કોરોના દર્દીઓ માટે સંજીવની બની રહે તેવી ફેફસાંની કસરત સુરત સિવિલે અપનાવી

કોરોના દર્દીઓ માટે સંજીવની બની રહે તેવી ફેફસાંની કસરત સુરત સિવિલે અપનાવી
  • તબીબી વિશ્વમાં બ્રિધીંગ એક્સરસાઈઝ (breathing exerciser) તરીકે પ્રચલિત આ પ્રકારની કસરતને નવી સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના દર્દીઓના ફેફસાં મજબૂત કરવા માટે અપનાવવામાં આવી.

ઝી મીડિયા/બ્યૂરો :સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ કોરોના સંક્રમિત દર્દીઓના ફેફસાં (lungs) ને મજબૂત કરવા ‘સ્પાઈરોમેટ્રીની કસરત’ અપનાવી છે. સ્પાઈરોમીટર નામના મશીન દ્વારા કસરત કરાવવાના કારણે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સુગમ બને છે અને ફેફસાંને ઓક્સિજન પૂરતી માત્રામાં મળી રહે છે. તબીબી વિશ્વમાં બ્રિધીંગ એક્સરસાઈઝ (breathing exerciser) તરીકે પ્રચલિત આ પ્રકારની કસરતને નવી સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના દર્દીઓના ફેફસાં મજબૂત કરવા માટે અપનાવવામાં આવી છે. 

સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડો. અજય પરમારે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ ફેફસાંને અસર કરે છે, અને શ્વસનમાં મુશ્કેલી ઊભી કરે છે. પરિણામે વાયુકોષોની વાયુની આપ-લે કરવાની ક્ષમતા રહેતી નથી. જેને તબીબી ભાષામાં 'પલ્મોનરી ફાઈબ્રોસિસ' થયું તેમ કહે છે. ફેફસાનાં જેટલા ભાગનાં વાયુકોષોમાં ફાઈબ્રોસિસ થાય છે, તેટલો ભાગ નિષ્ક્રિય બની જાય છે. ફેફસાનું મુખ્ય કાર્ય શ્વસનનું છે. જેના દ્વારા ઓક્સિજન મેળવી લોહી દ્વારા સંપૂર્ણ શરીરનાં કોષોને પહોંચાડે છે. કોરોનાથી ફેફસા નબળા થયાં હોય અને ફ્રાઈબ્રોસિસની અસર થઈ હોય તેવા દર્દી માટે ‘સ્પાઈરોમેટ્રીની કસરત’ સંજીવની સમાન સાબિત થાય છે. જે દર્દીઓને ઓક્સિજન લેવામાં મુશ્કેલી પડતી હોય તેમણે એક મહિના સુધી સ્પાઈરોમેટ્રી કસરત ચાલુ રાખવાથી નોંધપાત્ર સુધારો જોવા મળે છે. 

ડો.પરમારે વધુમાં જણાવ્યું કે, હાલમાં જ સુરત જિલ્લાના માંડવીના રહેવાસી અને માંડવીના માર્ગ અને મકાન વિભાગમાં પ્યુન તરીકે ફરજ નિભાવતા 56 વર્ષીય નટવરભાઈ મોરેને આ કસરત નિયમિતપણે કરાવવાથી તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે. તેમજ ઝડપી રિકવરી લાવવામાં ફાયદો થયો છે. કોરોનાની 24 દિવસની સારવાર બાદ તેમને સિવિલમાંથી રજા આપવામાં આવી છે. આ પ્રકારના ઘણાં દર્દીઓને આ કસરત કરાવવામાં આવે છે. જેના સારા પરિણામો મળ્યા છે.

શું છે સ્પાઈરોમીટર?

શરીરના નાના-મોટી પ્રત્યેક જૈવરાસાયણિક ક્રિયાઓ માટે ઓક્સિજન મહત્વનો ભાગ ભજવે છે. આથી જ માણસ જમ્યા અને પાણી વગર અમુક સમય રહી શકે છે. તે દરમ્યાન શરીરમાં જમા થઈ રહેલી ચરબીમાંથી આપણે આવશ્યક ઉર્જા મેળવી શકીએ છીએ. એટલે જ શ્વાસ દ્વારા લેવામાં આવતા ઉપયોગી વાયુને ‘પ્રાણવાયુ’ કહેવાય છે. ફેફસા ઓક્સિજન મેળવ્યા બાદ શરીર માટે બિનઉપયોગી વાયુ તથા મેટાબોલિક વેસ્ટ ઉચ્છવાસ દ્વારા બહાર કાઢીને સફાઈનું પણ કામ કરે છે. 

કોરોનાના ગંભીર કેસોમાં શ્વાચ્છોશ્વાસની ક્રિયામાં રૂકાવટ થતાં શરીરને મળતો ઓક્સિજન પુરવઠો અટકવાથી જીવિત રહેવું શક્ય બનતું નથી. એટલે દર્દીને શ્વસન ક્રિયા સુગમ બને તે માટે સ્પાઈરોમીટર ઉપયોગી બને છે. આ એક ખાસ બનાવટનું મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે ફેફસાં દ્વારા વેન્ટિલેશન, શ્વાસ અને ઉચ્છવાસમાં લેવાયેલી હવાની ગતિને માપે છે અને ધીમા અને ઊંડા શ્વાસ લેવામાં મદદરૂપ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news