લોકસભા ચૂંટણી 2019 પરિણામઃ મુસ્લિમો માટે આ સંસ્થાએ કહી મોટી વાત... થયો વિવાદ

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા લોકસભા ચૂંટણી 2019માં ભાજપના વિજય પછી મુસલમાનોને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે, જેનું મથાળું મારવામાં આવ્યું છે કે, "મુસલમાનો પોતાના અંદર હિંમત, વિશ્વાસ અને આત્મવિશ્વાસ પેદા કરે"
 

લોકસભા ચૂંટણી 2019 પરિણામઃ મુસ્લિમો માટે આ સંસ્થાએ કહી મોટી વાત... થયો વિવાદ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019નું પરિણામ આવી ચૂક્યું છે અને દેશમાં ફરી એક વખત મોદી સરકાર બનવા જઈ રહી છે. મોદી સરકારના ફરી વખત સત્તામાં આવવા અંગે 'ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ' દ્વારા મુસલમાનોને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે. જેના વિષયના કારણે હવે વિવાદ પેદા થયો છે. એક પત્રનું મથાળું મારવામાં આવ્યું છે કે, "મુસલમાનો પોતાના અંદર હિંમત, વિશ્વાસ અને આત્મવિશ્વાસ પેદા કરે".

શું લખ્યું છે પત્રમાં?
આ પત્રમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મહાસચીવ તરફથી લખવામાં આવ્યું છે કે, 'એ બાબતે કોઈ શંકા નથી કે ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. જે થવાનું હતું, થઈ ચૂક્યું છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી કે આગામી દિવસોમાં સ્થિતિ તણાવપૂર્ણ બની શકે છે. આપણે ઈસ્લામમાં માનતા લોકોની એ જવાબદારી છે કે મુશ્કેલથી મુશ્કેલ સમયમાં પણ તેઓ ધીરજ રાખે અને નિરાશાનો ભોગ ન બને.'

પત્રમાં આગળ વલી રહેમાની લખે છે કે, 'આપણાં વડીલોએ ઘણું સમજી વિચારીને જ આ દેશમાં રહેવાનો નિર્ણય લીધો હતો. આપણે આ નિર્ણય પર અટલ છીએ. મુસલમાનોએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આ અગાઉ પણ મુસલમાનો માટે આના કરતાં પણ વધુ ખરાબ સમય આવી ચૂક્યો છે. એવો સમય પણ પસાર થયો છે, જ્યારે ચારેય તરફ અંધારું જ અંધારું દેખાતું હતું, તેમ છતાં અલ્લાહે આ અંધકાર દરમિયાન પ્રકાશનું કિરણ ફેલાવ્યું હતું.'

ચૂંટણી પરિણામ પછી પણ કરી હતી ટ્વીટ
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી ચૂંટણી પરિણામ પછી પણ એક ટ્વીટ કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, 'આ ચૂંટણી રાજકીય પક્ષો વચ્ચે થઈ છે અને રાજકીય પક્ષોનો જ વિજય-પરાજય થયો છે. કોઈ પણ સમુદાયે તેનાથી ડરવાની જરૂર નથી. પ્રજાએ જે ચૂકાદો આપ્યો છે, તેનું સન્માન કરવું જોઈએ. આપણે આશા રાખીએ કે દેશમાં શાંતિ અને સાંપ્રદાયિક સોહાર્દ જળવાઈ રહેશે. દેશ પ્રગતિ કરશે.'

હવે, પત્ર સામે સવાલ ઉઠ્યા 
આ પત્ર અંગે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પર સવાલ ઉઠાવાઈ રહ્યા છે કે, શું બોર્ડ મુસલમાનોને ડરાવી રહ્યું છે? આખરે શા માટે પરિણામ આવ્યા પછી તેને આ પત્ર લખવાની જરૂર પડી. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને એવું શા માટે લાગે છે કે આગામી સમયમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ થઈ શકે છે? શું આ તમામ બાબતોથી ભાઈચારો ખરાબ નહીં થાય. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news