NDA સરકારના નવા મંત્રીમંડળમાં જોવા મળી શકે છે નવા ચહેરા, આ નામ પર સૌની નજર

અરૂણ જેટલી નાદુરસ્ત તબિયતને કારણે શનિવારે નવા મંત્રીમંડળમાં સામેલ થવા ઈનકાર કર્યો છે, સુષમા સ્વરાજ ચૂંટણી પહેલા જ નવી સરકારમાં ન રહેવા અંગે જણાવી ચૂક્યા છે, આથી નવા મંત્રીમંડળમાં નરેન્દ્ર મોદી ભાજપની બીજી કેડર તૈયાર કરવા માટે કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે 

NDA સરકારના નવા મંત્રીમંડળમાં જોવા મળી શકે છે નવા ચહેરા, આ નામ પર સૌની નજર

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવાની સાથે ભારતીય જનતા પાર્ટીએ સતત બીજી વખત વિજય મેળવ્યો છે. હવે દરેકી નજર નવી સરકારની રચના પર છે. એવા પણ અનુમાન વ્યક્ત થઈ રહ્યા છે કે, મોદીના નવા મંત્રીમંડળમાં અમિત શાહ સહિત અનેક નવા ચહેરાને સ્થાન મળી શકે છે. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને અમેઠીમાં હરાવ્યા હોવાથી તેમને મોટી જવાબદારી મળી શકે છે. સાથે જ આ વખતે અનેક યુવાન ચહેરાઓ પ્રથમ વખત ચૂંટાયા છે અને તેમને પણ મંત્રીપદ મળી શકે છે. પૂર્ણ બહુમત સાથે બીજી વખત નરેન્દ્ર મોદી સરકાર બનાવવા જઈ રહ્યા છે ત્યારે હવે સૌની નજર તેમના નવા મંત્રીમંડળ પર છે.  

શુક્રવારે નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સામુહિક રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિએ વડાપ્રધાન સહિત મંત્રીમંડળનું રાજીનામું સ્વીકારીને નરેન્દ્ર મોદીને નવી સરકારની રચના થાય ત્યાં સુધી કામચલાઉ વડાપ્રધાન પદે રહેવા જણાવ્યું છે. 

ભાજપના નેતૃત્વવાળા NDAના નવા ચૂંટાયેલા સાંસદોની શનિવારે બેઠક થવા જઈ રહી છે, જેમાં તેઓ ઔપચારિક રીતે નરેન્દ્ર મોદીને પોતાનો નેતા પસંદ કરશે. તેની સાથે જ સરકારની રચનાની દિશામાં પ્રક્રિયા આગળ વધશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAએ લોકસભા ચૂંટણી 2019માં 354 સીટ પર વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપે 303 બેઠકો પર વિજય મેળવ્યો છે. 

નાણા મંત્રી અરૂણ જેટલીએ નાદુરસ્ત તબિયતના કારણે નવા મંત્રીમંડળમાં સ્થાન ન મેળવવાની શુક્રવારે જાહેરાત કરી છે. સુષમા સ્વરાજ ચૂંટણી પહેલા જ જણાવી ચૂક્યા હતા કે તેઓ હવે આગામી સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી સંભાળશે નહીં. આથી, અમિત શાહને ગૃહ મંત્રાલય કે વિદેશ મંત્રાલય અથવા તો સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. આ ઉપરાંત, નવા મોદી મંત્રીમંડળમાં અનેક નવા ચહેરા અને યુવાનોને પણ સ્થાન મળે તેવી સંભાવના છે. સ્મૃતિ ઈરાનીને પણ મંત્રીમંડળમાં મોટી જવાબદારી મળી શકે છે. 

આ સિવાય રાજનાથ સિંહ, નિતિન ગડકરી, રવિશંકર પ્રસાદ, પિયુષ ગોયલ, નરેન્દ્ર સિંહ તોમર, પ્રકાશ જાવડેકર અને સ્મૃતિ ઈરાની કે જે જૂના મંત્રીમંડળમાં હતા તેમને નવા મંત્રીમંડળમાં પણ રાખવામાં આવે તેવી પૂરેપુરી સંભાવના છે. સાથે જ NDAના સાથી પક્ષો JDU અને શિવસેનાના કેટલાક સાંસદોને પણ મંત્રીપદ મળી શકે છે. કેમ કે બંને પક્ષે ક્રમશ 16 અને 18 સીટ પર વિજય મેળવ્યો છે. 

17મી લોકસભાની રચના 3 જૂન પહેલા કરી દેવી અનિવાર્ય છે. આ અંગે ત્રણેય ચૂંટણી કમિશનર શનિવારે રાષ્ટ્રપતિને મળીને નવા ચૂંટાયેલા સભ્યોની યાદી સુપરત કરે તેવી પણ સંભાવના છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news