વડોદરામાં વિશ્વામિત્રીના પાણી લોકોના ઘરમાં ઘૂસવાની શરૂઆત થઈ

વડોદરા રેલવે સ્ટેશન પાસેનું અલકાપુરી ગરનાળુ પાણીથી ભરાઈ ગયું છે. આ કારણે અલકાપુરી અંડર પાસ અવરજવર માટે બંધ કરાયો

વડોદરામાં વિશ્વામિત્રીના પાણી લોકોના ઘરમાં ઘૂસવાની શરૂઆત થઈ

રવિ અગ્રવાલ/વડોદરા :નર્મદાએ ભરૂચ, અંકલેશ્વરમાં વિનાશ વેર્યા બાદ હવે વડોદરાની વિશ્વામિત્રી નદી (vishramitri river) તારાજી સર્જવાના આરે છે. મોડી રાત્રે 2 વાગે વિશ્વામિત્રી નદીની સપાટી 25.25 ફૂટ પર પહોંચી ગઈ છે. ત્યારે આજે મંગળવારે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી (flood in vadodara)  લોકોના ઘરમાં ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલ સુભાષનગર વિસ્તારમાં નદીના પાણી પહોંચી ગયા છે. અહીં લોકોના ઘર પાણીમાં ડૂબવાની શરૂઆત થઈ છે. જોકે, તંત્ર એ અગાઉથી જ લોકોના ઘર કરાવી દીધા હતા, જેથી કોઈ જાનહાનિની શક્યતા નથી. પરંતુ લોકોને પાણી ઉપર આવતા મગરો બહાર આવી જશે તે ડર સતાવી રહ્યો છે.

વડોદરામાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે. રાત્રે 2 વાગે વિશ્વામિત્રી નદીની સપાટી 25.25 ફૂટ થઈ હતી. આજવા સરોવરમાંથી સતત પાણી આવી રહ્યું છે. હાલ આજવા સરોવરની સપાટી 212.30 ફૂટ થઈ છે. તો પ્રતાપપુરા સરોવરની સપાટી 227.30 ફૂટ પર પહોંચી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યાં છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીનું ભયજનક લેવલ 26 ફૂટ છે, જેને ટચ કરવામાં હવે થોડી જ ક્ષણો બાકી છે. 

આજવા સરોવરના પાણી વિશ્વામિત્રી નદીમાં પહોંચતા નદી 25.25 ફૂટે પહોંચી ગઈ છે. જેથી વડોદરા રેલવે સ્ટેશન પાસેનું અલકાપુરી ગરનાળુ પાણીથી ભરાઈ ગયું છે. આ કારણે અલકાપુરી અંડર પાસ અવરજવર માટે બંધ કરાયો છે. શહેરનો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો આ મહત્વનો અંડર પાસ બંધ થયો છે. ટ્રાફિક પોલીસે બેરીકેટ લગાવી રસ્તો બંધ કર્યો છે. જેથી આજે અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. તો સાથે જ વડોદરામાં ટ્રાફિક જામની સમસ્યા પણ અંડરપાસ બંધ થવાથી સર્જાય છે. 

વડસર ગામમાં ઘૂસ્યા પાણી
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી વડસર ગામમાં ઘૂસ્યા છે. વડસર પાસે આવેલ કાંસા રેસિડેન્સીમાં નદીના પાણી ઘૂસી ગયા છે. જેથી ફાયર બ્રિગેડને કાંસા રેસિડેન્સીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવું પડ્યું હતું. રેસિડન્સીના 12 જેટલા વ્યક્તિઓનું રેસ્ક્યૂ કરાયું હતું.  ફસાયેલા લોકોએ તંત્ર પાસે મદદ માંગી હતી. હજી પણ કાંસા રેસિડેન્સીમાં અનેક લોકો ફસાયેલા છે. 

તો બીજી તરફ, નર્મદા નદીના પાણી ડભોઇના ગામોમાં ફરી વળ્યા છે. ગામોમાં પાણી ફરી વળતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આવામાં ગુમાનપુરા ગામની મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હતો, ત્યારે ગામ લોકો મદદે આવ્યા હતા. કેડસમા પાણીમાં ખાટલામાં બેસાડી મહિલાને પ્રસૂતિ માટે લઈ જવાઈ હતી. જોકે, સમગ્ર ઘટનામાં તંત્ર દ્વારા કોઈ મદદ મળી ન હતી. નાયબ કલેક્ટેરે બોટ સુવિધા બંધ કરતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકો ઇમરજન્સીમાં પણ બોટોન ઉપયોગ કરી શક્તા નથી. ત્યારે તંત્રના નિર્ણયને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news