટલર સાથે સરખામણી કરી નાખી છે. 

શ્રીનગરની નજીક ખાનયારમાં એક ચૂંટણી રેલીને સંબોધતાં નેશનલ કોન્ફરન્સના વડાએ જણાવ્યું કે, "જર્મીનો સરમુખત્યાર એડોલ્ફ હિટલર પણ પીએમ મોદી જે રીતે આજે બોલી રહ્યા છે એવી જ બોલી બોલતો હતો. તે પણ 'સબકા સાથ, સબકા વિકાસ'ના નારા લગાવતો હતો."

વડા પ્રધાન મોદી પર પ્રહાર કરતા ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે, "આપણે સૌ જાણીએ છીએ કે પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોનાં મોત થયા હતા. પરંતુ આપણા વડાપ્રદાન માત્ર બાલાકોટ, બાલાકોટ, બાલાકોટનું જ રટણ કરી રહ્યા છે."

નેશનલ કોન્ફરન્સના વડાએ મોદી પર નિશાન સાધતા વધુમાં કહ્યું કે, જે રીતે હિટલરે તમામ મીડિયા પ્લેટફોર્મ પર લોકો સમક્ષ સત્ય રજૂ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો, તેવી જ રીતે વડાપ્રધાન મોદી પણ હિટરલ જેવી બોલી બોલી રહ્યા છે.

બાલાકોટ હુમલા અંગે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને આડેહાથ લેતાં અબ્દુલ્લાએ કહ્યું કે, "પીએમ મોદી પાકિસ્તાન સાથેની 'નકલી' લડાઈના ગુણગાન ગાઈને લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે. તેઓ બાલાકોટ હુમલાનો ઢોલ વગાડી-વગાડીને પ્રચાર કરી રહ્યા છે."

ભાજપના અધ્યક્ષ અમિત શાહના કલમ 370 અને 35 એ નાબૂદ કરવાના નિવેદન મુદ્દે ચેતવણી આપતા અબ્દુલ્લાએ કહ્યું કે, "અમિત શાહે આપણને ધમકી આપી છે કે કલમ 370 અને 35એ નાબૂદ કરી દેવાશે. અમિત શાહ, જો તમારામાં હિંમત હોય તો કાશ્મિરની મુલાકાત લો અને લોકોનો સામનો કરો."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news