બળબળતા તાપ વચ્ચે આવી ગયા ચોમાસાના સમાચાર, જાણો ક્યારે કરશે દેશમાં પ્રવેશ?

સ્કાયમેટ પછી હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ દેશમાં ચોમાસું બેસવાની સંભવિત તારીખ જાહેર કરાઈ છે, જેના અનુસાર આ વખતે ચોમાસું બેસવામાં ચાર-પાંચ દિવસ મોડું થઈ શકે છે, સાથે જ આ વખતે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના હોવાથી દેશમાં મોંઘવારી પણ વધવાની સંભાવના છે 

બળબળતા તાપ વચ્ચે આવી ગયા ચોમાસાના સમાચાર, જાણો ક્યારે કરશે દેશમાં પ્રવેશ?

નવી દિલ્હીઃ હવામાન અંગે માહિતી આપતી ખાનગી સંસ્થા સ્કાયમેટ પછી હવે બુધવારે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા પણ દેશમાં ચોમાસું બેસવાની સંભવિત તારીખ જાહેર કરાઈ છે. ભારતીય હવામાન વિભાગ અુસાર આ વખતે દેશમાં ચોમાસું કેરળમાં 6 જૂનના રોજ પ્રવેશ કરશે. એટલે કે, આ વર્ષે ચોમાસું બેસવામાં ચાર-પાંચ દિવસ મોડું થઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે દર વર્ષે 1 જૂનના રોજ કેરળમાં ચોમાસું બેસી જતું હોય છે. હવે, આ વખતે ચાર-પાંચ દિવસ મોડું બેસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. 

આંદમાન પહોંચવામાં થશે મોડું 
હવામાન વિભાગે વિગતો આપતા જણાવ્યું છે કે, દક્ષિણપૂર્વ ચોમાસું આ વખતે આંદમા-નિકોબારમાં થોડું મોડું પહોંચશે. તે અહીં 18-19 મેના રોજ બેસવાની સંભાવના છે. જેનું કારણ બંગાળની ખાડી અને આંદમાન સાગરમાં ચોમાસાના પવનો થોડા મોડેથી શરૂ થશે. 

અર્થતંત્ર સાથે સીધો સંબંધ છે ચોમાસાનો 
ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત છે. આ કારણે ચોમાસાના સીધા તાર દેશના અર્થતંત્ર સાથે જોડાયેલા છે. ખેડૂતથી માંડીને સરકારના બજેટ પર ચોમાસાની અસર જોવા મળતી હોય છે. જો ચોમાસું નબળુંરહે તો ખાદ્યન્નનું ઉત્પાદન ઓછું થાય છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થશે. અનાજનું ઉત્પાદન ઓછું થતાં મોંઘવારી વધશે, જેની સીધી અસર સામાન્ય લોકોને થશે. અનાજ-ફળ-શાકભાજી અને અન્ય ખાદ્ય ચીજ-વસ્તુઓનું ઉત્પાદન ઘટી જવાથી બજારમાં તેની અછત સર્જાશે અને તેની સીધી અસર ચીજ-વસ્તુઓના ભાવ પર પડશે. 

દુષ્કાળની સંભાવના વધુ 
સ્કાયમેટ દ્વારા મધ્ય ભારતમાં સૌથી ઓછા 91 ટકા વરસાદનું અનુમાન લગાવાયું છે. પૂર્વત્તરમાં 92 ટકા, દક્ષિણમાં 95 ટકા અને પશ્ચિમોત્તરમાં 96 ટકા વરસાદ થઈ શકે છે. આ કારણે દેશના અનેક રાજ્ય જેમ કે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં દુષ્કાળ પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. 

'અલ નીનો'ની અસર
સમુદ્રી પવનોની દિશા અવાર-નવાર બદલાતી રહે છે. જેના કારણે વધુ વરસાદ પડતા વિસ્તારમાં વરસાદ પડતો નથી અને જ્યાં વરસાદ પડતો ન હોય ત્યાં ધોધમાર વરસાદ પડતો હોય છે. 

નવી સરકાર માટે મુશ્કેલી
નબળું ચોમાસું હોવાના કારણે નવી સરકાર માટે પણ મુશ્કેલી રહેશે. મોંઘવારી કાબુ રાખવા માટે સરકારને વધુ રાહતો આપવી પડશે. આ ઉપરાંત રિઝર્વ બેન્ક પણ પોતાનો રેપો રેટ વધારી શકે છે. જેની સીધી અસર લોનના વ્યાજ દર પર પડશે.

જૂનના અંતમાં દિલ્હી પહોંચશે 
આ વર્ષે દિલ્હી-એનસીઆર, પંજાબ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, ચંદીગઢમાં ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના છે. જૂન અને જુલાઈમાં ચોમાસાની અસર વધુ રહેશે. દિલ્હી-એનસીઆરમાં ચોમાસુ 29 જુનની આસપાસ આવશે. આ વર્ષે મહારાષ્ટ્ર, વિદર્ભ, તમિલનાડુ, કર્ણાટક, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડે તેવી સંભાવના છે. 

સ્કાયમેટના આંકડા અનુસાર દેશમાં હવામાનનું પૂર્વાનુમાન 

  • જરૂર કરતાં વધુ વરસાદઃ 0 %
  • સામાન્ય કરતાં વધુ વરસાદઃ 0 %
  • સામાન્ય વરસાદઃ 30 %
  • સામાન્ય કરતાં ઓછો વરસાદઃ 55 %
  • દુષ્કાળઃ 15 %

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news