કોરોના વચ્ચે ગુજરાતમાં વધુ એક જીવલેણ રોગે માથુ ઉચક્યું, 8 બાળકોનો લીધો ભોગ

કોરોના વચ્ચે ગુજરાતમાં વધુ એક જીવલેણ રોગે માથુ ઉચક્યું, 8 બાળકોનો લીધો ભોગ
  • થરાદમાં શંકાસ્પદ 4 બાળકોના મોતથી બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું. ગત વર્ષે 11 બાળકોનો ડિપ્થેરિયાએ ભોગ લીધો હતો. 
  • આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં પણ ડિપ્થેરિયા બીમારી બાળકોના ઘર કરી રહી છે. અત્યાર સુધી આ તાલુકામાં 4 બાળકોના મોત નિપજ્યા

અલ્કેશ રાવ/બનાસકાંઠા :એક તરફ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ થાળે પડવાનું નામ નથી લઈ રહી, ત્યારે હવે નવા રોગે માથું ઊંચકતાં સ્થાનિક આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું છે. બનાસકાંઠા તેમજ આણંદ જિલ્લામા ડિપ્થેરિયા (diphtheria) નામની બીમારીએ માથુ ઉચક્યું છે. બનાસકાંઠામાં 4 બાળકોના ડિપ્થેરિયાથી શંકાસ્પદ મોત સામે આવ્યા છે, તો આણંદ જિલ્લામાં 4 બાળકોના ડિપ્થેરિયાથી અને એક બાળકનુ શંકાસ્પદ ડિપ્થેરિયાથી મોત નિપજ્યું છે.  

બનાસકાંઠામાં શંકાસ્પદ ડિપ્થેરિયાથી 4 બાળકોના મોત 
દોઢ બે મહિનાથી બનાસકાંઠા જિલ્લામા ડિપ્થેરિયાએ માથુ ઉંચક્યુ છે અને બાળકોના મોતનો સિલસિલો ચાલી રહ્યો છે. થરાદમાં શંકાસ્પદ 4 બાળકોના મોતથી બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીઓ થરાદ હોસ્પિટલની મુલાકાત પણ લીધી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય શંકાસ્પદ ડિપ્થેરિયાના બાળકોની આરોગ્ય અધિકારીએ મુલાકાત લીધી છે. તેમજ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવાની પણ સ્ટાફને ટકોર કરી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ લોકોને સાવચેત રહેવા તેમજ આ રોગના લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવા અપીલ કરી છે. 

આ પણ વાંચો : હાર્દિક પટેલની અરજી પર આજે hcમાં સુનવણી, ગુજરાત બહારના પ્રવાસની આપશે માહિતી 

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ આ જ સમયગાળમાં બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરિયાથી 11 બાળકોના મોત નિપજ્યા છે. ત્યારે ફરી એકવાર ડિપ્થેરિયા બાળકોનો ભોગ લઈ રહ્યો છે. હાલ આરોગ્ય વિભાગે 10 ટીમો બનાવી ડિપ્થેરિયાના અન્ય કેસો શોધવાની કામગીરી શરૂ કરી છે. શંકાસ્પદ કેસોને શોધી ડીપીટી/ટીડી રસી આપવાની કાર્યવાહી આરંભી દેવાઈ છે. 

તો બનાસકાંઠાના ધાનેરામાં THOને ડિપ્થેરિયા કેસોમાં લાપરવાહી દાખવવા બદલ હોદ્દા પરથી હટાવી PHCમાં મૂકાયા છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા THO પી.એમ ચૌધરીને હોદ્દા ઉપરથી હટાવી આલવાડા PHCમાં મેડિકલ ઓફિસર તરીકે મૂકાયા છે. ધાનેરા પંથકમાં થોડા સમય પહેલા ડિપ્થેરિયાના કેસોએ માથું ઉચકતા THOને કારણદર્શક નોટિસ અપાઈ હતી, છતાં પણ THOએ કોઈ જ જવાબ ન આપતાં આ કાર્યવાહી કરાઈ છે. 

આણંદમાં 4ના મોત 
આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં પણ ડિપ્થેરિયા બીમારી બાળકોના ઘર કરી રહી છે. અત્યાર સુધી આ તાલુકામાં 4 બાળકોના મોત નિપજ્યા છે. તો પાંચમુ બાળક શંકાસ્પદ ડિપ્થેરિયાથી મર્યુ હોય તેવું નિદાન છે. મરનારા બે બાળકોમાં એક જ પરિવારના ભાઈ-બહેન પણ હતા. જેમાં 11 વર્ષની બહેનનું મોત પહેલા નિપજ્યું હતુ, જેના બાદ ચાર વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news