સૌરાષ્ટ્ર પાછા ફરવા માંગતા સુરતના રત્નકલાકારો અંગે સરકારના નિયમો, જાણો વિગતો

અશ્વિનીકુમારે કહ્યું કે  સુરતમાં જે રત્નકલાકારો છે તે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ જેવા જિલ્લાઓમાંથી આવે છે. તે લોકો પણ ઘણા સમયથી સુરતમાં રોકાયેલા છે અને સુરતમાં રહેતા આ વિસ્તારોના લોકોની પણ એવી લાગણી છે કે તેમને પોતાના વતન સૌરાષ્ટ્રના ગામોમાં જવાની મંજૂરી આપવામાં આવે. સરકાર આ બધી વસ્તુઓ પર વિચારણા કરી રહી છે. સ

સૌરાષ્ટ્ર પાછા ફરવા માંગતા સુરતના રત્નકલાકારો અંગે સરકારના નિયમો, જાણો વિગતો

ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ અશ્વિનીકુમારે આજે શ્રમિકોની વતનવાપસી અંગે અને અન્ય કેટલાક મહત્વના મુદ્દાઓ પર માહિતી આપી. શ્રમિકોની વતનવાપસી પર તેમણે કહ્યું કે શનિવારે 2જી મેના રોજ સુરતથી ઓડિશા માટે એક ટ્રેન અને અમદાવાદથી ઉત્તર પ્રદેશ માટે 2 ટ્રેન એમ કુલ 3 ટ્રેન ગુજરાતથી ઉત્તર પ્રદેશ અને ઓડિશા જવા માટે રવાના થઈ. જેમાં કુલ લગભગ 3600 યાત્રીઓ હતાં. તેમણે એમ પણ કહ્યું કે રવિવારે 3જી મેના રોજ સુરતથી ઓડિશા માટે 3 ટ્રેન અમદાવાદથી બિહારની એક ટ્રેન અને ઉત્તર પ્રદેશ જવા માટે એક ટ્રેન, પાલનપુરથી આજે વહેલી સવારે ઉત્તર પ્રદેશ જવા માટે એક ટ્રેન અને વડોદરાથી યુપી જવા માટેની એક ટ્રેન એમ ગઈ કાલે કુલ સાત ટ્રેનના માધ્યમથી 8400 લોકોના જવાની વ્યવસ્થા થઈ છે. પાલનપુરની ટ્રેન આજે વહેલી સવારે અને બાકીની ટ્રેન ગઈ કાલે રવાના થઈ. 

શ્રમિકોને તેમના વતન મોકલવાની થઈ રહી છે કામગીરી
તેમણે વધુમાં કહ્યું કે આજે સોમવારે ચોથી મેના રોજ સુરતથી ઓડિશા જવા માટે 3 ટ્રેન, સુરતી ઝારખંડ જવા માટે એક ટ્રેન અને સુરતથી બિહાર જવા માટે એક ટ્રેન એમ સુરતથી 5 ટ્રેનો આજે રવાના થનાર છે. જેમાં 3 ટ્રેન ઓડિશા, એક ટ્રેન ઝારખંડ અને એક ટ્રેન બિહાર જશે. એજ રીતે આજે અમદાવાદથી બે ટ્રેન બિહાર માટે રવાના થશે. નડિયાદથી પણ યુપી માટે એક ટ્રેન આજે રવાના થશે. 8 ટ્રેનથી 9600 લોકો પોતાના વતન રવાના થશે. ત્રણ દિવસમાં કુલ 18 ટ્રેન રવાના કરાઈ છે અથવા આજે સાંજ સુધીમાં રવાના થશે. આ ટ્રેનોના માધ્યમથી આશરે 21500 પરપ્રાંતીયોને (બિહાર, યુપી, ઓડિશા અને ઝારખંડ) રવાના કરાયા છે. સુરત, અમદાવાદ, રાજકોટ, ન઼ડીયાદ, વગેરેના વહીવટીતંત્ર દ્વારા યાદી તૈયાર કરાઈ છે અને શ્રમિકોને મોકલવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. 

