કોંગ્રેસ માટે 'હાનિકારક' છે રાહુલ ગાંધી, તેમ છતાં શા માટે છે જરૂરી, સમજો સંપૂર્ણ રાજનીતિ

લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસને જે કારમી હારનો સામનો કરવો પડ્યો છે તેની તેણે કલ્પના કરી ન હતી, કેમ કે, તેની સામે કોઈ સત્તાવિરોધી લહેર ન હતી. આથી, કોંગ્રેસે વર્તમાન કરતાં ઘણું સારું પ્રદર્શન કરવું જોઈતું હતું, પરંતુ જે પ્રકારે તેનો પરાજય થયો છે તેમાં નેતૃત્વની જવાબદારી તો બને જ છે 
 

કોંગ્રેસ માટે 'હાનિકારક' છે રાહુલ ગાંધી, તેમ છતાં શા માટે છે જરૂરી, સમજો સંપૂર્ણ રાજનીતિ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય પછી રાહુલ ગાંધીના નેતૃત્વ અને પાર્ટીના સંગઠન સામે ઊઠી રહેલા સવાલો અંગે રાજકીય વિશ્લેષક અને 'CSDS'ના નિદેશક સંજય કુમારે જણાવ્યું કે, "કોંગ્રેસ અધ્યક્ષ 'એસેટ' અને 'લાયેબિલિટી' બંને છે. તેમણે પાર્ટીને મજબૂત કરવા માટે મોટા નેતાઓ વચ્ચે અહમની અથડામણ દૂર કરવા પર ભાર મુક્યો હતો." કુમારે જણાવ્યું કે, 2019માં કોંગ્રેસને જે કારમી હારનો સામનો કરવો પડ્યો છે તેની તેણે કલ્પના કરી ન હતી, કેમ કે, તેની સામે કોઈ સત્તાવિરોધી લહેર ન હતી. આથી, કોંગ્રેસે વર્તમાન કરતાં ઘણું સારું પ્રદર્શન કરવું જોઈતું હતું, પરંતુ જે પ્રકારે તેનો પરાજય થયો છે તેમાં નેતૃત્વની જવાબદારી તો બને જ છે. 

બહારનો વ્યક્તિ અધ્યક્ષ બને તો મુશ્કેલી
રાહુલ અને ગાંધી પરિવાર સિવાયની કોઈ અન્ય વ્યક્તિને કોંગ્રેસનું નેતૃત્વ સોંપવાના સવાલ અંગે તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધી જો અધ્યક્ષ પદ છોડી દે અને ગાંધી પરિવાર સિવાયની કોઈ અન્ય વ્યક્તિ જો અધ્યક્ષ બને તો પ્રારંભના કેટલાક મહિના અત્યંત કપરા અને પાર્ટીને વેરવિકેર કરનારા બની શકે એમ છે. એવી સ્થિતિમાં પાર્ટીનું એકજૂથ રહેવું મુશ્કેલ બની જશે. બની શકે કે, આગળ જતાં વસ્તુઓ સારી થઈ જાય. 

કુમારે વધુમાં જણાવ્યું કે, "મારું માનવું છે કે રાહુલ કોંગ્રેસની 'એસેટ' અને 'લાયેબિલિટી' બંને છે. 'લાયેબિલિટી' એટલા માટે કેમ કે તે વોટને પાર્ટીની તરફેણમાં ખેંચી શક્તા નથી. બીજી તરફ 'એસેટ' એટલા માટે છે, કેમ કે તેમના કારણે જ પાર્ટી એકજૂથ છે."

પ્રજાએ કોંગ્રેસની વિચારધારાને નકારી છે
આ ચૂંટણીમાં કોંગ્રેસની ભૂલોના સવાલ અંગે તેમણે જણાવ્યું કે, "કોંગ્રેસે નકારાત્મક પ્રચાર કરવાનો પ્રયાસ વધુ કર્યો. તેમણે એક એવી વ્યક્તિ પર આરોપ લગાવ્યા જેની જનતામાં ખૂબ જ વિશ્વસનિયતા છે. તેમણે ઘણા પહેલા સમજી જવાનું હતું કે, તમારી વાત પ્રજાની વચ્ચે સ્વીકાર થશે નહીં. આ ચૂંટણીમાં કોંગ્રેસની સારી છબી અને મજબૂત પ્રતિષ્ઠા બની શકી નહીં. લોકો કોંગ્રેસની વિચારધારાને નકારી રહ્યા છે."

ભાજપ બહુમતિની તરફેણમાં
તેમણે જણાવ્યું કે, હજુ પણ લોકોને એવું લાગે છે કે કોંગ્રેસની વિચારધારા દેશની બહુમતિ પ્રજાની વિરોધી છે અને લઘુમતિની સમર્થક છે. તેઓ માને છે કે, પાર્ટી લઘુમતિનું તુષ્ટિકરણ કરી રહી છે, તેને બહુમતિ વર્ગની ચિંતા નથી. ભાજપ અંગે લોકોનું માનવું છે કે તે બહુમતિ વર્ગની તરફેણમાં છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news