નારાયણને થયેલી સજાથી મને ખુબ જ સંતોષ છે અને ખુશી મળી છેઃ પીડિતા

નારાયણ સાંઈને પહેલા જેલના સળિયા પાછળ અને હવે આજીવન કેદની સજા સુધી લઈ જનારી પીડિતાએ પત્રકારોને જણાવ્યું કે, બંને પિતા-પુત્ર ખરાબ માનસિક્તા ધરાવતા હતા અને વિવિધ સભાઓમાં શિકાર શોધતા રહેતા હતા 
 

નારાયણને થયેલી સજાથી મને ખુબ જ સંતોષ છે અને ખુશી મળી છેઃ પીડિતા

સુરતઃ નારાયણ સાંઈને સામે દુષ્કર્મની ફરિયાદ કરનારી પીડિતાએ નારાયણને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજા પછી પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેણે જણાવ્યું કે, બંને પિતા-પુત્ર ખરાબ માનસિક્તા ધરાવતા હતા અને વિવિધ સભાઓમાં શિકાર શોધતા રહેતા હતા. આ કામમાં તેમની ખાસ સાધ્વીઓ તેમને મદદ કરતી હતી. પીડિતાએ કહ્યું કે, 'સત્ય પરેશાન હો સક્તા હૈ, પરાજિત નહીં. ધર્મના નામે ધતિંગ કરતા લોકોથી બચીને રહેવું જોઈએ અને તેમની વાતોમાં ન આવવું જોઈએ.' 

પીડિતાએ જણાવ્યું કે, 'અમારા માતા-પિતાની સાથે બાળપણથી જ આસારામના આશ્રમમાં આવતા-જતા હતા. અમારો પરિવાર તેમને પરમ ભક્ત હતો. જેમ-જેમ મોટા થયા તેમ અમારો આસારામ પરનો વિશ્વાસ વધતો ગયો હતો અને આ રીતે નારાયણ સાંઈના સંપર્કમાં આવ્યા હતા.' 

આ ઘટના 2002થી 2004ની છે અને અમે 2013માં નારાયણ સાંઈ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પછી મારા પતિ પર જીવલેણ હુમલો કરાયો હતો. આ ઉપરાંત, અનેક સાક્ષીઓની હત્યા પણ કરવામાં આવી હતી. પીડિતાએ કહ્યું કે, આ લોકો પૈસા અને ધાક-ધમકીના આધારે તેમની સામે થયેલી ફરિયાદો રદ્દ કરાવી દેતા હતા. 

મહિલાઓને કેવી રીતે શિકાર બનાવતા હતા એ સવાલના જવાબમાં પીડિતાએ કહ્યું કે, "મહિલાનું બેકગ્રાઉન્ડ કેવું છે તે સૌથી પહેલા ચકાસતા હતા. મહિલાનું વ્યક્તિત્વ કેવું છે, તેની પાસે કેટલો પૈસો છે. મહિલા ગરીબ ઘરની હોય તો તેને પણ તેઓ ફસાવતા હતા. આ રીતે તેઓ પોતાનો ટાર્ગેટ શોધતા હતા."

પીડિતાએ વધુમાં કહ્યું કે, "બાપ-બેટો બંને એક સરખા જ હતા. તેઓ કોઈ ચોક્કસ આશ્રમમાં આવું કૃત્ય કરતા ન હતા, પરંતુ જ્યાં તક મળી જાય, જ્યાં કોઈ શિકાર હાથ લાગી જાય ત્યાં તેઓ મહિલા સાથે દુષ્કર્મ ગુજારતા હતા. આ કામમાં તેમની સાધ્વીઓ અને સેવકો તેમને મદદ કરતા હતા. દરેક આશ્રમમાં જુદી-જુદી પદ્ધતિ અપનાવાતી હતી. જે આશ્રમમાં જે મહિલા પસંદ આવી જાય તો તેમના કેટલાક કોડવર્ડ ચાલતા હતા. તેઓ તેમની સાધ્વીને આ કોડવર્ડ જણાવતા હતા. પછી તેમની સાધિકાઓ એ મહિલાને જેમ-તેમ ફોસલાવીને તેમના સુધી પહોંચાડતા હતા."

પીડિતાને જ્યારે પુછવામાં આવ્યું કે, તમારા જેવી કેટલી યુવતીઓનું જાતીય શોષણ આ લોકોએ કર્યું હશે? આ સવાલના જવાબમાં પીડિતાએ કહ્યું કે, "કોઈ ચોક્કસ આંકડો તો કહી શકાય નહીં, પરંતુ અસંખ્ય મહિલાઓ હશે. મારા જેવી કેટલીક મહિલાએ જ તેમની સામે અવાજ ઉઠાવાની હિંમત કરી છે. બાકી અનેક મહિલાઓ દુનિયાની શરમમાં, તેમના દ્વારા આપવામાં આવેલી ધાક-ધમકી કે પૈસાની લાલચ વગેરેના કારણે ફરિયાદ કરવા માટે આગળ આવી નથી."

પીડિતાએ કહ્યું કે, "આ લોકો તેમની સામે અવાજ ઉઠાવનાર વ્યક્તિ કે મહિલા સામે શામ-દામ-દંડ કોઈ પણ નીતિ અપનાવતા હતા. તેમની પાસે અઢળક પૈસો હતો અને તેનો તેઓ ઉપયોગ કરતા હતા."

નારાયણ સામે કેસ કરવાની હિંમત ક્યાંથી મળી તે સવાલના જવાબમાં પીડિતાએ કહ્યું કે, "જયપુર કેસમાં જ્યારે યુવતીએ જે રીતે હિંમત દેખાડી અને કેસ આગળ ચાલ્યો પછી મને નારાયણ સાંઈ સામે ફરિયાદ કરવાની હિંમત આવી હતી. અમારી ઉપર પણ ફરિયાદ પાછી ખેંચી લેવા ખુબ જ દબાણ કરાયું હતું, પરંતુ મને મારા પરિવાર અને પતિનો ખુબ જ સહકાર મળ્યો છે, જેના કારણે આ નારાયણને સજા આપવામાં સફળ થઈ શકી છું."

નારાયણની પત્નીએ પણ તેને કહ્યો પાપી-અત્યાચારી
ઝી 24 કલાક દ્વારા નારાયણની પત્ની જાનકી સાથે તેને મળેલી સજા અંગે વાત કરવામાં આી હતી. નારાયમની પત્નીએ વાતચીતમાં જણાવ્યું કે, " નારાયણ સાંઈએ જે ખોટા કામ કર્યા છે, તેના પાપની તેને સજા મળી છે. ધર્મના નામે ધતિંગ કરતા આવા લોકોથી દૂર રહેવું જોઈએ. તે પહેલાથી જ અત્યાચારી હતો. મારા લગ્ન પછી તેના આવા કૃત્યોની ખબર પડી હતી. તેઓ મારી પર પણ શારીરિક અત્યાચાર ગુજારતા હતા. સાંઈને જે સજા મળી તેનાથી મને આનંદ છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news