સુરતના રત્નકલાકારો આ શરતો પર જઈ શકશે પોતાના માદરે વતન
લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એસટી દ્વારા કામગીરી થઈ રહી છે. પોતાના વાહનો દ્વારા પણ લોકો બીજે જવા રવાના થયા છે. સુરતમાં જે રત્નકલાકારો છે તે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ જેવા જિલ્લાઓમાંથી આવે છે. તે લોકો પણ ઘણા સમયથી સુરતમાં રોકાયેલા છે અને સુરતમાં રહેતા આ વિસ્તારોના લોકોની પણ એવી લાગણી છે કે તેમને પોતાના વતન સૌરાષ્ટ્રના ગામોમાં જવાની મંજૂરી આપવામાં આવે. સરકાર આ બધી વસ્તુઓ પર વિચારણા કરી રહી છે. સરકાર પાસે આ કામ માટે બે પડકાર છે જેમાં પહેલો છે કે સુરતથી જ્યારે અમરેલી, ભાવનગર, બોટાદ, અન્ય જિલ્લાઓના ગામડાઓમાં રત્નકલાકારો જાય તો ત્યાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય. અને બીજો છે સમયસર પહોંચાડવામાં પણ આવે. આ બધુ ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વિચારણા થઈ રહી છે. ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ કામગીરી તબક્કાવાર, સોશિયલ ડીસ્ટન્સિંગ સાથે કરાશે. 

આ સાથે જ્યારે સુરતમાંથી રત્ન કલાકારો પોતાના વાહનો અથવા બસોના માધ્યમથી જવા માટે રવાના થાય ત્યારે તેમનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે. તેમને જો શરદી, તાવ, ઉધરસ જેવા લક્ષણો હશે તો તેમને જવા નહીં દેવાય. જ્યારે તેઓ પોતાના વતન કે ગામડે, શહેર પહોંચશે ત્યારે ત્યાં પણ તેમનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે. 

14 દિવસ ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન
જે લોકો સુરતથી સૌરાષ્ટ્ર પોતાના ગામે જશે તેમણે ફરજિયાતપણે 14 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે પણ આ લોકો સુરતથી તેમના ગામ જવાની મંજૂરી અપાશે તો ફરજિયાતપણે ગ્રામ પંચાયત કે નગરપાલિકા નક્કી કરે તે રીતે 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન કરવાના રહેશે. અને જો તેમને યોગ્ય ગણાય તો તેમને ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈન કરવાનો આદેશ આપી શકશે. 

એક મહિના સુધી સુરત પાછા નહીં ફરવાનું
બીજી મહત્વની જાહેરાત આ સંદર્ભમાં છે કે 14 દિવસનો ક્વોરન્ટાઈન સુરતથી સૌરાષ્ટ્રના ગામડે જતા લોકો માટે ફરજિયાત છે. સાથેસાથે 14 દિવસ ઉપરાંત એક મહિનો તેમણે ત્યાં જ રહેવાનું રહેશે. એટલે કે તેમને પાછા સુરત આવવાની મંજૂરી અપાશે નહીં. એટલે કે જે લોકોને સુરતથી સૌરાષ્ટ્ર તેમના ગામડે જવાની મંજૂરી આપવામાં આવશે તેમણે 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવાનું અને ત્યારબાદ એક મહિના સુધી તેઓ સુરત પાછા નહીં આવી શકે તેવી તેમને વિગત જણાવાશે. સરકાર કોઈ પણ સંજોગોમાં એક શહેરથી બીજા શહેર વચ્ચે, એક શહેરથી બીજા ગામ વચ્ચે, બીનજરૂરી અવરજવરને પ્રોત્સાહન નહીં આપે. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

તેમણે કહ્યું કે સુરતના કલેક્ટર, સૌરાષ્ટ્રના સંબંધિત કલેક્ટરો સાથે ચર્ચા વિચારણા કરીને રાજ્ય સરકારના દિશા નિર્દેશ અને આદેશ મુજબ આ બાબતમાં એક ચોક્કસ કાર્યયોજના અને રણનીતિ બનાવીને પછી તેમા આગળ કાર્યવાહી કરાશે. હાલ તેમાં કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ સરકાર આ બાબતે વિચારણા કરી રહી છે. સરકારને એ બાબતનો ખ્યાલ છે કે સુરતમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓના ગામડાઓના જે રત્નકલાકારો અત્યારે નિવાસ કરે છે તેમને પોતાના વતનમાં આવવાની ઈચ્છા છે એટલે તેમનું સ્વાસ્થ્યનું પરિક્ષણ  કરાવીને યોગ્ય સમયે મંજૂરી આપવામાં આવશે. પરંતુ મંજૂરી આપ્યા બાદ 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન અને ત્યારબાદ એક મહિનો તેમને સુરત પાછા આવવાની શરતો સાથે સુરત છોડવાની મંજૂરી યોગ્ય સમયે આપવામાં આવશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news