ભાજપમાં હિંમત હોય તો ધારા-370 નાબૂદ કરીને બતાવેઃ ફારૂક અબ્દુલ્લા

ફારૂક અબ્દુલ્લાએ ગાંદરબલમાં એક ચૂંટણી સભા દરમિયાન જણાવ્યું કે, "તેઓ ધારા-370 અને 35-એ ને હાથ લગાવાની હિંમત કરી બતાવે"
 

ભાજપમાં હિંમત હોય તો ધારા-370 નાબૂદ કરીને બતાવેઃ ફારૂક અબ્દુલ્લા

શ્રીનગરઃ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ ચૂંટણી રેલીમાં ફરી એક વખત ભાજપ સામે આક્રવક વલણ દેખાડ્યું છે. મંગળવારે તેમણે સરકારને ધારા 370 અને અનુચ્છેદ 35-એ ને રદ્દ કરવાનો પડકાર ફેંકતા જણાવ્યું કે, "તેનાથી રાજ્ય અને ભારત વચ્ચેના સંબંધો સમાપ્ત થઈ જશે."  ફારૂક અબ્દુલ્લાએ ગાંદરબલમાં એક ચૂંટણી સભા દરમિયાન જણાવ્યું કે, "તેઓ ધારા-370 અને 35-એને હાથ તો લગાવીને જૂએ."

તેમણે જણાવ્યું કે, જો તેઓ એમ કહે છે કે બંધારણીય જોગવાઈ અસ્થાયી છે તો વિલય પણ અસ્થાયી છે. તેમણે તેના માટે તૈયાર રહેવું પડશે. ફારૂક અબ્દુલ્લા બોલ્યા, "અમિત શાહ અને અરૂણ જેટલીએ જણાવ્યું છે કે, તેઓ અનુચ્છેદ 35-એ અને ધારા-370ને રદ્દ કરી નાખશે. કરી જૂઓ. અમે પણ જોઈશું કે તેઓ આમ કેવી રીતે કરી શકે છે."

અબ્દુલ્લાએ વધુમાં જણાવ્યું કે, "જો ધારા 370 સમાપ્ત થઈ જાય છે તો જમ્મુ-કાશ્મીર અને નવી દિલ્હી વચ્ચેના સંબંધો પણ સમાપ્ત થઈ જશે." પીએમ મોદી પર નિશાન સાધતા અબ્દુલ્લાએ જણાવ્યું કે, "તેઓ દેશને ચલાવા માટે સક્ષમ એકમાત્ર વ્યક્તિ નથી. તેઓ એક અભિનેતા છે અને મેં આજ સુધી આવો અભિનેતા ક્યારેય નથી જોયો. જો પુલવામા હુમલો થયો ન હોત તો તેની(મોદી)ની હાર પાકી હતી."

ફારુક અબ્દુલ્લા શ્રીનગરથી સંસદીય ચૂંટણી લડી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, "આજે આપણને પાકિસ્તાની કહેવામાં આવે છે. જો આપણે પાકિસ્તાન જ જવું હોત તો 1947માં જોડાઈ ગયા હોત. અમે ભારતને પસંદ કર્યું છે, જે સૌનું ભારત હતું. ગાંધીનું ભારત હતું. આજે ભારતને બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આથી આપણે હોંશિયાર રહેવાનું છે. રાજ્યને નહીં પરંતુ દેશને બચાવાનો છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news