યુપીઃ કોંગ્રેસના કદાવર નેતા પ્રમોદ તિવાર અને બાહુબલી રાજાભૈયા કરાયા નજરકેદ

મતદાન દરમિયાન ગરપડ થવાની આશંકા વચ્ચે રવિવારે ચાલી રહેલા લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કાના મતદાન દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પ્રમોદ તિવારીને પ્રતાપગઢમાં નજરકેદ કરી દેવાયા છે 
 

યુપીઃ કોંગ્રેસના કદાવર નેતા પ્રમોદ તિવાર અને બાહુબલી રાજાભૈયા કરાયા નજરકેદ

પ્રતાપગઢઃ લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યની 59 બેઠક પર મતદાન રવિવારે મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશની પણ 8 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન દરમિયાન કોઈ ગરબડ ન થાય તેને અનુલક્ષીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પ્રમોદ તિવારીને રવિવારે પ્રતાપગઢમાં તેમના ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. તેમના ઉપરાંત અપક્ષ ધારાસભ્ય રાજાભૈયા અને 12 અન્યને પણ નજરકેદ કરાયા છે.

રાજાભૈયાએ પ્રતાપગઢમાં ચતુષ્કોણીય મુકાબલો બનાવ્યો
પ્રમોદ તિવારી, રાજા ભૈયા અને નજર કેદમાં રાખવામાં આવેલા અન્ય લોકોને માત્ર તેમના મતાધિકારનો ઉપયોગ કરવાના સમય પુરતા જ ઘરમાંથી બહાર નિકળવાની મંજુરી આપવામાં આવી છે. પ્રતાપગઢમાં છઠ્ઠા તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. રાજા ભૈયાના જનસત્તા દળના ઉમેદવારને કારણે આ સીટ પર ચતુષ્કોણીય મુકાબલો છે. 

આ સીટ પર કોંગ્રેસના રત્ના સિંહ, ભાજપના સંગમ લાલ ગુપ્તા, સપા-બસપા ગઠબંધનના અશોક ત્રિપાઠી અને રાજાભૈયાની પાર્ટીએ અક્ષય પ્રતાપ સિંહને ઉમેદવાર બનાવેલા છે. 

બંને નેતાએ નજરકેદને અનુચિત જણાવ્યું 
રાજાભૈયાએ આ અંગે જણાવ્યું કે, સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાને નજરકેદ કરાયા નથી એટલે તેમને નજરકેદ રાખવા અનુચિત છે. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ પણ કહ્યું કે, તેમણે ક્યારેય કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં હસ્તક્ષેપ કર્યો નથી અને તેમને નજરકેદ રાખવા અનુચિત છે. 

ઉલ્લેખનીય છે કે, 5મા તબક્કાના મતદાન દરમિયાન કન્નોજ લોકસભા સીટ પર મતદાન દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતાઓને નજરકેદ કરાયા હતા, જેના અંગે અનેક સવાલ ઊભા થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news