મુખ્યમંત્રીએ ભારે હૃદયે મિત્રને વિદાય આપી, પરિવારની હાજરીમાં અભય ભારદ્વાજના અંતિમ સંસ્કાર કરાયા

મુખ્યમંત્રીએ ભારે હૃદયે મિત્રને વિદાય આપી, પરિવારની હાજરીમાં અભય ભારદ્વાજના અંતિમ સંસ્કાર કરાયા
  • કોવિડની ગાઈડલાઈન મુજબ બહુ જ ઓછા લોકો અંતિમ વિધિમાં જોડાયા હતા. ભારે હૃદયે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ (Abhay Bharadwaj) નું કોરોનાની સારવાર દરમિયાન ચેન્નાઈમાં નિધન થયું હતું. તેના બાદ આજે સવારે તેમના પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવ્યો હતો. કોલેજકાળના મિત્ર મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મિત્રને વિદાય આપવા તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. રાજકોટમાં તેમના દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો, રાજકીય હસ્તીઓ તથા અભય ભારદ્વાજના શુભચિંતકો જોડાયા હતા. કોવિડની ગાઈડલાઈન મુજબ બહુ જ ઓછા લોકો અંતિમ વિધિમાં જોડાયા હતા. ભારે હૃદયે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી 
અભય ભારદ્વાજને અંતિમ વિદાય આપવા મંત્રી મંડળના અનેક નેતાઓ જોડાયા હતા. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અંતિમ સંસ્કાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈએ તેમની નિમણૂંક કરી હતી. તેમના હોવાથી નવી આશા જીવંત હતી. તેઓ જીવતા હોત તો દેશના રાજકરણમાં અને રાજકીય પ્રશ્નોમાં તેમન મોટું યોગદાન હોત. તેઓ આજે આપણી વચ્ચે નથી. તેમને ઈશ્વર શાંતિ આપે. કુટુંબીજનોને આ દુખ સહન કરવાની શક્તિ આપે. તેઓએ નાની વયે કરેલા સમાજ ઉપયોગી કામો ક્યારેય ભૂલાય તેમ નથી. રાજ્યસભાના સભ્ય બન્યા બાદ તેઓએ કહ્યુ હતું કે, હું મારી ગ્રાન્ટ આદિવાસી વિસ્તાર માટે વાપરીશ. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે. 

કાલાવડ રોડ પર આવેલા મોટામૌવા સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ યાત્રામાં માત્ર પરિવારજનોની ઉપસ્થિતિ રહી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અભયભાઈના પરિવારજનો સહિત 50 લોકો જ જોડાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news