સુરતમાં ટિકીટ માટે ટક્કર : ભાજપના ગઢમાં મૂળ સુરતી ફાવશે કે, સૌરાષ્ટ્રવાસી આવશે?

સુરત લોકસભા બેઠક પર ટિકીટ કોણે આપવી તેની ચર્ચા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા કરવામાં આવી હતી, જોકે નામોની ભરમાર વચ્ચે એકસૂર ન થતાં ભાજપા માટે સુરક્ષિત માનતી સુરત બેઠકના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ન હતી. હવે અચાનક એક નામ સામે આવ્યું છે, આ નામ છે મૂળ સૌરાષ્ટ્રના પી. પી. સવાણી ગ્રુપના મહેશ સવાણીનું.

સુરતમાં ટિકીટ માટે ટક્કર : ભાજપના ગઢમાં મૂળ સુરતી ફાવશે કે, સૌરાષ્ટ્રવાસી આવશે?

તેજશ મોદી/સુરત :લોકસભાની ચુંટણીની જાહેરાત થઇ ચુકી છે, ભાજપા દ્વારા ગુજરાતની 26 પૈકી 16 બેઠકોના ઉમેદવારોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે, જોકે ભાજપનો ગઢ ગણાતી સુરત લોકસભાની બેઠક પર હજુ સુધી નામને લઈને ખેંચતાણ જોવા મળી રહી છે. સુરતની લોકસભા બેઠક પર મૂળ સુરતી ઉમેદવારની દાવેદારી વર્ષોથી રહેલી છે, જોકે આ વખતે પાટીદાર સમાજ તરફથી દાવેદારીનું જોર વધ્યું છે. તેમાં પણ એવું નામ કે જે ભાજપના સભ્ય નથી તેવા વ્યક્તિએ ટિકીટની માંગણી કરતા સુરત ભાજપમાં ભૂકંપની સ્થતિ સર્જાઈ છે. મૂળ સુરતીને ટિકીટ આપવામાં આવે તો નારાજગી ફેલાય તેવો માહોલ સર્જાયો છે, અને તેથી જ શહેરમાં કેટલાક વિસ્તારોમાં સુરતીઓની નારાજગીના પોસ્ટરો લાગવા માંડ્યા છે.

Pics: જાપાનીઝ યુગલને ભારતનું ઘેલુ!! ભારતીય પરંપરાથી આશ્રમમાં પરણ્યા, સંસ્કૃતના શ્લોક બોલ્યા

સુરત એટલે મિની ભારત અને ભાજપનો ગઢ. જી હાં હીરા અને કાપડ ઉદ્યોગનો માન્ચેસ્ટર ગણાતા સુરતમાં લોકસભાની ચુંટણીને લઈને ગરમાવો આવી ગયો છે. પરતું પાર્ટી કોને ટિકીટ આપશે તેને લઈને ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ હાલ મનોમંથન કરી રહ્યું છે, કે ટિકીટ કોણે આપવી. આમ તો કોંગ્રેસ કોઈ પણ ઉમેદવાર આપે તે જીતે તેવા કોઈ સીધા સમીકરણો નથી. હા એટલું ખરું કે જ્ઞાતિના સમીકરણો રચાય તો લીડ ઘટી શકે છે. પરતું જીત કોંગ્રેસ માટે શક્ય નથી. જો કે બીજી તરફ ભાજપ માટે પોતાનો ગઢ ગણાતી સુરત બેઠકમાં ટિકીટ કોણે આપવી તેને લઈને અસમંજનો માહોલ સર્જાયો છે. થોડા દિવસ પહેલા ભાજપના નિરીક્ષકો જ્યારે સેન્સ લેવા માટે સુરત આવ્યા હતા, ત્યારે 23 જેટલા લોકોને પોતાની દાવેદારી નોંધાવી હતી. જેમાં વર્તમાન સાંસદથી માંડી અનેક લોકો હતાં. ત્યારે કોને ટિકીટ આપવી તે મુદ્દે મોટા ભાગે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, વર્તમાન સાંસદને ટિકીટ આપો અથવા તો મૂળ સુરતીને જ ટિકીટ આપવામાં આવે. શક્યતા એવી જ હતી કે મૂળ સુરતીને ટિકીટ આપવામાં આવશે. જોકે અચાનક એક નામ સામે આવ્યું અને સમીકરણો બદલાઈ ગયા.

