મહારાષ્ટ્રઃ કોંગ્રેસ-NCPને મોટો ફટકો, 4 ધારાસભ્યોએ આપ્યું રાજીનામું

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીમાંથી રાજીનામું આપનારા આ તમામ ધારાસભ્ય બુધવારે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે 
 

મહારાષ્ટ્રઃ કોંગ્રેસ-NCPને મોટો ફટકો, 4 ધારાસભ્યોએ આપ્યું રાજીનામું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ કારણે અહીં રાજકીય ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલાં મોટું નુકસાન થયું છે. મંગળવારે કોંગ્રેસના 1 અને એનસીપીના 3 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ બુધવારે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. 

આ ધારાસભ્યોએ આપ્યું રાજીનામું :- 
1. સંદીપ નાઈક (NCP)
2. વૈભવ પિચડ (NCP)
3. શિવેન્દ્રરાવ ભોસલે (NCP)
4 કાલિદાસ કોલમ્બકર (Cong.)

આ તમામ ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપી દીધું છે. આ તમામ 4 ધારાસભ્યો 31 જુલાઈના રોજ ભાજપમાં જોડાવાના છે. મુંબઈના સીસીઆઈ ક્લબમાં એક ભવ્ય સમારોહનું આયોજન કરાયું છે, જ્યાં મુખ્યમંત્રી ફડણવીસની આગેવાનીમાં આ ચારેય ધારાસભ્યો કેસરિયો ખેસ ધારણ કરશે. મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજનનો દાવો છે કે, કોંગ્રેસ અને એનસીપીના 50 કરતાં વધુ ધારાસભ્યો ટૂંકમાં જ ભાજપમાં જોડાઈ જશે. 

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ એનસીપીના નેતા શરદ પવારે જણાવ્યું હતું કે, ભાજપ તેમની પાર્ટીને તોડી રહી છે, જે લોકશાહી માટે ઉચિત નથી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જે નેતા તેમની પાર્ટી છોડીને જાય છે તે બીજી વખત જીતી શક્તો નથી. 

જેના જવાબમાં ફડણવીસે જણાવ્યું હતું કે, નેતાઓ ભાજપની નીતિઓથી પ્રેરિત થઈને ભાજપમાં જોડાઈ રહ્યા છે. જોકે, એ ભાજપ નક્કી કરશે કે કોને લેવાના છે અને કોને નહીં. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news