ઘર ફૂટે ઘર જાયઃ રાહુલ ગાંધીએ જણાવ્યું કોંગ્રેસના કારમા પરાજયનું મોટું કારણ

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને ખેંચતાણની વાતો જૂની નથી, અવાર-નવાર કોંગ્રેસનો ગૃહકલેશ બહાર આવતો રહે છે, તાજેતરની લોકસભા ચૂંટણી 2019માં થયેલા કારમા પરાજય પાછળ પણ હવે કોંગ્રેસનો આંતરિક વિખવાદ જ કારણભૂત હોય એવું નિવેદન રાહુલ ગાંધીએ કર્યું છે 

ઘર ફૂટે ઘર જાયઃ રાહુલ ગાંધીએ જણાવ્યું કોંગ્રેસના કારમા પરાજયનું મોટું કારણ

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને ખેંચતાણની વાતો જૂની નથી, અવાર-નવાર કોંગ્રેસનો ગૃહકલેશ બહાર આવતો રહે છે, તાજેતરની લોકસભા ચૂંટણી 2019માં થયેલા કારમા પરાજય પાછળ પણ હવે કોંગ્રેસનો આંતરિક વિખવાદ જ કારણભૂત હોય એવું નિવેદન રાહુલ ગાંધીએ કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસની કાર્યકારી સમિતિ (CWC)ની બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર આરોપ લગાવ્યો કે, તેમણે પાર્ટીથી પહેલા પોતાના પુત્રોના હિતને આગળ રાખ્યો હતો. શનિવારે મળેલી CWCની બેઠકમાં રાહુલ ગાંધીએ ઉપરોક્ત વાત જણાવી હતી. 

લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયની સમીક્ષા કરવા માટે નવી દિલ્હીમાં પાર્ટીની કાર્યકારી સમિતિની બેઠક મળી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને પાર્ટીના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે પાર્ટીથી પહેલા પુત્ર-હિતને આગળ રાખ્યો હતો.' 

રાહુલે કરી રાજીનામાની ઓફર
CWCની બેઠકમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના પરાજયની જવાબદારી સ્વિકારતા રાજીનામાની ઓફર કરી હતી. જોકે, પાર્ટીના સભ્યોએ તેમના આ પ્રસ્તાવને સર્વસંમતિ સાથે ફગાવી દીધો હતો અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પાર્ટીનું નેતૃત્વ જાળવી રાખવાનો આગ્રહ કર્યો હતો. આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયના કારણે અંગે મહામંથન કરવામાં આવ્યું હતું અને એક પ્રસ્તાવ પણ પસાર કરાયો છે. સાથે જ બેઠકમાં રાહુલ ગાંધીને પાર્ટીના સંગઠનમાં દરેક સ્તરે ધરમૂળથી ફેરફાર કરવા માટે પણ સત્તા આપવામાં આવી છે. 

બેઠક પછી પત્રકારો સાથેની વાતચીતમાં પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પત્રકારોને જણાવ્યું કે, "રાહુલ ગાંધીએ રાજીનામની ઓફર કરી હતી. બધા જ સભ્યોએ સર્વસંમતી સાથે તેમની ઓફર ફગાવી દીધી છે અને તેમને જણાવ્યું છે કે, પાર્ટીને તમારા નેતૃત્વની જરૂર છે. જો કોઈ નેતા રાષ્ટ્રીય સ્તરે વિરોધ પક્ષની ભૂમિકા નિભાવી શકે છે તો તે રાહુલ ગાંધી છે."

પાર્ટીના વરિષ્ઠ નેતા એ.કે.એન્ટોનીએ જણાવ્યું કે, "પાર્ટીનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. અમે તાત્કાલિક કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકીએ એમ નથી. તેના પર વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવશે."

CWCમાં પસાર કરાયો પ્રસ્તાવ 
શનિવારે મળેલી કોંગ્રેસની કાર્યકારી સમિતિમાં સર્વસંમતિ સાથે એક ઠરાવ પસાર કરાયો હતો. આ ઠરાવમાં જણાવાયું કે, "કોંગ્રેસ કાર્યસમિતિ 12.13 કરોડ સાહસિક અને સજાગ મતદારોનો આભાર માને છે, જેમણે કોંગ્રેસ પાર્ટીમાં પોતાનો વિસ્વાસ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસએક જવાબદાર અને સાકારાત્મક વિરોધ પક્ષ તરીકે પોતાની ફરજ નિભાવશે અને દેશવાસીઓની સમસ્યાને આગળ રાખીને તેના પ્રત્યે સરકારની જવાબદારી સુનિશ્ચિત કરશે."

પ્રસ્તાવમાં વધુમાં જણાવાયું છે કે, "કોંગ્રેસ કાર્યસમિતિએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને દેશના યુવાનો, ખેડૂતો, મહિલાઓ, અનુસુચિત જાતિ/જનજાતિ/પછાત વર્ગ, ગરીબો, શોષિતો અને વંચિતોની સમસ્યાઓ માટે આગળ રહીને સંઘર્ષ કરવાનો આગ્રહ કર્યો છે. કોંગ્રેસની કાર્યસમિતિ એ પડકારો, નિષ્ફળતાઓ અને ખામીઓનો સ્વિકાર કરે છે, જેના કારણે આવો જનાદેશ આવ્યો છે."

કાર્યસમિતિએ વધુમાં જણાવ્યું કે, "કોંગ્રેસ કાર્યસમિતિ પાર્ટીના સંગઠનાત્મક માળખામાં ધરમૂળથી ફેરફાર અને વિસ્તૃત પુનઃસંરચના કરે. જેના માટે નવી યોજનાને ટૂંક સમયમાં જ લાગુ કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીમાં પરાજય ભોગવ્યો છે, પરંતુ અદમ્ય સાહસ, સંઘર્ષની ભાવના અને અમારા સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતા પહેલા કરતા વધુ મજબૂત છે. કોંગ્રેસ પાર્ટી નફરત અને ભાગલાવાદી શક્તિઓનો સામનો કરવા માટે હંમેશાં કટિબદ્ધ છે."

CWCની બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા, અશોક ગેહલોત, અંબિકા સોની, કુમાર શૈલજા, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘ, ગુલામ નબી આઝાદ, એ.કે.એન્ટોની, મલ્લિકાર્જુન ખડગે સહિતના કાર્યસમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો માત્ર 52 સીટ પર વિજય થયો છે. 

જૂઓ LIVE TV... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news