સુરત લોકસભા બેઠક પર ટિકીટ કોણે આપવી તેની ચર્ચા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા કરવામાં આવી હતી, જોકે નામોની ભરમાર વચ્ચે એકસૂર ન થતાં ભાજપા માટે સુરક્ષિત માનતી સુરત બેઠકના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ન હતી. હવે અચાનક એક નામ સામે આવ્યું છે, આ નામ છે મૂળ સૌરાષ્ટ્રના પી. પી. સવાણી ગ્રુપના મહેશ સવાણીનું. સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે કામ કરતા મહેશ સવાણીનું નામ કેવી રીતે આવ્યું કોણે ભલામણ કરી તે અંગે કોઈ વાત સ્પષ્ટ નથી, પરતું પોતાની દાવેદારી માટે તેઓ ગાંધીનગરનો ફેરો પણ મારી આવ્યા છે.

મહેશ સવાણીનું નામ સામે આવતા મૂળ સુરતીનું પત્તું કપાઈ શકે છે તે વાતને લઈને ફફડાટ ફેલાયો છે. સુરત લોકસભા બેઠકના અંદાજે 17 લાખ મતદારો છે, જેમાંથી 60 થી 65 ટકા વસ્તુ બિન-સુરતીની છે. એટલે કે મૂળ સુરતી નથી. આવી જ રીતે સુરતની 60 લાખની વસ્તીમાં પણ મૂળ સુરતીઓ માત્ર 35 થી 40 ટકા જ છે. ત્યારે જો મૂળ સુરતીના હાથમાંથી લોકસભાની દાવેદારી જતી રહે તો શું તેવો સવાલ મૂળ સુરતીઓને થઇ રહ્યો છે. સુરતમાં ભાજપ છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે પણ કોઈ હોદ્દાની વહેંચણી કરે છે, ત્યારે મૂળ સુરતી, સૌરાષ્ટ્રવાસી અને બિન ગુજરાતીઓને યોગ્ય મહત્વ આપવાનો પ્રયાસ કરે છે. ત્યારે સુરતની લોકસભાની ટિકીટ કોને આપવી તે સૌથી મોટો અને મહત્વનો તથા પેચીદો સવાલ પાર્ટી માટે પણ ઉભો થયો છે. જોકે મૂળ સુરતીઓને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી મૂળ સુરતીઓ સાથે ન્યાય કરશે.

મૂળ સુરતી અને ભાજપનો ગઢ
લોકસભા બેઠક પર 1952 થી અત્યાર સુધી સુરતને માત્ર 6 સાંસદ જ મળ્યા છે. એવું એટલા માટે કે સુરતના બે સાંસદો 11 વખત ચુંટણી જીત્યા હતા. 1952ની પહેલી ચૂંટણી કોંગ્રેસના કલ્યાણ દેસાઈ જીત્યા હતા, ત્યાર બાદ બહાદુરભાઈ પટેલ સાંસદ બન્યા. પહેલા ગુજરાતી વડાપ્રધાન બનવાનો શ્રેય જેને જાય છે તેવા મોરારજી દેસાઈ સુરત બેઠક પરથી પાંચ વખત સાંસદ રહી ચુક્યા છે. 1957, 1962, 1967, 1971 અને 1977ની ચૂંટણીમાં તેઓ જીત્યા હતા, જેમાં 1971માં તેઓ કોંગ્રેસ પાર્ટીથી અલગ થઇ ઓર્ગેનાઈઝેશન કોંગ્રેસ અને 1977માં જનતા પાર્ટીમાંથી જીત્યા હતા. ત્યાર બાદ 1980 અને 1984માં કોંગ્રેસના મજબુત નેતા સી ડી પટેલ ચુંટણી જીત્યા હતાં, જોકે ત્યાર બાદ કોંગ્રેસની પડતી શરુ થઇ હતી, જે સી.ડી. પટેલે ભાજપના કાશીરામ રાણાને હરાવ્યા હતાં, તેઓએ 1989માં પહેલી વખત ભાજપને જીત અપાવી હતી. જોકે ત્યાર બાદ સતત 6 ટર્મ સુધી કાશીરામ રાણા સુરતની બેઠકના સુપ્રીમો બન્યા. 1989, 1991, 1996, 1998, 1999, 2004માં સતત કાશીરામ રાણા જીતતા રહ્યા. કેન્દ્ર સરકારમાં કાપડ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી પણ બન્યા. તેઓ એક સમયે ગુજરાતના મુખ્યમંત્રીની રેસમાં પણ હતાં, જોકે ત્યાર બાદ તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે વૈચારિક મતભેદ થયા હતા, જેથી 2009ની ચુંટણીમાં કાશીરામ રાણાની ટિકીટ કાપી નવાનિશાળિયા એવા દર્શના જરદોશને પાર્ટીએ ટિકીટ આપી હતી. દર્શાના જરદોશને 2014માં પણ ટિકીટ મળી હતી. ગત ચુંટણીમાં દર્શના જરદોશ 5,33,190 વોટની જંગી બહુમતીથી ચૂંટણી જીત્ય હતાં. આમ સુરત એ ભાજપનો ગઢ છે. અહીં ભાજપને હારનો સામનો કરવો પડે તેવી કોઈ સ્થિતિ નહિ, ચાહે ઉમેદવાર કોઈ પણ કેમ ન હોય. 

