નાગરિકતા કાયદા મુદ્દે બરાબર ફસાઈ શિવસેના, CM ઉદ્ધવ ઠાકરે ધર્મસંકટમાં!, કરે તો શું કરે?

જો ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસના દબાણમાં આવશે તો પાર્ટીની હિન્દુત્વની વિચારધારાની છબીને નુકસાન પહોંચશે અને જો લાગુ ન કરે તો કોંગ્રેસ તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આખરે ઉદ્ધવ કરે તો શું કરે?

નાગરિકતા કાયદા મુદ્દે બરાબર ફસાઈ શિવસેના, CM ઉદ્ધવ ઠાકરે ધર્મસંકટમાં!, કરે તો શું કરે?

મુંબઇ: નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act)ને લઈને ઉદ્ધવ સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે. મહારાષ્ટ્ર (Maharashtra) માં નાગરિકતા કાયદો લાગુ કરવો કે ન કરવો તેને લઈને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)  ધર્મસંકટમાં પડી ગયા છે. કોંગ્રેસ સતત દબાણ કરી રહી છે કે આ કાયદા પર શિવસેના તેમના સ્ટેન્ડનું સમર્થન કરે ને પંજાબ, કેરળની જેમ મહારાષ્ટ્રમાં પણ લાગુ ન થવા દે. શિવસેનાએ હજુ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. 

જો ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસના દબાણમાં આવશે તો પાર્ટીની હિન્દુત્વની વિચારધારાની છબીને નુકસાન પહોંચશે અને જો લાગુ ન કરે તો કોંગ્રેસ તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આખરે ઉદ્ધવ કરે તો શું કરે? કોંગ્રેસના નેતાઓ સ્પષ્ટ કહી રહ્યાં છે કે તેઓ આ કાયદાને મહારાષ્ટ્રમાં લાગુ થવા દેશે નહીં. કોંગ્રેસ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વની જે ભૂમિકા છે તે જ લાઈન લઈને મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા ઉદ્ધવ ઠાકરેને આ કાયદો લાગુ ન કરવા માટે દબાણ કરી રહ્યાં છે. 

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને મંત્રી બાળાસાહેબ થોરાટે જણાવ્યું હતું કે, "કોંગ્રેસ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વની આ કાયદાના વિરોધમાં જે ભૂમિકા છે તે જ અમારી ભૂમિકા છે. આ કાયદો તમામ વર્ગોને ન્યાય આપશે નહીં." 

બીજી બાજુ આ મામલે ભાજપે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આ કાયદાને જેમ બને તેમ જલદી મહારાષ્ટ્રમાં લાગુ કરવાની માગણી કરી છે. ભાજપના નેતા આ કાયદા પર શિવસેના પાસે પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરવાની માગણી કરી રહ્યાં છે. ભાજપના બે નેતાઓએ ટ્વીટ કરીને આ કાયદો લાગુ કરવાની માગણી કરી છે. ભાજપના નેતા આશીષ શેલારે ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસને પોતાની મતપેટી સંભાળવાની છે, આથી પાકિસ્તાની, બાંગ્લાદેશી ઘૂસણખોરોને બહાર કાઢવાનો વિરોધ કરી રહી છે. માનનીય મુખ્યમંત્રી મહારાષ્ટ્ર ધર્મનું રક્ષણ  કરે અને પાકિસ્તાની, બાંગ્લાદેશી ઘૂસણખોરોને કાઢે. 

જુઓ LIVE TV

કિરીટ સોમૈયાએ ટ્વીટ કરીને કહ્યું કે હું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને યાદ અપાવવા માંગુ છું કે ઘણા સમયથી ભાજપ અને શિવસેના મુંબઇના શિવાજીનગર, ગોવંડી, ચાંદીવલી, મુંબઈ નજીક મીરા ભાયંદર, નવી મુંબઇમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ લડી રહ્યાં હતાં. સંસદે હવે નાગરિકતા બિલ પાસ કર્યું છે તો ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવે. મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા માધવ ભંડારીના જણાવ્યાં મુજબ શિવસેના તેના પર પોતાનુ સ્ટેન્ડ ક્લીયર કરે. શિવસેનાએ અમારી સાથે ઘૂસણખોરો વિરુદ્ધ લડત લડી છે. 

આ બાજુ શિવસેના માટે આ મુદ્દો ગળાની ફાંસ બની ગયું છે અને તે પોતાના સાથીઓને ખુશ કરવા માટે તેમના સૂરમાં સૂર મિલાવતી જોવા મળી રહી છે. નોંધનીય છે કે શિવસેનાએ પહેલા આ બિલનું સમર્થન કર્યું હતું પરંતુ કોંગ્રેસના દબાણ બાદ રાજ્યસભામાં વિરોધ કર્યો હતો. શિવસેના નેતા સંજય રાઉતના જણાવ્યાં મુજબ આ કાયદાને મહારાષ્ટ્રમાં લાગુ કરવાનો છે કે નહીં તેના પર મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ નિર્ણય લેશે. અમે નાગરિકતા બિલ પર આંખો મીચીને સમર્થન કર્યું નથી. તેના પર છેલ્લો નિર્ણય સીએમ ઉદ્ધવ ઠાકરે બધા સાથે વાત કર્યા બાદ લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news