મોદી-રાહુલનું ‘મિશન સૌરાષ્ટ્ર’ બાદ, આજે રાહુલ-અમિત શાહનું ‘મિશન દક્ષિણ ગુજરાત’

ચૂંટણી પ્રચારમાં ગઈકાલ અને આજનો દિવસ મહત્વનો બની રહ્યો છે. ગઈકાલે રાહુલ ગાંધી અને પીએમ મોદીએ સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. ત્યારે આજે રાહુલ ગાંધી ફરીથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવવાના છે.

મોદી-રાહુલનું ‘મિશન સૌરાષ્ટ્ર’ બાદ, આજે રાહુલ-અમિત શાહનું ‘મિશન દક્ષિણ ગુજરાત’

અમદાવાદ :ચૂંટણી પ્રચારમાં ગઈકાલ અને આજનો દિવસ મહત્વનો બની રહ્યો છે. ગઈકાલે રાહુલ ગાંધી અને પીએમ મોદીએ સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. ત્યારે આજે રાહુલ ગાંધી ફરીથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવવાના છે. રાહુલ ગાઁધી દક્ષિણ ગુજરાતમાં સભાને સંબોધન કરશે. તો બીજી તરફ, આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આજે જ દક્ષિણ ગુજરાતમાં પ્રચાર કરશે, અને સભા ગજવશે. આ જોગાનુજોગ છે કે, કોંગ્રેસ અને ભાજપનું માઈક્રો પ્લાનિંગ છે કે, પછી ગણતરીપૂર્વક એક જ ગઢમા સભાઓનું આયોજન કરાયું છે તે કહી ન શકાય. ગઈકાલે પણ રાહુલ ગાંધી અને પીએમ મોદીએ સૌરાષ્ટ્રમાં સભા કરી હતી. બંને સભા સ્થળો વચ્ચે માત્ર 95 કિલોમીટરનું અંતર હતું. તો આજે રાહુલ ગાંધી અને અમિત શાહ દક્ષિણ ગુજરાતમાં છે.

અમિત શાહની સભા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર એવા અમિત શાહ ઝંઝાવાતી પ્રચારમાં આજે દક્ષિણ ગુજરાતમાં જાહેરસભાઓ ગજવશે. પહેલા અમિત શાહ છોટાઉદેપુરમાં બોડેલીના એપીએમસી ખાતે સવારે 10.00 કલાકે જાહેર સભા સંબોધશે. છોટાઉદેપુરમાં કોગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટે કી ટકકર છે. કારણ કે, રાજ્યમાં પ્રથમ વખત લોકસભાનાં ઉમેદવાર તરીકે ભાજપે આદિવાસી મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાને ઉભા રાખ્યા છે. લોકસભાના મેદાનમાં ઉતારેલા ગીતાબેનની સીધી ટક્કર કોંગ્રેસના રણજીતસિંહ રાઠવા સાથે છે. તો ત્યાર બાદ વલસાડના માલનપાડામાં અને ધરમપુરમાં પણ જાહેરસભા સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહાર કરશે. વલસાડ માલન પાડા ખાતે આવતી બપોરે 1 વાગ્યે અમિત શાહની સભા યોજાશે. 

રાહુલ ગાંધીની સભા 
આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. રાહુલ ગાંધી સુરતના બાજીપુરા ખાતે સભાને સંબોધન કરશે. રાહુલ ગાંધી સવારે 11:40 કલાકે સુરત એરપોર્ટ પર આવશે. 11:45 કલાકે સુરતથી બાજીપુરા રવાના થશે, બપોરે 1:10 વાગ્યે સભા પૂર્ણ કરી સુરત આવશે, પોરે 1:15 કલાકે સુરતથી બેલારી જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં સરકાર બનાવવા માટે દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક અત્યંત મહત્વની ગણાય છે. તેથી જ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ પણ વલસાડથી કર્યા હતા. ત્યારે હવે બાજીપુરમાં સંબોધન કરીને દક્ષિણ ગુજરાત પર કોંગ્રેસનું પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરશે. 

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું આયોજન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 અને 18 એપ્રિલના રોજ ગુજરાતમાં 4 સભાને સંબોધન કર્યું હતું. તો રાહુલ ગાંધી 18 અને એપ્રિલના રોજ 3 સભાને સંબોધન કરશે. ત્યારે બંનેએ જીત માટે અતિમહત્વની હોય તેવી બેઠકો પસંદ કરી હતી. ભાજપ માટે જે બેઠકો પર કપરા ચઢાણ છે ત્યાં નરેન્દ્ર મોદીએ સભા સંબોધીને જોશ ઉભો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની તમામ 26 લોકસભા બેઠક પર ભગવો લહેરાવ્યો હતો, પરંતુ 2017ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પરિદૃશ્ય બદલાયું અને ભાજપને કોંગ્રેસને ભારે ટક્કરનો સામનો કરવો પડ્યો હતો. થોડા મહિના પહેલા દેશના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ પાર્ટીને હાથમાંથી સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે અને અહીં કોંગ્રેસની સરકાર બની છે. તે જોતાં, હાલ ગુજરાતમાં ભાજપ માટે તમામ 26 બેઠક જીતવી એક મોટો પડકાર જણાઈ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news