સૌરાષ્ટ્રનું રિમોટ કંટ્રોલ સુરતમાં

ભાવનગર, અમરેલી, રાજકોટ, મહેસાણા, સહિતના જિલ્લાના લેઉવા અને કડવા પાટીદારોની ખુબ મોટી સંખ્યા સુરતમાં છે. આ લોકો હીરા અને કાપડ ઉપરાંતના અન્ય ઉદ્યોગો સાથે જોડાયેલા છે. સમાજના મોભી ગણાતા કેટલાક લોકો રાજકારણ અને સત્તા સાથે સંકળાયેલા છે. એટલે સુરતમાં કોઈ નિર્ણય લેવાય તો તેની અસર તેમના ગામમાં થાય છે, અને એવું ભૂતકાળમાં પણ બન્યું છે. તેથી જ ભાજપ કોઈ બાંધછોડ કરવા માંગતી નથી. હાલમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાં મોટું નુકસાન થયું હતું, ત્યારે તેની ભરપાઈ કરવા માટે ખુબ જોર લગાવવું પડી રહ્યું છે. તેના માટે સુરતના મોભીઓનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સુધીની સીધી પહોંચ ધરાવનારા આ સુરતના મોભીઓ પાસે સૌરાષ્ટ્રનું રિમોટ કન્ટ્રોલ પાવર છે.

મૂળ સુરતીના પોસ્ટર લાગ્યા

સૌરાષ્ટ્રવાસીને ટિકીટ આપવામાં આવે તેવી ચર્ચા વચ્ચે મૂળ સુરતીઓની નારાજગી દેખાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં તેને જ લઈને રોષ પણ જોવા મળ્યો છે. મૂળ સુરતીને અન્યાય સાથેના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં ક્યાં સુધી સુરતીઓને અન્યાય થશે તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નરેન્દ્ર મોદી પર ભરોસો

મૂળ સુરતીની જગ્યા પર જો સૌરષ્ટ્રવાસીને ટિકીટ આપવામાં આવે તો પણ સુરતીઓ માત્ર નારાજગી જ વ્યક્ત કરી શકે છે. જોકે મૂળ સુરતીઓને ભરોસો છે કે નરેન્દ્ર મોદી તેમની સાથે અન્યાય કરશે, તો બીજી તરફ મૂળ સુરતીઓ આક્રમક માનસિકતા ધરાવતા નથી. એટલે જો સૌરાષ્ટ્રવાસીને ટિકીટ આપવમાં આવે અને વડાપ્રધાનની એક સભા સુરતમાં થાય તો મોદી મેજિક સુરતીઓની નારાજગી દૂર કરી દેશે તેવું પણ જાણકારો કહી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news