નવરાત્રિમાં અમદાવાદીઓ પર તંત્રની ચાંપતી નજર, ટોળા દેખાશે તો આવી બન્યું સમજો...

નવરાત્રિમાં અમદાવાદીઓ પર તંત્રની ચાંપતી નજર, ટોળા દેખાશે તો આવી બન્યું સમજો...
  • પોલીસ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા નવરાત્રિના નવ દિવસ સુધી સરપ્રાઈઝ ચેકિંગ કરાશે.
  • અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઇવે પર પહેલી નવરાત્રિની રાત્રિએ સામાન્ય ટ્રાફિક જોવા મળ્યો

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :શુક્રવારથી નવલી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે આ વર્ષે કોરોનાકાળમાં લોકોને નવરાત્રિ (navratri) ઉજવવાની છે. આવામાં સરકારી તંત્રની નજર લોકોની ઉજવણી પર છે. લોકોને કોવિડ 19 ગાઈડલાઈન મામલે સતર્ક રહેવું પડશે. આ મામલે અમદાવાદમાં amc પણ એલર્ટ થયું છે. પોલીસ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા નવરાત્રિના નવ દિવસ સુધી સરપ્રાઈઝ ચેકિંગ કરાશે. રાતના સમયે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં amc સ્ટાફ ચેકિંગ કરશે. ટોળા એકઠા થયેલા દેખાશે અને જો કોઈ માસ્ક વગર દેખાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. કુલ 48 વોર્ડમાં 110 ટીમ દ્વારા સતત ચેકીંગ હાથ ધરવામાં આવશે તેવુ એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું. 

પહેલી નવરાત્રિથી જ ચેકિંગ શરૂ 
પહેલી નવરાત્રિની રાત્રિએ પોલીસ અને amc દ્વારા હાથ ચેકિંગ કરાયુ હતું. નવરાત્રિમાં કોવિડ ગાઈડલાઈન મામલે વિવિધ વિસ્તારોમાં એએમસીની ટીમ પહોંચી હતી. શહેરના પૂર્વ અને પશ્ચિમ તરફની વિવિધ સોસાયટીઓમાં કેટલા લોકો એકઠા થાય છે કે નહિ તે જોવામાં આવ્યું. કુબેરનગર વોર્ડમાં ધનજી માસ્તરની ચાલી, ઠક્કર નગર, નવરંગ ફ્લેટ, બાપુનગર રોડ પર એએમસીની ટીમ ચેકિંગ માટે ફરી વળી હતી. 

કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદીને ચૂંટણી પંચે મહોર મારી, 30 નેતા કરશે પ્રચાર 

સરસપુર મંદિરમાં પ્રસાદ ન વહેંચાયો 
ભગવાન જગન્નાથજીનાં મોસાળ સરસપુરમાં નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. સરકારની ગાઈડલાઈનનું અમલ કરીને પ્રથમ નોરતે માત્ર આરતીનું આયોજન કરાયું હતું. આ આરતીમાં સ્થાનિક નાગરિકો અને ભક્તો ડિસ્ટન્સ જાળવીને તથા માસ્ક પહેરીને જોડાયા હતા. જોકે, મંદિરમાં કોઈ પણ પ્રકારના પ્રસાદનું વિતરણ કરાયું ન હતું. કોરોનાને ધ્યાનમાં રાખીને મંદિરમાં તમામ નિયમોનું પાલન કરાયું હતું. 

પહેલી નવરાત્રિએ એસજી હાઈવે સૂનો
અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઇવે પર પહેલી નવરાત્રિની રાત્રિએ સામાન્ય ટ્રાફિક જોવા મળ્યો હતો. દર નવરાત્રિએ અહીં હકડેઠઠ ભીડ જોવા મળતી હોય છે. લોકોને પગ મૂકવા પણ જગ્યા હોતી નથી, તેને બદલે નવરાત્રિનું જાહેર આયોજન કેન્સલ હોવાથી રસ્તા પર વાહનોની સામાન્ય અવરજવર જોવા મળી હતી. દર વર્ષે નવરાત્રિ દરમ્યાન સરખેજ ગાંધીનગર હાઇવે પર ટ્રાફિકના મેનેજમેન્ટ માટે આગોતરું આયોજન કરવું પડે છે. રસ્તાઓ ડાયવર્ટ કરવા પડે છે. તેને બદલે આ વર્ષે સામાન્ય દિવસોની જેમ જ નવરાત્રિ લાગી હતી. ૉ

ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ સાથે રાજ્યના લોકોની જોડાયેલી ભાવનાને જોતાં આરતી સાથે થતાં પાંચ ગરબા અને ઘરમાં કે બંગલૉમાં પરિવારના 15-20 વ્યક્તિના ગરબા પ્રત્યે પોલીસને આંખ આડા કાન કરવાની સૂચના બિનસત્તાવાર રીતે રાજ્ય સરકાર દ્વારા પોલીસને અપાઈ છે. જોકે, જાહેર સ્થળો, જાહેર માર્ગો અને સાર્વજનિક સ્થળોએ માતાજીની પૂજા અર્ચના માટે પોલીસની મંજૂરી લેવી ફરજિયાત જ છે. આ ઉપરાંત જાહેર સ્થળો કે પાર્ટી પ્લોટમાં કોઈ ગરબાની મંજૂરી નહીં જ મળે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news