ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો, બિલ લોકસભામાં પસાર કરાયું

ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ને રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટી નો કેન્દ્ર સરકાર દ્વારા દરજ્જો અપાયો છે. જેનું વડું મથક ગાંધીનગરમાં રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા સો ટકા ગ્રાન્ટ રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને ફાળવવામાં આવશે

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો, બિલ લોકસભામાં પસાર કરાયું

હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ને રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટી નો કેન્દ્ર સરકાર દ્વારા દરજ્જો અપાયો છે. જેનું વડું મથક ગાંધીનગરમાં રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા સો ટકા ગ્રાન્ટ રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને ફાળવવામાં આવશે. દેશ-વિદેશમાં ઓફ-કેમ્પસ સેન્ટર તથા ઓફ-શોર કેમ્પસની સ્થાપના થકી ફોરેન્સિક સાયન્સના શિક્ષણ, રિસર્ચ, ટ્રેનીંગ અને કન્સલ્ટન્સીંગનો વ્યાપ દેશ અને દુનિયામાં ફેલાવવા આ યુનિવર્સિટીની ભૂમિકા પાયારૂપ બનશે. આ બાબતે મુખ્યમંત્રી અને ગુહ રાજ્યમંત્રીએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે દીર્ઘ દ્રષ્ટિ પૂર્વક રાજ્યમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધે તે માટે ગુજરાતમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. રાજ્યની આ યુનિવર્સિટીએ દેશ-વિદેશમાં તેની કામગીરી થકી નામના મેળવી છે. ત્યારે ગુજરાતની આ યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટી તરીકેનો દરજ્જો આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. આ માટેનું બિલ આજે લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજય મંત્રી જી.કિશન રેડ્ડીએ રજૂ કર્યુ હતું અને લોકસભામાં પસાર કરાયું હતું. જે સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. આ યુનિવર્સિટી માટે કેન્દ્ર સરકાર 100 ટકા ગ્રાન્ટ ફાળવશે અને યુનિવર્સિટીનું વડુ મથક ગાંધીનગર રહેશે.

મંત્રીશ્રી જાડેજાએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે નાગરીકોને સુરક્ષા પૂરી પાડવા અને ત્વરિત ન્યાય મળે તે માટે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે. ત્યારે આ યુનિવર્સિટી દેશ અને દુનિયા માટે મહત્વની પૂરવાર થશે. તેમણે ઉમેર્યું કે, આજનાં ડિજીટલ યુગના સમય-ગાળામાં ફોરેન્સિક સાયન્સ જેવા વિષય અંગેની નેશનલ ઈમ્પોર્ટન્સ ધરાવતી સંસ્થા રાજ્યમાં છે. જેનું મુખ્ય કાર્યક્ષેત્ર શિક્ષણની સાથે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ, ઝડપી ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન અને જસ્ટીસ ડિલિવરી સીસ્ટમને મજબૂત બનાવવા અંગેનાં રીસર્ચ અને ટ્રેનીંગનું છે. રાજ્ય સરકારની આ ક્ષેત્રે વિકાસ કરવાની પ્રતિબધ્ધતાના કારણે આ કેન્દ્રિય યુનિવર્સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો છે. જેના પરિણામે દેશ-વિદેશના આ ક્ષેત્રે સંકળાયેલા લોકોને સીધો લાભ મળશે.

મંત્રી જાડેજાએ કહ્યું કે, ગુજરાત ફોરન્સીક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના એ ગુજરાતના તત્કાલિક મુખ્યમંત્રી અને હાલના ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે, જેની સ્થાપનાનો મૂળ હેતુ દેશ અને દુનિયામાં ફોરેન્સિક સાયન્સનાં તજજ્ઞોની કમીને પહોંચી વળવા માટેનો હતો. સમયાંતરે ફોરેન્સિક સાયન્સનાં તજજ્ઞોની અપૂરતી સંખ્યા અને તેની ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન અને જસ્ટીસ ડિલિવરી સીસ્ટમ પરની અસરોને ધ્યાને લેતા એક અલાયદી સંસ્થા હોવી જોઈએ એ વિચાર સાથે જીએફએસયુની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાનો મૂળ હેતુ ફોરેન્સિક સાયન્સ અને તેના સ્પર્શતા અન્ય વિષયો જેવા કે સાયબર ક્રાઈમ, ડીજીટલ ફોરેન્સિક, બીહેવીરલ સાયન્સ વગેરેમાં શિક્ષણ, ટ્રેનીંગ, રીસર્ચ અને કન્સલ્ટન્સી પૂરી પાડવી છે.

