તમાકુની તલબ લાગી હોય તો આ જગ્યાએ મળશે માવા, જ્યાં વેચાણ પર નથી પ્રતિબંધ

દેશભરમાં અને ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લોકડાઉન દરમિયાન પાન તમાકુના પ્રતિબંધને લઈને વ્યસનીઓની તલબ એટલી હદ વટાવી ગઈ કે તમાકુ સોપારીના કાળા બજાર થવા લાગ્યા અને દોઢસો રૂપીયાની તમાકુના પંદરસો રૂપીયા લેવાતા હતા

તમાકુની તલબ લાગી હોય તો આ જગ્યાએ મળશે માવા, જ્યાં વેચાણ પર નથી પ્રતિબંધ

સાગર ઠક્કર, જુનાગઢ: જૂનાગઢમાં લોકડાઉન દરમિયાન પાન તમાકુના પ્રતિબંધ વચ્ચે હર્બલ માવાનું ચલણ વધી રહ્યુ છે. તમાકુ વગરના ઔષધિ યુક્ત માવાની માંગ વધી રહી છે અને લોકો તમાકુવાળા માવા છોડીને ઔષધિ યુક્ત માવા તરફ વળ્યા હોય તેમ લાગે છે. વળી તમાકુવાળા માવા કરતાં અડધી કિંમતમાં અને આસાનીથી ઉપલબ્ધ પણ થઈ જાય છે. ત્યારે ઔષધીય ગુણો ધરાવતા માવાને લઈને લોકોનું તમાકુનું વ્યસન ઓછું થઈ રહ્યું હોય તેમ જણાય છે.

દેશભરમાં અને ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લોકડાઉન દરમિયાન પાન તમાકુના પ્રતિબંધને લઈને વ્યસનીઓની તલબ એટલી હદ વટાવી ગઈ કે તમાકુ સોપારીના કાળા બજાર થવા લાગ્યા અને દોઢસો રૂપીયાની તમાકુના પંદરસો રૂપીયા લેવાતા હતા. પરંતુ પાન તમાકુના પ્રતિબંધ વચ્ચે હર્બલ માવાનું ચલણ વધ્યું હોય તેમ જણાય છે. જૂનાગઢના કાંતિભાઈ ઝાંઝરૂકીયાએ બનાવેલા તમાકુ વગરના ઔષધિ યુક્ત માવાની માંગ વધી છે. કાંતિભાઈનું માનવું છે કે કોઈ માણસ સીધેસીધું વ્યસન છોડી ન શકે ધીમે ધીમે જો પ્રયત્ન કરવામાં આવે તો વ્યસનથી અવશ્ય મુક્તિ મળે છે.

સૌરાષ્ટ્રમાં પાન માવાનું ખુબ જ ચલણ છે, લોકડાઉનને લઈને તમાકુ સોપારી પર પ્રતિબંધ હોય લોકો પાંચ ગણી કિંમત ચૂકવીને માવા ખરીદતા હતા. ત્યારે હવે લોકડાઉન લંબાયું છે અને તમાકુ સોપારીની આવક પણ બંધ છે. ત્યારે હવે લોકો ગમે તેટલી કિંમત ચૂકવે તો પણ તેને માવા મળી શકે તેમ નથી. ત્યારે કાંતિભાઈએ સોપારી, વરીયાળી, તજ, અજમો જેવી 12 જેટલી ઔષધીઓનું એક મિશ્રણ તૈયાર કરીને હર્બલ માવો તૈયાર કર્યો છે. જે ખાવાથી અને પેટમાં જવાથી નુકશાન થવાનું તો દુર પરંતુ ફાયદો થાય છે. વળી આ માવામાં જે ચીજવસ્તુઓ વપરાય છે તે સરળતાથી ઉપલબ્ધ પણ થઈ જાય છે અને લોકો ઘરે પણ બનાવી શકે છે.

કાંતિભાઈને આ સમયમાં લોકો ફોનથી ઓર્ડર આપે છે અને હર્બલ માવા લઈ જાય છે. 450 રૂપીયે એક કિલો હર્બલ માવાના મિશ્રણમાંથી અંદાજે 60થી 70 માવા બને છે. બજારમાં એક માવો 15 રૂપીયાનો મળે છે. તેની સરખામણીએ હર્બલ માવો 6થી 7 રૂપીયાનો પડે છે. આમ આર્થિક રીતે પણ ફાયદો થાય છે. લોકડાઉન દરમિયાન આ એક સારી બાબત ગણી શકાય કે લોકો ના છુટકે પણ વ્યસનને છોડીને એટલે કે તમાકુ વાળા માવા છોડીને ઔષધિ યુક્ત માવા તરફ વળી રહ્યા હોય અને એક સારી આદત અપનાવી રહ્યા હોય તેમ જણાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news