લોકડાઉનમાં જે મળ્યું તેના પર ટીંગાઈને ઓરિસ્સા ગયેલા શ્રમિકો હવે સુરત પરત ફરશે

લોકડાઉનમાં જે મળ્યું તેના પર ટીંગાઈને ઓરિસ્સા ગયેલા શ્રમિકો હવે સુરત પરત ફરશે
  • રેલવે મંત્રાલય દ્વારા સ્પેશિયલ ટ્રેન ઓરિસ્સાથી સુરત માટે દોડવાનું નક્કી કરવામાં આવ્યું. 
  • હવે ટ્રેનમાં 1200 જેટલા કારીગરો પોતાના માદરે વતનથી સુરત આવી શકે એ રીતે ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો

ચેતન પટેલ/સુરત :કોરોના કાળમાં કાપડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કારીગર (migrants) પોતાના માદરે વતન પગપાળા, ટ્રેન અથવા તો બસ મારફતે પહોંચ્યા હતા. જોકે હાલ જે રીતે કાપડ ઈન્ડસ્ટ્રીની પરિસ્થિતિ સુધરી છે ત્યારે કારીગરોની માંગ ઊભી થઈ છે. ઉદ્યોગને ફરી વેગવંતુ બનાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પીએમને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલય દ્વારા સ્પેશિયલ ટ્રેન ઓરિસ્સાથી દોડવાનું નક્કી કરવામાં આવ્યું છે. રેલવે મંત્રાલયની જાહેરાત બાદ 24 કલાકની અંદર એક મહિનાનું બુકિંગ થઈ ગયું છે.

કોરોનાકાળ દરમિયાન સુરતમાં વસતા આઠથી દસ લાખ જેટલા કામદારોની હાલત કફોડી બની હતી. આ દરમિયાન તેઓ ટ્રેન મારફતે, પગપાળા અથવા તો બસનો સહારો લઇ પોતાના માદરે વતન પહોંચ્યા હતા. હાલ અનલોક 5 અમલમાં આવતાની સાથે જ કાપડ ઇન્ડસ્ટ્રીમાં કારીગરોની માંગ વધી છે. તો બીજી તરફ કારીગરોને પણ ઓરિસ્સાથી સુરત આવવું છે. જોકે તેમના માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. આખરે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ અંગે કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને ધ્યાનમાં લઇ રેલવે મંત્રાલય દ્વારા ત્રણ જેટલી ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રેલવે મંત્રાલયની જાહેરાત બાદ ૨૪ કલાકમાં ત્રણેય ટ્રેન એક મહિના માટે ફૂલ બુકિંગ થઇ ગઈ છે. બીજી તરફ કોરોનાને ધ્યાનમાં રાખી રેલવે પ્રશાસન દ્વારા ટ્રેનમાં ફક્ત 700 લોકોને જ મુસાફરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે હવે ટ્રેનમાં 1200 જેટલા કારીગરો પોતાના માદરે વતનથી સુરત આવી શકે એ રીતે ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે કાપડ ઇન્ડસ્ટ્રીઝ ફરીથી વેગવંતું બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news