લોકસભા ચૂંટણી 2019: અમિત શાહ આજે રેલી બાદ ગાંધીનગર બેઠક પર ભરશે ઉમેદવારી પત્રક

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે, તેઓ અમદાવાદમાં 4 કિમી લાંબી રેલી કાઢશે અને ત્યાર બાદ ગાંધીનગર ઉમેદવારી પત્રક ભરવા માટે જશે 

લોકસભા ચૂંટણી 2019: અમિત શાહ આજે રેલી બાદ ગાંધીનગર બેઠક પર ભરશે ઉમેદવારી પત્રક

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે, તેઓ અમદાવાદમાં 4 કિમી લાંબી રેલી કાઢશે અને ત્યાર બાદ ગાંધીનગર ઉમેદવારી પત્રક ભરવા માટે જશે. અમીત શાહની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના ભાજપના ટોચના નેતાઓ પણ હાજર રહેશે. 

અમિત શાહની વિશાળ રેલી
અમિત શાહ લોકસભા બેઠકનું ફોર્મ ભરતા પહેલા અમદાવાદ શહેરમાં 4 કિમી લાંબી એક વિશાળ રેલી કાઢવાના છે. આ રેલી અમદાવાદના નારણપુરામાં આવેલા સરદાર પટેલના બાવલાથી શરૂ થશે. અમિત શાહ સવારે 9.30 કલાકે અહીં પહોંચીને બાવલાને હાર પહેરાવશે અને ટૂંકું સંબોધન કરશે. ત્યાર બાદ અમિત શાહના રોડ શોની શરૂઆત થશે. 

નારણપુરા સરદાર પટેલના બાવલાથી અમિત શાહનો કાફલો હોટલ ડીઆરએચ, મહેતા સ્વીટમાર્ટ થઈના નારણપુરા ચાર રસ્તા પર નિકળશે. અહીંથી કામેશ્વર મંદીર, અંકુર ચાર રસ્તા થઈ જીએસસી બેન્ક પાસે પહોંચશે. ત્યાંથી શ્રીજી ડેરી, સત્યા ટાવર-2 થઈને પ્રભાત ચોકમાં પહોંચશે. પ્રભાત ચોકથી સમર્પણ ટાવર થઈને રેલી સરદાર ચોકમાં સમાપ્ત થશે. સવારે 10.35થી શરૂ થયેલો આ રોડ શો બપોરે 12.30 કલાકે પુરો થશે. 

રોડ શો પુરો થયા બાદ અમિત શાહ સીધા જ ગાંધીનગર જવા માટે રવાના થશે. ગાંધીનગરમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સ્વાગત કાર્યક્રમ પુરો થયા બાદ કલેક્ટર ઓફિસમાં અમિત શાહ ફોર્મ ભરવા માટે જશે. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેલીમાં સુરક્ષા પૂરી પાડવા માટે શહેર પોલીસ દ્વારા 1100થી વધુ પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપાઈ છે. રેલીના બંદોબસ્તમાં 01 આઈજી, 03 DSP, 04 SP, 10 PI, 80 PSI અને 1100 પોલીસ કર્મચારી ખડેપગે તૈનાત રહેશે. આ ઉપરાંત, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ એસઓજી  અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ પણ સતત પેટ્રોલિંગમાં રહેશે.

ભાજપના અધ્યક્ષ અમીત શાહની રેલીમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત

ગાંધીનગરઃ ભાજપનો ગઢ અને અડવાણીની બેઠક
ગાંધીનગરની લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને અહીં રાજનાથ સિંહ, વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી જેવા ભાજપના દિગ્ગજ નેતાઓ સતત જીતતા આવ્યા છે. લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પર પ્રથમ વખત 1991માં જીત્યા હતા. ત્યાર પછી અડવાણીએ અહીંથી 1998, 1999, 2004, 2009 અને 2014માં વિજય મેળવ્યો હતો. 

અમિત શાહને ગાંધીનગર બેઠક પરથી મેદાનમાં ઉતારવા સાથે ભાજપે લોકસભાની 26 બેઠકો જીતવાનો પોતાનો લક્ષ્ય જાહેર કરી દીધો હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. અમિત શાહ ભાજપના ચાણક્ય ગણાય છે.

ગાંધીનગરમાં આવતી વિધાનસભા બેઠક
ગાંધીનગરની લોકસભા બેઠકમાં ગુજરાત વિધાનસભાની ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી બેઠકનો સમાવેશ થાય છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પર નજર નાખીએ તો ગાંધીનગર ઉત્તરની બેઠક પર કોંગ્રેસના સી.જે. ચાવડા, સાણંદથી ભાજપના કનુભાઈ પટેલ, ઘાટલોડિયા બેઠક પર ભાજપના ભુપેન્દ્રભાઈ પટેલ, નારણપુરા બેઠક પરથી ભાજપના કૌશિકભાઈ પટેલ, સાબરમતી બેઠક પર ભાજપના અવિંદકુમાર પટેલ, વેજલપુર બેઠક પરથી ભાજપના કિશોર ચૌહાણ  અને કલોલ બેઠક પરથી કોંગ્રેસના બલદેવજી ઠાકોર વિજેતા બન્યા હતા. 

આમ, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતી કુલ 7 વિધાનસભા બેઠકોમાંથી 5 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 2017ની લોકસભા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા અને બે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા. એટલે કે, ગાંધીનગરની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનું પલડું ભારે છે અને આ ગણતરીને ધ્યાનમાં રાખીને જ અમીત શાહને લોકસભાના ઉમેદવાર બનાવાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news