આ દિગ્ગજ નેતાની ભવિષ્યવાણીને ટાંકીને યોગીએ કહ્યું- 'નરેન્દ્ર મોદી 25 વર્ષ સુધી PM રહેશે'

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતમાં સમાજવાદના પ્રણેતા રહેલા રામ મનોહર લોહિયાએ બહુ પહેલા એવું સૂચન કર્યું હતું કે દેશમાં એ જ વ્યક્તિ શાસન કરી શકશે જે ગરીબો માટે કામ કરશે. 

આ દિગ્ગજ નેતાની ભવિષ્યવાણીને ટાંકીને યોગીએ કહ્યું- 'નરેન્દ્ર મોદી 25 વર્ષ સુધી PM રહેશે'

ગોરખપુર: લોકસભા ચૂંટણી 2019 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. 19મી મેના રોજ છેલ્લા અને સાતમા તબક્કાનું મતદાન છે. જેમાં 8 રાજ્યોની 59 બેઠકો માટે મતદાન થશે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતમાં સમાજવાદના પ્રણેતા રહેલા રામ મનોહર લોહિયાએ બહુ પહેલા એવું સૂચન કર્યું હતું કે દેશમાં એ જ વ્યક્તિ શાસન કરી શકશે જે ગરીબો માટે કામ કરશે. 

યોગીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોને કેન્દ્રમાં રાખીને તેમના માટે શૌચાલય અને ઈંધણ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી. જેના કારણે પીએમ મોદી આવનારા અનેક વર્ષો સુધી દેશ ચલાવવા માટે તૈયાર છે. આ સાથે જ સીએમ યોગીએ દાવો કર્યો કે ઉત્તર પ્રદેશમાં ભાજપ 80માંથી 74 બેઠકો મેળવશે. 

યોગી આદિત્યનાથે કહ્યું કે સમાજવાદી નેતા લોહિયાએ સંસદમાં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીને કહ્યું હતું કે આ દેશ ગામડાઓમાં વસે છે. જે પીએમ આ દેશના ગરીબ વ્યક્તિઓના ઘરમાં શૌચાલય અને તેમની ઈંધણની જરૂરિયાતો પૂરી પાડશે તે ઓછામાં ઓછા 25 વર્ષો સુધી શાસન કરશે. યોગીએ કહ્યું કે લોહિયાનું સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરું કર્યું છે અને ભાજપ 2019ની ચૂંટણી બાદ સ્પષ્ટ બહુમતવાળી સરકાર બનાવશે. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે લોહિયાએ આ વાત 1966-67માં કહી હતી, પરંતુ તેમનું સપનું હવે પૂરું થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે લોહિયાના નામ પર આ દેશમાં અનેક લોકોની રાજનીતિ ચાલે છે પરંતુ તેમના આ સપનાને પીએમ મોદીએ જ પૂરું કર્યું. 

યોગીએ કહ્યું કે આ ચૂંટણી એ તમામ પૂર્વાનુમાનોને ચકનાચૂર કરી નાખશે જે જાતિ, ધર્મ, ક્ષેત્ર અને વોટબેંકની આસપાસ ચક્કર લગાવતા રહે છે. તેમણે કહ્યું કે મોદી સરકારમાં 1.5 કરોડ લોકોને ઘર, 4 કરોડ લોકોને વીજળી કનેક્શન, અને 7 કરોડ મહિલાઓને મફત રસોઈ ગેસ કનેક્શન અપાયા છે. છેલ્લા 5 વર્ષોમાં 10 કરોડ શૌચાલય, 12.5 કરોડ ખેડૂતોને ખેડૂત સન્માન નિધિ હેઠળ સહાયતા, 15 કરોડ યુવાઓને મુદ્રા યોજના, અને 37 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યાં. તેમણે કહ્યું કે આ એવા આંકડા છે જે જાતિ, ક્ષેત્ર, ધર્મ, વોટબેંક કે ભાષા પર આધારિત નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news