માત્ર 10 વર્ષના ટૂંકા સમયગાળામાં આ સંસ્થાએ દેશ-વિદેશનાં 10,000થી વધુ પોલીસ ઓફિસર્સ, ફોરેન્સિક સાયન્સનાં એક્સપર્ટસ, જ્યુડીશરીનાં સભ્યોને ગુન્હા સંશોધન અને સિક્યુરીટીને લગતા વિવિધ વિષયોમાં તાલીમ આપી છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીની ભૂમિકા અને યોગદાનને ધ્યાને લેતા તેને કેન્દ્રીય કક્ષાએ આગળ વધારવી આખાય દેશનાં પરિપ્રેક્ષ્યમાં જરૂરી હોય પ્રધાનમંત્રીએ આ યૂનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટીનો દરજ્જો આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, GSFU એ 58 દેશો સાથે MOU કર્યા છે. જે અંતર્ગત તાલીમ ઉપરાંત ફોરેન્સિક લેબોરેટરી સ્થાપવામાં પણ આ યુનિવર્સિટી દ્વારા મદદ કરવામાં આવી રહી છે. એ જ રીતે દેશના વિવિધ રાજ્યો ઉપરાંત બાંગ્લાદેશ મ્યાનમાર, માલદિવ, ઝિમ્બાબ્વે, રવાન્ડા, યુગાન્ડા, ત્રિનીદાદ અને ટોબેગો જેવા દેશમાં off-shore કેમ્પસ સ્થાપવાની અનેક દરખાસ્તો આ યુનિવર્સિટી પાસે આવે છે.

મંત્રી જાડેજાએ કહ્યું કે, આ યુનિવર્સિટીમાં દેશમાં ઓફ કેમ્પસ સેન્ટર તથા વિદેશમાં ઓફ-શોર (Off-Shore) કેમ્પસની સ્થાપના કરી શકાશે. જેનાથી ફોરેન્સિક સાયન્સનાં શિક્ષણ, રીસર્ચ, ટ્રેનીંગ અને કન્સલ્ટન્સીનો વ્યાપ દેશ અને દુનિયામાં વધારવા માટે ગુજરાત સ્થિત આ શૈક્ષણિક સંસ્થા પાયારૂપ બનશે. સૂચિત યુનિવર્સિટીનું મુખ્ય મથક ગાંધીનગર ખાતેની ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી રહેશે. તેમણે ઉમેર્યું કે, યુનિવર્સિટીમાં વિવિધ કેન્દ્રીય સંસ્થાઓ, કેન્દ્ર સરકારનાં અન્ય વિભાગો તેમજ વિદેશી સંસ્થાઓ પાસેથી ફંડેડ રીસર્ચ અને કન્સલ્ટન્સી પ્રોજેક્ટ્સ મેળવવામાં પણ સરળતા થશે. આ યુનિવર્સિટીનું સૂચિત માળખું એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે, આ સંસ્થા દેશની અન્ય તમામ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનાં કેપેસીટી બિલ્ડીંગ વધારવામાં પણ મહત્વની સાબિત થશે.

મંત્રી જાડેજાએ કહ્યું કે, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને આ વિશિષ્ટ દરજ્જો મળતા યુનિવર્સિટીનાં કાર્યક્ષેત્રનો વ્યાપ દેશ અને દુનિયામાં વધશે જેને કારણે તમામ સ્તરે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ, ઝડપી ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન અને જસ્ટીસ ડીલીવરી સીસ્ટમને લગતા અનેક કાર્યો થઇ શકશે જેના કારણે રાજ્યમાં ઝીરો ટોલરન્સની રાજ્ય સરકારની નીતિને અને ગુનાખોરી નાથવા માટેની પ્રવૃતિઓ ડામવાની રાજ્ય સરકારની નીતિને બળ મળશે. ગુજરાત સ્થિત આ શૈક્ષણિક સંસ્થા ફોરેન્સિક સાયન્સનાં વિષયમાં દેશ-ભરની એક-માત્ર પ્રમુખ સંસ્થા તરીકે સુકાન સંભાળશે. આ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળતા કેન્દ્ર સરકાર દ્વારા આ યુનીવર્સીટીને 100% ગ્રાન્ટ આપવામાં આવશે, અને દેશ-દુનિયામાં ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રેના અભ્યાસક્રમો તથા સંશોધનોમાં વધારો થતા ગુજરાત વૈશ્વિક સ્તરે  પ્રસ્થાપિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news